Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

ગાંધીનગરમાં બેકાબુ બનેલ કારે રિક્ષાને ટક્કર મારતા સવાર મુસાફરનું ઘટનાસ્થળેજ મોત

ગાંધીનગર :  ગાંધીનગરના પહોળા અને પાકા રાજમાર્ગો રાત્રીના સમયે ખુલ્લા હોય છે અને તે વખતે ઘણા વાહનચાલકો અંકુશ બહારની ઝડપે વાહનો દોડાવતા હોય છે જેના કારણે ગમખ્વાર અકસ્માતો સર્જાતા હોય છે. ગઇરાત્રે ભાટ પાસે અપોલો સર્કલ નજીક રિક્ષાને પાછળથી કારે ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં રિક્ષામાં સવાર મુસાફરનું મોત નિપજ્યું હતુ.

અમદાવાદ સરદારનગરમાં રહેતા અને તેમના સગાની રિક્ષા ભાડે ચલાવતા સોનુભાઇ રાજેશભાઇ ગુરુબાનીએ આ અંગે ફિરયાદ આપી હતી કે, તેઓ ગઇકાલે રાત્રે બાર વાગ્યાના અરસામાં રિક્ષા લઇને એરપોર્ટ પાસે ઉભા હતા ત્યારે બિહારના રહેવાસી અરૃણકુમાર ચંન્દ્રેશ્વર તિવારી તેમની પાસે ગયા હતા અને ગાંધીગર જવાનું કહ્યું હતું જેથી તેમણે રિક્ષામાં બેસી જવાનું કહ્યું હતું.રિક્ષા ગાંધીનગરના ભાટ નજીક એપોલો સર્કલ પાસે પહોંચી હતી તે દરમિયાન જ પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલી કારે રિક્ષાને ટક્કર મારી હતી.

આ અકસ્માતમાં રિક્ષા રોડની સાઇડમાં ઉતરી ગઇ હતી જ્યારે પુરપાટ ઝડપે ચાલી રહેલી કાર ડિવાઇડર ઉપર ચઢી ગઇ હતી. રિક્ષા અને કારના આ ગંભીર અકસ્માતમાં રિક્ષામાં સવાર અરૃણભાઇનું સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું જ્યારે રિક્ષાચાલક સોનુભાઇને શરીર ઉપર ગંભીર ઇજાઓ પહોંચી હતી.આ બનાવ અંગે રિક્ષાચાલકે અડાલજ પોલીસ સ્ટેશનમાં કારચાલક સામે ગુનો નોંધાવ્યો છે. જેના પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:51 pm IST)