Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

સુરતના રામભક્‍ત પાસે ૨૨૨ તોલા સોનાની શાહીથી લખેલી ૧૯ કિલો વજનની સોનાની રામાયણ

વર્ષમાં એક વાર રામનવમીના દિવસે જાહેરમાં મુકવામાં આવે છે : આ રામાયણમાં ૫૩૦ પાના છે અને ૨૨૨ તોલાના સ્‍વર્ણની શાહીથી લખવામાં આવી છેઃ જેનું વજન ૧૯ કિલો છે. રામાયણ ૧૦ કિલો ચાંદી, ૪૦૦૦ હીરા, માણેક, પન્ના અને નીલમથી સજાવવામાં આવી છે જેની કિંમત કરોડોમાં છે

સુરત, તા.૩૦: મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના જીવન અંગે ઋષિ વાલ્‍મિકીની રામાયણ અંગે ઘણું સાંભળવામાં આવે છે પરંતુ સુરત શહેરમાં ૧૯ કિલોની એક દુર્લભ કહી શકાય એવી સોનાની રામાયણ છે. જેને માત્ર વર્ષમાં એક વાર રામનવમીના દિવસે જાહેરમાં મુકવામાં આવે છે.

દેશભરમાં રામનવમીને ઉજવણી ભાવી ભક્‍તો હર્ષોલ્લાપૂર્વકથી ઉજવી રહ્યા છે ત્‍યારે ભેસ્‍તાન વિસ્‍તારમાં આવેલા લુહાર ફળિયામાં રહેતા ગુણવંતભાઈ પાસે સોનાની રામાયણ છે. જેને જોવા માટે ભક્‍તોએ એક વર્ષ રાહ જોવી પડે છે કારણ કે ભગવાન રામના જન્‍મદિવસે જ તેને જાહેર જનતા માટે ખુલ્લી મુકવામાં આવે છે. સોનાની આ રામાયણમાં ૫૩૦ પાના છે અને ૨૨૨ તોલાના સ્‍વર્ણની શાહીથી લખવામાં આવી છે. જેનું વજન ૧૯ કિલો છે. રામાયણ ૧૦ કિલો ચાંદી, ૪૦૦૦ હીરા, માણેક, પન્ના અને નીલમથી સજાવવામાં આવી છે જેની કિંમત કરોડોમાં છે. સ્‍વર્ણ રામાયણના મુખ્‍ય પળષ્ઠ પર એક તોલા સોનાથી ભગવાન શિવ અને અડધા તોલા સોનાથી હનુમાનદાદાની પ્રતિમા બનાવવામાં આવી છે. વર્ષ ૧૯૮૧માં રામભાઈ ભક્‍ત દ્વારા આ સ્‍વર્ણ રામાયણને ખાસ પુષ્‍ય નક્ષત્રમાં જ લખવામાં આવી હતી. કુલ ૯ મહિના અને ૯ કલાકમાં આ રામાયણ લખવામાં આવીજેમાં ૧૨ લોકો શામેલ હતા. ૫૩૦ પાના પર ભગવાન રામના જીવનને ચિત્રિત કરવામાં આવ્‍યુ છે. આ રામાયણમાં ૫ કરોડ વાર શ્રી રામ લખવામાં આવ્‍યું છે.

રામાયણ લખનાર રામભાઈ ભક્‍તના સંબધી ગુણવંતભાઈએ જણાવ્‍યું કે, રામાયણ માટે જર્મનીથી પાના મંગાવવામાં આવ્‍યા હતા. જેને પાણીથી ધોવા છતાં પણ તેની ઉપર કોઈ અસર થતી નથી. જર્મનીના આ કાગળ એટલા સફેદ છે કે હાથ લાગે તો પણ એની પર કોઈ ડાઘ લાગતો નથી

(4:11 pm IST)