Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

સોનેરી ઉપલબ્‍ધી : દેશનાં ૧૦૦ તાકાતવર હસ્‍તીઓની યાદીમાં સી.આર.પાટીલનો સતત બીજી વખત સમાવેશ

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉપર અભિનંદનની વર્ષા પેજ સમીતીના પ્રણેતા તથા સંગઠનના કુશળ સંચાલક તરીકે મેળવી છે નામનાઃ ગુજરાતમાં ભાજપના વિજયમાં સિંહફાળો

રાજકોટ, તા., ૩૧: ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર તેમજ પેજ સમીતીના પ્રણેતા એવા યશસ્‍વી પ્રદેશ અધ્‍યક્ષશ્રી સી.આર.પાટીલજીને સતત બીજી વખત દેશના ખ્‍યાતનામ દૈનિક અખબાર ઇન્‍ડીયન એકસપ્રેસ દ્વારા દેશના ૧૦૦ સૌથી શકિતશાળી વ્‍યકિતઓની યાદીમાં સમાવેશ કરવામાં આવ્‍યો છે.

શ્રી સી.આર.પાટીલજીએ વર્ષ ર૦૧૯ની લોકસભાની ચુંટણીમાં ૬લાખ૮૯ હજારથી વધુ મતોથી જંગી સરસાઇથી જીત મેળવી સૌથી વધુ મતોથી જીતનાર લોકપ્રિય સાંસદ છે. શ્રી સી.આર.પાટીલજી તેમના મત વિસ્‍તારમાં ખુબ સક્રિય   રહે છે જેના કારણે સતત ત્રીજી વખત સાંસદ તરીકે ચૂંટાઇ આવ્‍યા છે. સી.આર.પાટીલ તેમના મત વિસ્‍તારમાં મજબૂત સંગઠન શક્‍તિને કારણે તેઓને દેશના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી સાહેબે જુલાઇ ૨૦૨૦માં ગુજરાત પ્રદેશના અધ્‍યક્ષ તરીકેની જવાબદારી સોંપી હતી.

સી.આર.પાટીલે પ્રદેશ અધ્‍યક્ષ બન્‍યા પછી મજબૂત સંગઠન શક્‍તિથી પાર્ટીના કાર્યકરોમાં નવી દિશા અને ઉર્જાનો સંચાર કર્યો. દેશ અને રાજયના વિકાસમાં નવ યુવાનો તેમજ દેશભાવના વધે તેવા પ્રયાસો કર્યા તેમજ મતદારો પ્રત્‍યે ડોર ટુ ડોર કાર્યકરો સંપર્કમાં રહે તે પ્રયાસ માટે પેજ સમિતિની રચના કરી જે આજે સમગ્ર દેશમાં વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી, દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહ  તેમજ રાષ્ટ્રીય અધ્‍યક્ષશ્રી જે.પી.નડ્ડાએ પણ પેજ સમિતિના કાર્યને બીરદાવ્‍યું છે અને દેશભરમાં કાર્યરત કરવામાં આવ્‍યું છે.

પ્રદેશ અધ્‍યક્ષ બન્‍યા પછી સી.આર.પાટીલની મજબૂત સંગઠન શક્‍તિ, કાર્યકરોને સતત નવુ માર્ગદર્શન આપી પેજ સમિતિના સત્રથી તમામ ચૂંટણી જેવી તે તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગર પાલિકા, વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજય બનાવ્‍યા છે અને કાર્યકરોને પ્રોત્‍સાહિત કર્યા છે જેનો લાભ ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીમાં પક્ષને ભવ્‍યથી ભવ્‍ય જીત થઇ કે જે કોંગ્રેસનો જ રેકોર્ડ તોડી ૧૮૨ માંથી ૧૫૬ બેઠકોમાં ઐતિહાસિક વિજય અપાવામાં મહત્‍વની ભૂમિકા ભજવી છે.

સી.આર.પાટીલે પેજ સમિતિની રચના કરી કાર્યકરો મતદારો સુધી સતત જન સપંર્કમાં રહે અને કેન્‍દ્ર અને રાજય સરકારની દરેક યોજના જરૂરિયાત મંદ વ્‍યકિતને મળે તેમજ સુપોષણ અભિયાન જેવા જનસેવાકીય કાર્યો કર્યા તેમજ સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણીમાં યુવાનોને ટીકિટ આપવાનું આહવાહન કર્યુ હતું તેમજ એક વ્‍યકિત એક હોદ્દો જેવી કાર્યપદ્ધતિ અપનાવી કાર્યકરોને ઉર્જાથી પ્રેરીત કર્યા હતા.

સી.આર.પાટીલે કાર્યકરોને કાર્ય કરવા પ્રેરિત કરવા તેમજ કાર્યકરોના કામ એક સ્‍થળ પર થઇ શકે તે માટે રાજયમા શહેર અને જિલ્લામાં કાર્યાલય બનાવવા માટે આહવાહન કર્યુ હતું. તેમજ વિધાનસભા ચૂંટણી સમયે કાર્યકરોમાં નારાજગી ન રહે અને તેમની સમસ્‍યા સાંભળવા માટે વન ડે વન ડિસ્‍ટ્રીકટ કાર્યક્રમ કરી વિઘાનસભાની ચૂંટણીમાં તમામ રેકોર્ડ તોડી ભાજપને વિજય અપાવામા મહત્‍વની ભૂમિકા ભજવી છે.

ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો વતી પ્રદેશ અધ્‍યક્ષ સી.આર.પાટીલને સતત બીજી વખત શક્‍તિશાળી વ્‍યકિતઓની યાદીમાં ૪૬ માં નંબરે સમાવેશ થતા અભિનંદન પાઠવ્‍યા છે.

(11:54 am IST)