Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

અમદાવાદમાં ટ્રાન્સટેડિયા ખાતે ભારતના પહેલા સ્પોર્ટ્સ આરબિટ્રેશન સેન્ટરનું કેન્દ્રીય મંત્રી કિરણ રીજીજુએ કર્યું ઉદ્ઘાટન

ઓલિમ્પિકના ખેલાડીઓના કાયદાકીય રક્ષણ અને સમજણ પૂરી પડવામાં આવશે: મીની કોર્ટ તરીકે પણ ઓળખી શકાય

અમદાવાદ :  સ્પોટર્સ ક્ષેત્ર દિવસેને દિવસે વધી રહ્યું છે. રમત પણ વધી રહી છે તેમજ ખેલાડીઓ પણ વધી રહ્યા છે. જેની સાથે ખેલાડીઓને લગતા પ્રશ્નો પણ વધી રહ્યા છે. જેનું નિરાકરણ આવે તે દિશામાં સરકારે એક ડગલું આગળ વધાર્યું. છે, જેના ભાગ રૂપે અમદાવાદમાં ટ્રાન્સટેડિયા ખાતે ભારતના પહેલા સ્પોર્ટ્સ આરબિટ્રેશન સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. આ સાથે ઓલિમ્પિકના ખેલાડીઓના કાયદાકીય રક્ષણ અને સમજણ પૂરી પડવામાં આવશે, જેને મીની કોર્ટ તરીકે પણ ઓળખી શકાય.

સ્પોટર્સ આરબિટ્રેશન સેન્ટરમાં જજ હાજર રહેશે અને કેસમાં ફસાયેલા ખેલાડી અને તેમના વકીલને સાંભળીને ન્યાય આપશે. આ સેન્ટરથી ખેલાડીઓના સમય અને નાણાંની બચત થશે.મહત્વનું છે કે અત્યાર સુધી ઇન્ટરનેશનલ લેવલ પર કાયદાકીય પ્રક્રિયા થતી હતી. કેમ કે ભારતમાં આવી કોઈ કોર્ટ કે સેન્ટર ન હતું. પણ હવે આ સેન્ટર શરૂ થવાથી કાયદાકીય પ્રક્રિયા જલ્દી થશે અને ખેલાડીઓનું ભવિષ્ય પણ સુધરશે. તો સેન્ટરથી ઓલમ્પિક ના ખેલાડીઓની ન્યાય પ્રક્રિયા પણ ઝડપી બનશે.

સ્પોટર્સ આરબિટ્રેશન સેન્ટરની શરૂઆત કરનાર કેન્દ્રીય મંત્રી કિરણ રિજીજુએ સેન્ટરની શરૂઆત કરવા સાથે નિવેદન આપતા કહ્યું કે આજે ગુજરાતમાં આવુ મોટું કામ કરવાનો તેમને મોકો મળ્યો છે. તો રમત ને લઈ ટ્રાન્સસ્ટેડિયાએ મોટું કામ કર્યું હોવાનું પણ જણાવ્યું.વધુમાં તેમણે જણાવ્યું કે દેશમાં સ્પોર્ટ્સ સાથે સ્પોર્ટ્સ સાયન્સ, મેડિટેશન, આરબિટ્રેશન માટે કામ કરવાનું છે. તો સ્પોર્ટ્સ સેકટરને આગળ વધારવા એકટ કે પોલિસી લાવવાની હશે તો લાવીશું તેમ પણ જણાવ્યું. સાથે જ કેન્દ્રીય કાયદામંત્રીએ ટ્રાન્સસ્ટેડિયાના મોડલને અન્ય રાજ્ય પણ અનુસરે એવું પણ જણાવ્યું.

કેન્દ્રીય મંત્રી કિરણ રિજીજુએ જણાવ્યું કે અમદાવાદ સ્પોર્ટિંગ સીટી તરફ આગળ વધી રહ્યું છે. સ્પોર્ટ્સ વધતા કેસ વધશે અને આરબિટ્રેશન સેન્ટરનું ભારણ વધશે. સ્પોર્ટ્સ આર્બીટ્રેશન ક્ષેત્રે ઘણું બધું કામ કરવાનું બાકી હોવાનું પણ જણાવ્યું. વડાપ્રધાન પણ ઈચ્છે છે કે આરબિટ્રેશન તરફ કામ કરવામાં આવે. જે દિશામાં કામ કર્યું.તો વધુમાં જણાવ્યું કે BCCI પ્રાઇવેટ બોડી હોવાથી તે આરબિટ્રેશન સેન્ટર હેઠળ નહીં આવે, પણ ઓલિમ્પિકમાં રમાતી તમામ રામતોનો આર્બીટ્રેશન સેન્ટર હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી તે રમતના તમામ ખેલાડીને ઝડપી ન્યાય મળશે.

(6:48 pm IST)