Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

રાજ્યમાં ઓમિક્રોન વાઈરસ સંદર્ભે આરોગ્ય તંત્ર સુસજજ : આંતરરાષ્ટ્રીય યાત્રીકોનું એરપોર્ટ પર સ્ક્રિનિંગ સહિત ટેસ્ટિંગ : ૩૧ હજાર યાત્રકોની તપાસ કરાઈ : આરોગ્ય અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ

એટ રિસ્ક દેશના ૩૫૦૦ યાત્રિકોના RTPCR ટેસ્ટ કરાયા : વિદેશી યાત્રીકોના હોમ આઈસોલેશન દરમિયાન ત્રીજા અને પાંચમા દિવસે સેમ્પલ લઈ ટેસ્ટિંગ કરાઇ છે : દરરોજ કોવિડ-૧૯ના ૭૫,૦૦૦ ટેસ્ટિંગ થઈ રહ્યાં છે : આગામી સમયમાં ટેસ્ટિંગની સંખ્યા વધારાશે : ઓમિક્રોન સંદર્ભે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર સંપૂર્ણ તૈયારીઓ : પૂરતા પ્રમાણમાં દવાઓનો જથ્થો, બેડ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ

અમદાવાદ : આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું છે કે, વિશ્વમાં ઓમિક્રોન વાઈરસનો નવો વેરિઅન્ટ જોવા મળી રહ્યો છે તે સંદર્ભે ગુજરાતના નાગરિકોને સુરક્ષિત કરવા રાજ્યનું આરોગ્ય તંત્ર સંપૂર્ણ સુસજ્જ છે. આ માટે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર ગુજરાતમાં સંપૂર્ણ તૈયારીઓ કરી દેવાઈ છે. તેમજ રાજ્યમાં પૂરતા પ્રમાણમાં દવાઓનો જથ્થો, બેડ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે.એટલે નાગરિકોએ સહેજ પણ ગભરાવાની જરૂર નથી માત્રને માત્ર સતર્ક રહી કોવિડના પ્રોટોકોલનું પાલન કરવું આવશ્યક છે.

  અગ્રવાલે ઉમેર્યું કે, ઓમિક્રોન વેરિઅન્ટ સંદર્ભે WHO અને કેન્દ્ર સરકાર દ્વારા તા. ૧લી ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય યાત્રિકોના ટેસ્ટિંગ માટે જે ગાઈડલાઈન જાહેર કરાઈ ત્યારથી રાજ્યમાં અમદાવાદ તથા સુરત એરપોર્ટ ખાતે યાત્રિકોનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે જેમાં એટ રિસ્ક અને નોન એટ રિસ્ક દેશના મળીને કુલ ૩૧,૦૦૦ હજારથી વધુ યાત્રિકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે તે પૈકી એટ રિસ્ક દેશના ૩,૫૦૦ જેટલાં યાત્રિકોના RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા છે. કોરોના પોઝિટિવ દર્દીઓને હોમ ક્વોરેન્ટાઈનમાં રાખીને સારવાર આપવામાં આવી રહી છે જ્યારે નોન પોઝિટિવ તમામ યાત્રિકોને હોમ આઈસોલેશનમાં રાખીને તમામનું આરોગ્ય વિભાગ દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આવા યાત્રિકોના દર ત્રીજા અને પાંચમાં દિવસે સેમ્પલ લઈને ચકાસણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સંક્રમણ વધે નહીં તે માટે રાજ્યભરમાં સર્વેલન્સની કામગીરી પણ ચાલી રહી છે.
તેમણે ઉમેર્યું કે રાજ્યમાં કોવિડ-૧૯ અને ઓમિક્રોન સંદર્ભે ટેસ્ટિંગની સુવિધાઓ વધારીને દરરોજના ૭૦થી ૭૫ હજાર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં છે અને આગામી સમયમાં આ ટેસ્ટિંગની ક્ષમતા જરૂરિયાત મુજબ વધારવાનું આયોજન છે.
તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી દેવાઈ છે. રાજ્યમાં જો કેસોની સંખ્યા વધે તો તેને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે સંપૂર્ણ વ્યવસ્થાઓ ગોઠવી છે. રાજ્યમાં પૂરતા પ્રમાણમાં દવાઓનો જથ્થો, ઓક્સિજન બેડ-વેન્ટીલેટરની સુવિધાઓ ઉપલબ્ધ છે તેમજ આરોગ્ય કર્મીઓને તાલીમબદ્ધ પણ કરી દેવાયા છે. ઓમિક્રોન સંદર્ભે WHO/ICMR દ્વારા જે સારવાર અંગે સૂચનાઓ મળશે એ મુજબની વ્યવસ્થાઓ પણ રાજ્ય સરકાર દ્વારા ગોઠવી દેવાશે.  
તેમણે કહ્યુ કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં ૨૩ કેસો ઓમિક્રોનના નોંધાયા છે. તેમાં સામાન્ય હળવા લક્ષણો જેવા કે, તાવ, ઉધરસ, શરદીના જોવા મળ્યા છે. એથી કોઇપણ દર્દીને હોસ્પિટલમાં જવાની જરૂર પડી નથી. પરંતુ તકેદારી માટે એમને હોસ્પિટલમાં રાખીને સારવાર આપવામાં આવી રહી છે જેના લીધે અન્યમાં ચેપ પ્રસરે નહી.
અગ્રવાલે ઉમેર્યુ કે, ઓમિક્રોન સંદર્ભે કેન્દ્ર સરકાર દ્વારા જે ગાઇડલાઇન આપવામાં આવી છે તેનો રાજ્યમાં ચૂસ્ત અમલ થઇ રહ્યો છે. એટલે નાગરિકોને સહેજ પણ ગભરાવવાની જરૂર નથી. પરંતુ માત્રને માત્ર સતર્ક રહીને કોવિડ પ્રોટોકોલનું પાલન કરીને સહયોગ આપવા અપીલ કરી છે.

(6:38 pm IST)