Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

આંખ ગુમાવનારા રિંકુ સિંહનો યુપીએસસીમાં ૬૮૩મો રેન્ક

૧૦૦ કરોડના સ્કોલરશિપ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો ઃ ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ માટે અધિકારીને સપાની સરકારમાં માનસિક રોગીઓના વોર્ડ સુધી મોકલાયા હતા

મેરઠ, તા.૧ ઃ ્રષ્ટાર વિરૃધ્ધ લડાઈ લડનારા રિંકૂ સિંહે જબ્બર આત્મવિશ્વાસથી સફળતતા પ્રાપ્ત કરી શકાય એ બાબત સાકાર કરી બતાવી છે. રિંકૂ સિંહે નક્કી કર્યું કે તે આગળ વધવા માંગે છે અને પછી તેમને ના તો માફિયા રોકી શક્યા અને ના તો માફિયાઓની સાત ગોળીઓ રોકી શકી. ૨૦૦૭ બેચના પીસીએસ અધિકારી રિંકૂ સિંહ રાહીએ વર્ષ ૨૦૦૯માં ૧૦૦ કરોડ રુપિયાના સ્કોલરશિપ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આ કૌભાંડ ઉજાગર કરીને રિંકૂ સિંહે માફિયાઓની દુશ્મની વ્હોરી લીધી હતી. ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઈ લડનાર રિંકૂ સિંહને સાત ગોળીઓ મારવામાં આવી હતી, જેમાં તેમણે પોતાની એક આંખ ગુમાવવી પડી હતી અને ચહેરા પર ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને સાંભળવામાં પણ સમસ્યા થતી હતી. પરંતુ તેમના ઈરાદા દ્રઢ હતા. તેઓ હિંમત નહોતા હાર્યા. તેમણે યુપીએસસીની તૈયારીઓ ચાલુ રાખી. આ વર્ષે તેમણે યુપીએસસીની પરીક્ષા પાસ કરી અને ૬૮૩મો રેક્ન મેળવ્યો છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૦૮માં રિંકૂ સિંહની પોસ્ટિંગ મુઝફ્ફરનગરમાં સમાજ કલ્યાણ અધિકારીના પદ પર થઈ હતી. આ દરમિયાન તેમણે કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. માફિયાએ પીસીએસ અધિકારી પર હુમલો કરવા માટે આઠ લોકોને મોકલ્યા હતા. તેમાંથી ચાર આરોપીઓને ૧૦ વર્ષની સજા થઈ હતી. રિંકૂ સિંહે જ્યારે કૌભાંડ ઉજાગર કર્યો ત્યારે તેમની ઉંમર ૨૬ વર્ષ હતી.

રિપોર્ટ અનુસાર, અત્યારે તેમની ઉંમર ૪૦ વર્ષ છે. તેઓ જણાવે છે કે, જ્યારે મને પરેશાન કરવામાં આવી રહ્યો હતો ત્યારે હું વ્યવસ્થા સામે નહોતો લડી રહ્યો, વ્યવસ્થા મારી સાથે લડી રહી હતી. હું હોસ્પિટલમાં ચાર મહિનાઓ સુધી રહ્યો. મેડિકલ પર મારી રજાઓ હજી સુધી મંજૂર કરવામાં નથી આવી. ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવવા માટે મને સમાજવાદી પાર્ટીની સરકારમાં માનસિક રોગીઓના વોર્ડ સુધી મોકલવામાં આવ્યો હતો. ઉત્તર પ્રદેશમાં સરકાર કોઈની પણ હોય, મારી મુશ્કેલી ઓછી નથી થઈ.

રિંકૂ સિંહે આગળ જણાવ્યું કે, જ્યારે હું ૧૦ વર્ષનો હતો ત્યારે મારા દાદાનું નિધન થઈ ગયુ હતું. મારા દાદીને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. ગુજરાન ચલાવવા માટે તે લોકોના ઘરમાં વાસણ સાફ કરવા જતા હતા. મારા પિતા ભણવામાં સારા હતા પરંતુ પરિવારની દેખરેખ માટે તેમણે અભ્યાસ છોડી દેવો પડ્યો હતો. હું વિચારતો હતો કે જો સરકારી અધિકારીઓ પ્રામાણિક હોતા તો અમને ઘણી યોજનાઓનો લાભ મળી શક્યો હોત. આ તમામ વાતો મને પરેશાન કરતી હતી અને પછી મેં સરકારી અધિકારી બનવાનો નિર્ણય લીધો.

(8:11 pm IST)