પત્રકાર પરિષદની તસ્વીરોમાં વિરાટ શિવલિંગ, નંદી મહારાજ, કાચબાના દર્શન થાય છે. સ્ટેજ પર ઇન્દ્રનીલ રાજગુરૂ સાથે સ્વરાજ રાજગુરૂ, મહેન્દ્રભાઇ ગજજર, જગદીશભાઇ મોરી નજરે પડે છ.ે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
રાજકોટ તા. ર૯ : દેવાધિદેવ મહાદેવને અતિ પ્રિય એવા પવિત્ર પાવનકારી શ્રાવણ માસનો આજથી મંગલ પ્રારંભ થયો છેે. અને આ પવિત્ર માસમાં શિવભકતો સતત એક મહિના સુધી શિવભકિતમાં લીન થશે. ત્યારે શિવજીના અનન્ય ભકત એવા ઇન્દ્રનીલ રાજગુરૂએ રાજકોટની તદ્દન નજીક શિવધામનું નિર્માણ કરીને મહાદેવની શ્રેષ્ઠ આરાધના કરી છેે. શિવધામમાં ગુજરાતના સૌથી મોટા અને એક માત્ર રપ ફુટના રૂદ્રાક્ષના શિવલિંગ અને બાર જયોતિલિંગની સ્થાપના પણ કરી છે. આ ત્રણ દિવસમાં શિવધામમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને શ્રાવણ માસના પહેલા સોમવારે પ્રાણપ્રતિષ્ઠા, મહાઆરતી, સાંસ્કૃતિક કાર્યક્રમ મહાપ્રસાદ, અને લોકડાયરો જેવા કાર્યક્રમો યોજાશે.
આ શિવધામ અને ધાર્મિક કાર્યક્રમો અંગે પત્રકારોને માહિતી આપતા સામાજિક અગ્રણી અને અનન્ય શિવભકત ઇન્દ્રનિલ રાજગુરૂએ કહ્યું હતું કે, રાજકોટની ભાગોળે બેડી-વાંકાનેર રોડ ઉપર હડમતીયા પાસે આવેલી સંજયભાઇ રાજગુરૂ કોલેજના કેમ્પસમાં શિવધામનું નિર્માણ કરવામાં આવ્યું છે આ શિવધામ જે સ્થળે બનાવવામાં આવ્યું છે તે સ્થળ અત્યંત રમણીય અને નૈસર્ગીક છ.ે અને ડુંગર ઉપર તળાવની વચ્ચે આવેલું છે. આ શિવધામમાં રપ ફુટના રૂદ્રાક્ષથી બનેલા
શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે. સાથોસાથ બાર જયોતિર્લીંગની સ્થાપના પણ કરવામાં આવી છે. મંદિર પાસે લીલોછમ ગાર્ડન પણ છે જે તન મનને શાંતિ આપે છે.
ઇન્દ્રનિલ રાજયગુરૂએ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, આ શિવધામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. આ કાર્યક્રમો આવતીકાલથી ત્રણ દિવસ સુધી ચાલશે અને ત્રીજા દિવસે એટલ કે શ્રાવણ માસના પહેલા સોમવારે પણ પ્રતિષ્ઠા થશે.
તેમણે કહ્યું હતું કે, આવતીકાલે તા. ૩૦ ને શનિવારે સવારે તેમ જ તા. ૩૧ને રવિવારે સવારે પ્રાણ પ્રતિષ્ઠાની લઘુરૂદ્ર વિધિ કરવામાં આવશે. આ પછી તા. ૧ લી ઓગસ્ટથી સોમવારે એટલે કે શ્રાવણ માસના પહેલા સોમવારે આખો દિવસના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જેમાં સવારે ૯-૦૦ વાગ્યે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ થશે અને સાંજે પ-૩૦ કલાકે બીડું હોમવામાં આવશે. સાંજે ૬-૩૦ વાગ્યે મહાઆરતીનો કાર્યક્રમ યોજાશે. આ મહા આરતીમાં રાજગુરૂ પરિવારના સભ્યો અને અન્ય આમંત્રિતો જોડાશે.
મહાઆરતી બાદ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે જેમાં દેવ ભટ્ટ અને સાથી કલાકારો શિવની વેશભૂષામાં કલા રજૂ કરશે અને ત્યારબાદ ૮-૦૦ વાગ્યે મહાપ્રસાદ યોજાશે. આ પછી રાત્રે ૧૦-૦૦ વાગ્યે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકડાયરામાં સુપ્રસિદ્ધ લોક કલાકાર ઓસમાણ મીર, સાહિત્યકાર રણજીત વાંક તથા હાસ્ય કલાકાર સુખદેવ ધામેલિયા ઉપસ્થિત રહીને શિવ મહાત્મય રજૂ કરશે.
ઇન્દ્રનિલ રાજગુરૂએ કહ્યું હતું કે, આપણાં આદિ શંકરાચાર્ય એટલે કે, દેવાધિદેવ મહાદેવ દ્વારા હિન્દુ ધર્મની સ્થાપના થઇ હતી અને તેમાં સૃષ્ટિના સર્જકનું નામ શિવ આપ્યું હતું તેમજ લિંગનો આકાર આપ્યો હતો. આમ કરવા પાછળનો હેતુ એ હતો કે માનવી પંચતત્વની સમજ કેળવીને સુદ્રઢ જીવન જીવે. આ મહત્વને ધ્યાનમાં રાખીને આ શિવધામની સ્થાપના કરવામાં આવી છે.
આ તમામ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા અને પ્રાણ પ્રતિષ્ઠાનો લાભ લેવા ઇન્દ્રનિલ રાજયગુરૂ, ગં. સ્વ. જસુતિબેન, સંજયભાઇ રાજગુરૂ, પરસોતમભાઇ રાજયગુરૂ, દર્શનાબેન આઇ. રાજગુરૂ, દર્શનીલ આઇ. રાજગુરૂ તથા સ્વરાજ આઇ. રાજગુરૂ ઉપરાંત સમગ્ર રાજગુરૂ પરિવાર અને મિત્ર મંડળે સૌને જાહેર આમંત્રણ પાઠવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ ઇન્દ્રનિલ એ શ્રાવણ માસમાં રેસકોર્સના મેદાનમાં જાહેર જનતા માટે શિવ મહોત્સવનું આયોજન કર્યું હતું અને લાખો લોકોએ તેનો લાભ લીધો હતો. હવે શિવજીની પ્રેરણાથી જ તેમના દ્વારા રાજકોટની ભાગોળે કાયમી ધોરણે આ શિવધામ મંદિર બનાવવામાં આવ્યું છે.