Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

આણંદના બાકરોલમાં નજીવી બાબતે રીક્ષા ચાલકે દંપતી પર હુમલો કરતા ગુનો દાખલ

આણંદ: આણંદ પાસેના બાકરોલ ગામે કીચડવાળુ પાણી ઉડતા ઠપકો આપવા બાબતે એક રીક્ષા ચાલકે એક દંપતીને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનો બનાવ વિદ્યાનગર પોલીસ મથકે નોંધાયો છે. આણંદ પાસેના બાકરોલ ખાતે વસાવા કોલોનીમાં રહેતા મુકેશભાઈ અર્જુનભાઈ પરમારે બાકરોલ કોલોનીમાં જ રહેતા અને રીક્ષા ચલાવતા આરજુભાઈ ઈશાકભાઈ વ્હોરાને કીચડવાળુ પાણી ઉડતા રીક્ષા જોઈને ચલાવવા બાબતે કહ્યું હતું. જેથી આરજુભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને મુકેશભાઈને બીભત્સ અપશબ્દો બોલવા લાગ્યા હતા. આ અંગે રીસ રાખી આરજુભાઈ વ્હોરા રિક્ષા લઈ બાકરોલ કોલોની ચોકડી ઉપર ઉભા રહ્યા હતા અને મુકેશભાઈ અર્જુનભાઈ પરમાર તથા તેઓના પત્ની કાજલબેન ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ઉભા રાખી તને બહુ ચરબી છે તેમ કહી મુકેશભાઈને બોચી પકડી રિક્ષાના પાછળના ભાગે ભટકાવતા ઈજા પહોંચી હતી. સાથે સાથે આરજુભાઈ વ્હોરાએ કાજલબેનને પણ માર માર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મુકેશભાઈ પરમારે વિદ્યાનગર પોલીસ મથકમાં ફરીયાદ આપતા પોલીસે આરજુભાઈ ઈશાકભાઈ વ્હોરા વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(6:51 pm IST)