Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

રાજ્યમાં માલધારી મહાપંચાયત લડાયક મૂડમાં :ગાયો અને ગોવાળના પ્રશ્નોને લઈને સૌરાષ્ટ્રમા સંમેલનો યોજશે

રાજકોટ, સુરેન્દ્રનગર, જામજોધપુર, દ્વારકા,પોરબંદર,વેરાવળ,કેશોદ સહિતના વિસ્તારોમાં ગ્રુપ મીટીંગો તેમજ માલધારી મહાસંમેલનો યોજીને માલધારી સમાજના તેમજ ગાયોના પ્રશ્નોને ઉજાગર કરશે

અમદાવાદ : ગુજરાત માલધારી મહાપંચાયતના પ્રવકતા નાગજી દેસાઈ એ જાહેરાત કરતા જણાવ્યું કે ગુજરાત વિધાનસભામાં ગાયોના ગૌચર ગળી જવા લાવવામાં આવેલો કાળો કાયદો(Law)રદ કરવા તેમજ માલધારીઓના વિવિધ પ્રશ્નોને ઉજાગર કરવા તેઓ આંદોલન ચલાવી રહ્યા છે. જેને લઈને તેઓએ અગાઉ ધરણા. રેલી જેવા કાર્યક્રમો પણ આપ્યા. સાથે જ સરકારને જરૂરી રજુઆત પણ કરી. જોકે સરકારે તેમાં ધ્યાન નહિ આપતા ગુજરાત માલધારી મહાપંચાયતની રચના કરવામાં આવી અને આંદોલન ની જાહેરાત કરાઈ. જેમાં સૌ પ્રથમ માલધારી સમાજમાં નવા કાયદાના નુકશાન અને ફાયદા અંગે માહિતી આપતી પત્રિકા વિતરણ શરૂ કરાયુ અને હવે તેઓએ સંમેલનની જાહેરાત કરી છે. જેની સાથે પત્રિકા આંદોલન પણ શરૂ રહેશે.

 નાગજી દેસાઈએ જણાવ્યું કે આંદોલનના ભાગ રૂપે તા,30 મેથી 1 જૂન દરમ્યાન ગુજરાત માલધારી મહાપંચાયત સમિતિ રાજકોટ, સુરેન્દ્રનગર, જામજોધપુર, દ્વારકા, પોરબંદર, વેરાવળ,કેશોદ સહિતના વિસ્તારોમાં ગ્રુપ મીટીંગો તેમજ માલધારી મહાસંમેલનો યોજીને માલધારી સમાજના તેમજ ગાયોના પ્રશ્નોને ઉજાગર કરવાના પ્રયાસ કરશે.નાગજીભાઈ દેસાઈ વધુમાં જણાવ્યુ કે આ તારીખ દરમ્યાન આ સંમેલનોમાં માલધારી સમાજના સંતો, મહંતો, ભુવાઆતા, ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ, ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ અને રાજકીય સામાજીક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં માલધારી સમાજ ઉપસ્થિત રહેશે.

આ સંમેલનમાં સમાજને એકઠો કરવો. સમાજમાં જાગૃતિ લાવવા પ્રયાસ. કાયદા અંગે શુ કરી શકાય. સરકારને રજુઆત કરવી. કેવા કેવા કાર્યક્રમો આપવા. આંદોલન કેવી રીતે આગળ વધારવું વગેરે જેવા મુદાઓ અંગે ચર્ચા થશે. તેમજ ગુજરાત માલધારી મહાપંચાયત સમિતિએ આગામી દિવસમાં ધારાસભ્યોનો ઘેરાવ કરવાનું પણ વિચારી રહી છે. જે મુદ્દે પણ આ સંમેલનમાં નિર્ણય લેવાઈ શકે છે.

(7:39 pm IST)