Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

આઝાદી કા અમૃતમહોત્સવ' અંતર્ગત આઈ. આઈ. ટી. ઈ. ( IITE) દ્વારા ‘નમામિ શારદામ’ અભિયાનનો પ્રારંભ

રાજ્યભરની આઝાદી પૂર્વેની ૭૦૦૦થી વધુ શૈક્ષણિક સંસ્થાઓનું અભિવાદન કરવામાં આવશે:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું તે વડનગર કુમાર શાળા નંબર-૧થી અભિયાનનો પ્રારંભ

અમદાવાદ : આઈ.આઈ.ટી.ઈ. ના અનુસ્નાતક કોર્સના  ૩૫ વિદ્યાર્થીઓ રાજ્યના તમામ જિલ્લાના આઝાદી પૂર્વેથી વર્તમાન શૈક્ષણિક  વ્યવસ્થાઓ અંગે ઐતિહાસિક સંશોધન કાર્ય કરશે .         

   સમગ્ર રાષ્ટ્ર ' આઝાદી કા અમૃત મહોત્સવ 'ની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ગાંધીનગર સ્થિત ભારતીય શિક્ષણ પ્રશિક્ષણ સંસ્થાન (આઈ.આઈ.ટી.ઈ (IITE))દ્વારા આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે ગઈકાલે તા. ૨૭ જાન્યુઆરીના રોજથી   ‘નમામિ શારદામ્ ' એટલેકે  નમો માતૃભૂમિ મિશન- શારદામ્  અભિયાનની શરૂઆત કરવામાં આવી છે 
  સમગ્ર વર્ષ દરમ્યાન ચાલનારા આ અભિયાનની વિગતો આપતાં યુનિવર્સિટીના કુલપતિ ડો. હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી એ ૧૨ માર્ચ ૨૦૨૧ ના રોજ સાબરમતી આશ્રમ ખાતે સમગ્ર દેશને 'આઝાદી કા અમૃત મહોત્સવ' માં સહભાગી થવા અને ભાવિ પેઢીને સ્વતંત્રતા આંદોલન અને સેનાનીઓની વીર ગાથાથી અવગત કરાવવા આહ્વાન કર્યું હતું .
શૈક્ષણિક સંસ્થાઓ પ્રેરણાના સ્ત્રોત હતા. આ સંસ્થાઓએ અનેક રાજકીય, સામાજિક , શૈક્ષણિક આગેવાનો સમાજને આપ્યા છે. આઝાદી પૂર્વે સ્થપાયેલી અને હાલમાં કાર્યરત એવી ૬૬૨૯ જેટલી પ્રાથમિક શાળાઓ , માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ મળી લગભગ ૭૦૦૦ જેટલા કેળવણીના ધામોનું યોગદાન વ્યક્તિ અને રાષ્ટ્ર નિર્માણમાં વિવિધ પ્રકારે રહ્યું છે. 
  સંસ્થાના યોગદાનને બિરદાવવા, અભિવાદન કરવા અને તેના વારસાને સમાજ સુધી લઈ જવા આઈ.આઈ.ટી.ઈ.(IITE) દ્વારા ' નમામિ માતૃભૂમિ મિશન શારદામ ' એટલે કે ' નમામિ શારદામ ' ની અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
  આ કાર્યક્રમની શરૂઆત આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રાથમિક શિક્ષણ જે શાળામાંથી મેળવ્યું હતું તે મહેસાણા જિલ્લાના વડનગરની વર્ષ ૧૮૮૮ માં સ્થપાયેલ ' વડનગર કુમાર શાળા નં-૧ થી કરવામાં આવ્યો હતો .
    ગઈકાલે યોજાયેલ  સંસ્થા અભિવાદન કાર્યક્રમમાં આઈઆઈટીઈના કુલપતિ ડો. હર્ષદ પટેલ દ્વારા સંસ્થાના આચાર્ય શરદભાઈ મોદીને પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે જીસીઈઆરટી નિયામક ડો. ટી. એસ. જોશી , જીલ્લા શિક્ષણાધિકારી એ. કે. મોઢ , જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ગૌરાંગ વ્યાસ , ડી એન હાઈસ્કૂલના આચાર્ય બાબુભાઈ પ્રજાપતિ , જીલ્લા કચેરીના અધિકારીઓ , શિક્ષક ગણ , શિક્ષક સંઘના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
નમામિ શારદામ અભિયાનના સંયોજક ડો. સુધીર ટંડેલે અનુસ્નાતક વિભાગ દ્વારા હાથ ધરાનાર ઐતિહાસિક સંશાધનની વિગતો આપતાં જણાવ્યું હતું કે , આ અભિયાન અંતર્ગત અનુસ્નાતક કોર્સના ૩૫ વિધાર્થીઓ રાજ્યના તમામ જિલ્લાની આઝાદી પૂર્વે અને પછી સ્થપાયેલ શૈક્ષણિક સંસ્થાઓનો અભ્યાસ કરી રાજ્યના શિક્ષણના ઈતિહાસની માહિતી સંકલિત કરશે.

(7:14 pm IST)