Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

મહારાષ્ટ્રમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : નવા 9170 કેસ નોંધાયા : ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ પંકજા મુંડે બીજીવાર કોરોના સંક્રમિત

મહારાષ્ટ્રમાં મૃત્યુ દર 2.11 ટકા:રાજ્યમાં વધુ 1445 દર્દીઓ સાજા થયા

મુંબઈ :મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. શનિવારે મહારાષ્ટ્રમાં 9 હજાર 170 નવા કોરોના કેસ નોંધાયા હતા. આ સાથે જ દુર્ભાગ્યપુર્ણ 7 લોકોના મોત થયા છે. તેમાંથી એકલા મુંબઈમાં જ 6 હજાર 347 નવા કેસ નોંધાયા છે. મુંબઈમાં એક વ્યક્તિનું મોત થયું છે.

 પૂર્વ મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ પંકજા મુંડે બીજી વખત કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. જેનાથી એ તપાસવામાં આવશે કે ક્યાંક આ વખતે તેમને ઓમિક્રોન સંક્રમણ તો નથી લાગ્યું. હાલમાં તેઓ મુંબઈમાં તેમના નિવાસસ્થાને ક્વોરન્ટીન છે.

પંકજા મુંડેએ ટ્વિટ કરીને પોતાને કોરોના સંક્રમણ લાગ્યું હોવાની માહિતી આપી છે. તેમણે લખ્યું છે કે, ‘કોરોના સંક્રમિત લોકોના સંપર્કમાં આવવાને કારણે મેં મારી જાતને ક્વોરન્ટીન કરી લીધી છે. ટેસ્ટ કરાવ્યો, રિપોર્ટ પોઝિટિવ આવ્યો. દરેક વ્યક્તિ પોતાનું ધ્યાન રાખે.

પંકજા મુંડે પહેલા પણ મહારાષ્ટ્રમાં 10 મંત્રીઓ અને 20 ધારાસભ્યો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. જે દસ મંત્રીઓ કોરોના પોઝિટિવ છે તેમાં બાળાસાહેબ થોરાટ (મહેસૂલ મંત્રી), વર્ષા ગાયકવાડ (શાળા શિક્ષણ મંત્રી), સુપ્રિયા સુલે (સાંસદ), કે.સી.પાડવી (આદિજાતિ વિકાસ મંત્રી), યશોમતી ઠાકુર (મહિલા અને બાળ કલ્યાણ મંત્રી), પ્રાજક્ત તનપુરે (ઉર્જા રાજ્ય મંત્રી), રાધાકૃષ્ણ વિખે પાટીલ (ભાજપ નેતા), હર્ષવર્ધન પાટીલ (ભાજપ નેતા), ડો. દીપક સાવંત (પૂર્વ આરોગ્ય મંત્રી, શિવસેના નેતા), સમીર મેઘે (ભાજપ ધારાસભ્ય) નો સમાવેશ થાય છે.

શનિવારે સમગ્ર રાજ્યમાં 9 હજાર 170 નવા કેસ નોંધાયા હતા. 7 લોકોના કોરોનાથી મોત થયા છે. હાલમાં રાજ્યમાં મૃત્યુ દર 2.11 ટકા છે. આ સાથે રાજ્યમાં 1 હજાર 445 લોકો કોરોનામાંથી સાજા થયા છે. અત્યાર સુધીમાં 65 લાખ 10 હજાર 541 લોકો કોરોનામાંથી મુક્ત થઈને પોતાના ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં રિકવરી રેટ 97.35 ટકા છે.

(12:34 am IST)