Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

૧૩.૫૦ કરોડનું સોનુ લઇ બુલિયન વેપારીનો કર્મચારી ફરાર

૧૩.૫૦ કરોડની કિંમતનું સોનુ મુંબઇ મોકલવાનું હતુ : કર્મચારી ટ્રાવેલ્‍સમાંથી બારોબાર જથ્‍થો ટ્રાન્‍સફર કરી છૂમંતર : અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ થતાં ગુન્‍હો નોંધી તપાસ શરૂ કરી : કુલ પાંચ જણાની સંડોવણી ખુલી

અમદાવાદ તા. ૩૦ : અમદાવાદના બુલિયનના વેપારીની દુકાનમાં કામ કરતા કર્મચારીએ મુંબઈ ૨૫ કિલો સોનાની ડિલિવરી આપવા જતા રસ્‍તામાં જ મિત્રો સાથે મળીને ૧૩.૫૦ કરોડનું કિલો સોનું લઈને ફરાર થઇ ગયો છે. અગાઉ આ મામલે વેપારીએ ૫ લોકો સામે ક્રાઈમ બ્રાન્‍ચમાં અરજી કરી હતી. ત્‍યારે હવે ૨૫ કિલો સોનું લઈને નાસી ગયેલા દુકાનના કર્મચારી સહિત ૫ વ્‍યક્‍તિ સામે ક્રાઈમ બ્રાન્‍ચમાં ફરિયાદ નોંધાઈ છે. ક્રાઈમ બ્રાન્‍ચે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

શહેરના નિકોલ વિસ્‍તારમાં રહેતા વિજયભાઈ ઠુંમર નામના ૪૨ વર્ષીય વેપારીએ ફરિયાદ નોંધાવી છે. તેઓ પોતે સી.જી રોડ ઉપર હનુમંતે બુલિયન તેમજ માણેકચોક ખાતે ઓફિસ ધરાવી બુલિયન અને ગોલ્‍ડને લગતુ કામ છેલ્લા ત્રણ વર્ષથી કરે છે. તેઓની ઓફિસમાં સ્‍ટાફ તરીકે ત્રાગડમાં રહેતો યશ ચિરાગભાઈ પંડ્‍યા બે વર્ષથી કામ કરે છે. યશ પંડ્‍યાના પિતા ચિરાગ પંડ્‍યાને ફરિયાદી વેપારી વર્ષોથી ઓળખતા હોય તેઓના કહેવાથી યશ પંડ્‍યાને પોતાના ત્‍યાં નોકરીએ રાખ્‍યો હતો.

વેપારીનું ૧૩.૫૦ કરોડની કિંમતનું ધંધાનું ૨૫ કિલો સોનું તેઓએ સુરતની યુનિક એન્‍ટરપ્રાઇઝ ખાતેથી ૧૫, ૧૬ અને ૧૭ જાન્‍યુઆરી ૨૦૨૩ના રોજ ખરીદ્યું હતું. જે ૨૫ કિલો સોનું મુંબઈ ખાતે મોકલવાનું હોવાથી ૧૯ જાન્‍યુઆરી ૨૦૨૩ ના રોજ તેઓની પાસે રહેલ અને નવા ખરીદેલ સોનાના એક એક કિલોના ૨૫ પટ્ટા એક બેગમાં મૂકીને તૈયાર કર્યા હતા. જે પાર્સલ મુંબઈ ખાતે મોકલવાનું હોવાથી વેપારીના મિત્ર પાર્થ નરેન્‍દ્રકુમાર શાહ, યશ પંડ્‍યા અને પોતાના મિત્ર પાર્થ શાહનો સાળો આદિત્‍ય તેમજ પાર્થ શાહને ત્‍યાં જ નોકરી કરતા મેહુલને માણેકચોકની દુકાનેથી ૨૫ કિલો સોનું આપ્‍યું હતું.

તમામ શખ્‍સો સીટીએમ એક્‍સપ્રેસ હાઇવેના નાકે ગયા હતા અને ફરિયાદી પણ તેઓને ત્‍યાં મળતા પાર્થ શાહે વેપારીને સોનું ભરેલી બે બેગ બતાવી હતી. જેમાં એક બેગમાં ૧૦ કિલો સોનું ભર્યું હતું અને તે બેગ આદિત્‍ય શાહને આપી હતી, તેમજ ૧૫ કિલો સોનું ભરેલી બેગ યશ પંડ્‍યાને આપી હતી. તેઓએ ગોલ્‍ડ સાથે તમામ યુવકોને ૧૯મી જાન્‍યુઆરી ૨૦૨૩ ના રોજ રાતના ૧૧ વાગે લક્ષ્મી ટ્રાવેલ્‍સની બસમાં બેસાડી મુંબઈ માટે રવાના કર્યા હતા.

