Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

અમદાવાદમાં સાળા-બનેવી વચ્‍ચે જીરાના વેપાર બાદ રૂપિયાની લેતી-દેતીમાં ખટરાગ થતા બનેવીએ કાવતરૂ રચીને સાળા અને પાર્ટનરને અમદાવાદ બોલાવીને અપહરણ કર્યુઃ બેની ધરપકડ

અપહરણ કરનાર બનેવીની પોલીસ દ્વારા શોધખોળ

અમદાવાદ: સાળા બનેવી વચ્ચે થયેલા જીરાના વ્યાપાર બાદ રૂપિયાની લેતી દેતી અંગે ખટરાગ થયો હતો. બનેવીએ કાવતરું રચી સાળા અને તેના પાર્ટનરને અમદાવાદ બોલાવી અપહરણ કર્યુ હતુ. જે ગુનામા સરખેજ પોલીસે અપહરણ કરનાર બે આરોપીની ધરપકડ કરી. બન્ને વેપારી અપહ્યુતને મુક્ત કરાવ્યા છે. જોકે મુખ્ય કાવતરાખોર બનેવી હજી પોલીસ પકડથી દૂર છે જેની શોધખોળ હાથ ધરી છે.

૨૧ ડિસેમ્બરના રોજ બપોરે એસજી હાઇવે પરથી જીરાના બે વેપારી ભરતભાઈ પટેલ અને તેમના પાર્ટનર પાર્થ પટેલનું અપહરણ થતાં શહેરભરની પોલીસ દોડતી થઇ હતી. પોલીસ તપાસમાં ભરતભાઈના પુત્રએ માહિતી આપી કે, અમદાવાદમાં વેપારીને જીરાનો માલ આપવાના બહાને બોલાવવામાં આવ્યા હતા. ત્યાંથી ગાડીમાં અપહરણ કરી રાજકોટ જામનગર તરફ લઈ જવામાં આવ્યા હતા. આ ઉપરાંત જ પોલીસે ગાડીના નંબર અને સીસીટીવીના આધારે તપાસ કરતાં જાવેદ સુમરા અને નદીમ સુમરાની રાજકોટ પોલીસની મદદથી ધરપકડ કરી છે.

આરોપી જાવેદ સુમરા અને નદીમ સુમરાની અપહરણના ગુનામાં ધરપકડ કર્યા બાદ પૂછપરછ કરતા સામે આવ્યું કે, અપહરણનું માસ્ટરમાઈન્ડ પ્રભુલાલ ભેસદડિયા છે. જેણે ભરત પટેલ અને પાસ પટેલને વેપારના બહાને અમદાવાદ બોલાવ્યા હતા.તેમનું અપહરણ કરાવ્યું હતું. જે અંગે પોલીસ તપાસ કરતા સામે આવ્યું કે, અગાઉ સાળા ભરત પટેલ અને બનેવી પ્રભુ આલ એક સાથે જીરાનો વેપાર કરતા હતા. જે હિસાબના રૂપિયા 25 લાખ પ્રભુ ભાઈને લેવાના હતા તે બાબતે આ અપહરણ કરવામા આવ્યુ હતુ. બે વેપારીના અપહરણના ગુનામાં પોલીસે અપહ્યતને તો છોડાવી લીધા. સાથે જ અપહરણ કરનારની પણ ધરપકડ કરવામા આવી છે. જોકે અપહરણનો પ્લાનીંગ કરનાર બનેવી હજી ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. ત્યારે જોવુ એ રહ્યુ કે આખરે પોલીસ તપાસમા અન્ય કોઈ વિગત સામે આવે છે કે કેમ તે જોવું રહ્યું.

(5:49 pm IST)