Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

આણંદ-સોજીત્રા રોડ નજીક ટ્રક વીજલાઇનને સ્પર્શી જતા ક્લીનરનું કમકમાટીભર્યું મોત

આણંદ : આણંદ-સોજિત્રા રોડ ઉપર આવેલ ઉમા ભવન નજીકથી પસાર થઈ રહેલ એક ટ્રક અકસ્માતે ઉપરથી પસાર થતા વીજ લાઈનને સ્પર્શી જતા ટ્રકમાં કરંટ ઉતરતા ક્લીનરનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે ટ્રક ચાલકને ઈજાઓ પહોંચતા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.

 આ બનાવ અંગે આણંદ શહેર પોલીસે અપમૃત્યુની નોંધ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં મળતી માહિતી મુજબ ઝરમર વરસતા વરસાદના માહોલ વચ્ચે આજે બપોરના સુમારે આણંદ શહેરની બોરસદ ચોકડીથી જનતા ચોકડી તરફ જવાના માર્ગ ઉપર આવેલ ઉમા ભવન નજીકથી એક ટ્રક પસાર થઈ રહી હતી. દરમ્યાન આ ટ્રક ઉપરથી પસાર થતી વીજ લાઈનના સ્પર્શી જતા ટ્રકમાં કરંટ ઉતર્યો હતો. ચાલુ વીજ લાઈનના કારણે ટ્રકમાં સવાર ચાલક તથા ક્લીનરને કરંટનો જોરદાર ઝાટકો લાગ્યો હતો અને ૪૦ વર્ષીય ક્લીનર કિશનભાઈ મીણાનું કરંટ લાગવાના કારણે કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે ટ્રક ચાલકને પણ કરંટનો જોરદાર ઝાટકો લાગ્યો હતો. આ ઘટનાને પગલે સ્થાનિકો તુરંત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વીજ તંત્રને જાણ કરતા વીજ તંત્રની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વીજ પ્રવાહ બંધ કર્યો હતો. બીજી તરફ ચાલકને સારવાર અર્થે તુરંત જ નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવની જાણ આણંદ શહેર પોલીસને થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(5:38 pm IST)