૨૦ જાન્‍યુઆરી ૨૦૨૩ના વહેલી સવારના રોજ વેપારીના મિત્રના સાળા આદિત્‍ય શાહે તેઓને ફોન કરીને જણાવ્‍યું હતું કે, ભરૂચથી અંકલેશ્વર વચ્‍ચે આવેલ હોટલ ચૌધરી પેલેસ ખાતે લક્ષ્મી ટ્રાવેલ્‍સની બસ ચા નાસ્‍તો કરવા માટે ઉભી રાખવામાં આવી હતી. ત્‍યારે તે વોશરૂમ માટે ગયો અને તે દરમિયાન યશ પંડ્‍યા સોનાના પટ્ટા ભરેલી બેગ લઈને એક ઇનોવા કારમાં બેસીને ફરાર થઈ ગયો છે. જેથી વેપારીએ તરત જ યશ પંડ્‍યાને ફોન કરતા તેનો ફોન બંધ આવ્‍યો હતો. જે બાદ પાર્થ શાહે વેપારીને ફોન કરી તમામ હકીકત જણાવી હતી.

જે બાદ વેપારીએ યશ પંડ્‍યાના પિતા ચિરાગ પંડ્‍યાને ફોન કરીને યશ પંડ્‍યા તેઓનું ૨૫ કિલો સોનું લઈને નાસી ગયો હોવાની હકીકત જણાવી હતી. તેઓએ રૂબરૂ મળવા આવવાનું કહીને પોતાના દીકરાને શોધી લાવશે અને ૨૫ કિલો સોનું પરત અપાવશે. પરંતુ અત્‍યારે પોલીસ ફરિયાદ ન કરશો તેવી વાત કરી હતી. જે બાદ બીજા દિવસે યશ પંડ્‍યાના પિતા ચિરાગ પંડ્‍યા વેપારીને મળ્‍યા હતા અને તેઓએ જણાવ્‍યું હતું કે, યશ પંડ્‍યાનો ફોન બંધ આવે છે અને હાલ તે સંપર્કમાં નથી. પરંતુ પોતાને જાણવા મળ્‍યું છે કે યશ તેમજ તેનો મિત્ર નિકેત આચાર્ય અને બે ત્રણ માણસો પોતાની પાસેની ઇનોવા ગાડીમાં બેસી દિલ્‍હી તરફ ગયા છે. આ પ્રકારે વાત કરીને વેપારીને વિશ્વાસમાં લીધા હતા, જોકે બે ત્રણ દિવસ થવા છતાં પણ યશ પંડ્‍યાનો સંપર્ક ન થતા અંતે ૨૩ જાન્‍યુઆરી ૨૦૨૩ ના રોજ વેપારીએ આ મામલે અરજી કરી હતી અને અંતે આ સમગ્ર મામલે હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્‍ચમાં ફરિયાદ નોંધાઈ છે.

આ મામલે તપાસમાં સામે આવ્‍યું છે કે, ગોતામાં રહેતા નિકેત ઉર્ફે ચિન્‍ટુ આચાર્યએ ફરિયાદી વેપારીના ત્‍યાં નોકરી કરતા યશ પંડ્‍યા સાથે મળીને ગુનાહિત કાવતરૂં રચ્‍યું હતું. યશ પંડ્‍યા જે ટ્રાવેલ્‍સની બસમાં મુંબઈ જતો હોય તે બસનો ઇનોવા ગાડીથી પીછો કરી તેમજ આરોપીઓની સાથે દીપ રાજેશભાઈ ઝા અને નિકેત આચાર્યનો સાળો વગેરે લોકોએ પીછો કર્યો હતો. ભરૂચથી અંકલેશ્વર હોટલ ચૌધરી પેલેસ ખાતે બસ ઉભી રહી ત્‍યાં ૨૫ કિલો સોનું બસમાંથી ઉતારી પોતાની ઇનોવા ગાડીમાં લઈને તમામ આરોપીઓ ફરાર થઈ ગયા છે. આ સમગ્ર મામલે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્‍ચે યશ પંડ્‍યા, નિકેત ઉર્ફે ચિન્‍ટુ આચાર્ય, દીપ ઝાં, મોઈન તેમજ નિકેત આચાર્યના સાળા સહિત કુલ પાંચ લોકો સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

આ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્‍ચના DCP ચૈતન્‍ય મંડલીકે ETV ભારત સાથે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્‍યું હતું કે આ મામલે નોકર ચોરીને લઈને ગુનો દાખલ કરવામાં આવ્‍યો છે, હાલ આ ગુનામાં સામેલ આરોપીઓને પકડવા માટે ટિમો કામે લગાડવામાં આવી છે.

(3:33 pm IST)