Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

નર્મદા જિલ્લામાં ગરીબ પરિવારની મહિલાઓના જીવનમાં “પ્રધાનમંત્રી માતૃવંદના યોજના” પાથરી રહી છે અજવાળાં

નાંદોદ તાલુકાના કરાઠાં ગામના યોગીનાબેન ચૌહાણ અને વર્ષાબેન પટેલે “પ્રધાનમંત્રી માતૃવંદના યોજના” નો લાભ મેળવી અન્ય મહિલાઓને લાભ લેવા કર્યા પ્રેરિત:મહિલા અને બાળકોના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે સરકાર દ્વારા લાગુ કરાયેલી આ યોજના થકી અનેક મહિલાઓ થઈ રહી છે લાભાન્વિત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર તંદુરસ્ત ભારતના નિર્માણ માટે મહિલાઓ અને બાળકોની ખાસ કાળજી રાખી રહી છે. મહિલા અને બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને વિવિધ સરકારી વિભાગો દ્વારા વિભાગીય યોજનાઓની ઘનિષ્ઠ અમલવારી પણ થઇ રહી છે. તેની સાથોસાથ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની રાહબરીમાં ગુજરાત સરકાર દ્વારા પણ આવી યોજનાઓની ગામેગામ સુપેરે અમલવારી કરવામાં આવી રહી છે. આ યોજનાઓ થકી અનેક મહિલાઓના જીવનમાં રાજ્ય સરકારે અજવાળાં પાથર્યાં છે. 

 કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત સગર્ભા મહિલાઓને વિવિધ તબક્કામાં એટલે કે મહિલાને ગર્ભાવસ્થાની જાણ થાય ત્યારથી લઈને પ્રસૂતિ થાય ત્યાં સુધી રૂપિયા ૫ (પાંચ) હજારની સહાય આપવામાં આવે છે.ગામની આશા વર્કર બહેનો દ્વારા ગામમાં નિયમિતપણે નવપરિણીત દંપતિનો સર્વે કરવામાં આવે છે. સર્વે દરમિયાન સગર્ભા અવસ્થાની જાણ થતાં જ તેવી મહિલાની નોંધણી કરવામાં આવે છે. ત્યારબાદ આ યોજના હેઠળ મહિલાને રૂા.૫,૦૦૦/- ની સહાય વિવિધ તબક્કામાં આપવામાં આવે છે. માત્ર એટલું જ નહીં પણ સગર્ભા મહિલાને દર મહિનાના પ્રથમ બુધવારે ઉજવાતા મમતા દિવસે આંગણવાડી કેન્દ્ર પર બોલાવીને વજન કરી તેનું બ્લડ પ્રેશર પણ માપવામાં આવે છે.        
  નાંદોદ તાલુકાના કરાઠાં ગામની લાભાર્થી મહિલાઓની. માતૃવંદના યોજનાનો લાભ મેળવી લાભાન્વિત થયેલા યોગીનાબેન ધનવીરસિંહ ચૌહાણે જણાવ્યું કે, અમારા ગામના આશાવર્કર બહેને અમને “પ્રધાનમંત્રી માતૃવંદના યોજના” અંગેની સમજણ આપી હતી. તેઓ નિયમિત અમારા ઘરની મુલાકાતે આવતા હતા. જ્યારે મને ગર્ભાવસ્થા હોવાની જાણ થઈ ત્યારે “માતૃવંદના યોજના” લાભ મળવાપાત્ર હોવાથી સૌ પ્રથમ મારી નોંધણી કરવામાં આવી હતી. સગર્ભાવસ્થા દરમિયાન અમારી આશાવર્કર બહેન દ્વારા ખાસ કાળજી લેવામાં આવતી હતી. આ યોજનામાં મળવાપાત્ર રૂા.૫,૦૦૦/- ની સહાય તબક્કાવાર મારા બેંક ખાતામાં જમા થઈ હતી. જેના થકી દવાખાનાની સારવાર કરાવવામાં અમને ખૂબ મદદ મળી છે. તેમજ દવાઓ અને જરૂરી આયર્નની ગોળીઓ પણ અમને પુરી પાડવામાં આવતી હતી. સરકારની યોજનાનો લાભ મળતા આજે હું આનંદની લાગણી અનુભવું છું.    
  કરાઠાં ગામના જ બીજા એક લાભાર્થી બહેન વર્ષાબેન નિલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમારા ગામના આશાબહેને “માતૃવંદના યોજના” ની સમજ આપી તેમાં મળવાપાત્ર લાભોની જાણકારી આપી હતી. જેથી અમને આ યોજનામાં સમાવી નવ મહિના સુધી અમારી ખૂબ કાળજી લેવામાં આવી હતી. સગર્ભાવસ્થા દરમિયાન કેવી કાળજી રાખવી, તંદુરસ્ત બાળક માટે કેવો ખોરાક આરોગવો તેમજ વાંચન સહિતની પ્રવૃત્તિઓ અને નિયમિત લેવાની દવાઓ-ગોળીઓની પુરતી સમજ આશાવર્કર બહેન દ્વારા આપવામાં આવતી હતી. આ યોજનાનો લાભ મળવાથી આજે હું અને મારું બાળક બંને સ્વસ્થ છીએ તેમ કહી ખુશી વ્યક્ત કરી હતી.

(10:28 pm IST)