Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટ્ટીબદ્ધ :છેલ્લા બે વર્ષમાં આયોગને 125 લાખની રકમ ફાળવાઈ: સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી પ્રદીપભાઈ પરમાર

ગાંધીનગર :સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી પ્રદીપભાઈ પરમાર જણાવ્યું છે કે રાજ્યના બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટ્ટીબદ્ધ છે. આ માટે બિન અનામત આયોગ કાર્યરત કરીને વિવિધ યોજનાકીય લાભો રાજય સરકાર દ્વારા પૂરા પાડવામાં આવે છે. છેલ્લા બે વર્ષમાં આયોગને રૂપિયા ૧૨૫ લાખની રકમ ફાળવાઈ છે.

આજે વિધાનસભા ખાતે બિન અનામત આયોગને ફાળવાયેલ રકમના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીએ ઉમેર્યું કે, બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સુવિધાઓ, તાલીમ પૂરી પાડવા માટે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ બિન અનામત આયોગની રચના કરીને જે સહાયની જાહેરાત કરી છે જેને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અમે આગળ વધારીને વિદ્યાર્થીઓને સહાયરૂપ થવાનો નિરંતર પ્રયાસ કરવાના છીએ.
તેમણે ઉમેર્યું કે આ યોજનાના લાભો લાભાર્થીઓને મળી રહે એ માટે તમામ પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવે છે. રાજ્યમાં ચાલતા મેડિકલ-ડેન્ટલના સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો, વ્યવસાયિક અભ્યાસક્રમો, ઇજનેરી, ટેકનોલોજી, ફાર્મસી, આર્કિટેક્ચર, આયુર્વેદિક, હોમિયોપેથી, ફિઝીયોથેરાપી,  વેટરનીટી અભ્યાસક્રમો માટે અભ્યાસક્રમની કુલ ટ્યુશન ફી અથવા રૂપિયા ૧૦ લાખ તે બે પૈકી જે ઓછું હોય તે પ્રમાણેની લોન ૪ ટકાના સાદા વ્યાજે નિગમ દ્વારા આપવામાં આવે છે. ઉપરાંત વિદેશ અભ્યાસ માટે રૂપિયા ૧૫ લાખની વિદેશ અભ્યાસ લોન આપવામાં આવે છે. આ ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે ગુજકેટ, નીટ સહિતની  પરીક્ષાઓ માટે પણ તાલીમ પૂરી પાડવામાં આવી રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

(7:59 pm IST)