Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

ગોંડલની ૩ મહિલા કારની આગમાં ભડથુઃ ડ્રાઈવર ગંભીર

બિલીયાળા ગામ પાસે કપાસ ભરેલ ટ્રક અને કાર વચ્ચે ભયંકર અકસ્માત : ગરાસીયા પરિવારજનો સુરેન્દ્રનગરના ખેરાળી ગામે લૌકીક ક્રિયાએ જતા હતા ત્યારે દુર્ઘટનાઃ ગોંડલમાં ઘેરો શોક

ગોંડલઃ બીલીયાળા પાસે કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં ગોંડલના ગરાસીયા પરિવારના ૩ મહિલાના મોત નિપજતા અરેરાટી વ્યાપી છે. ઉપરોકત તસ્વીરોમાં વાહનોમાં આગની જવાળાઓ, આગ લાગ્યા બાદ ભસ્મીભૂત થયેલા વાહનો નજરે પડે છે (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા. ૨ :. આજે સવારે રાજકોટ-ગોંડલ હાઈ-વે ઉપર કપાસ ભરેલ ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા ગોંડલના ગરાસીયા પરિવારના ૩ મહિલાઓ કારમાં જ ભડથુ થઈ જતા ગોંડલમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગોંડલના દેરાસરી શેરી વિસ્તારમાં રહેતા મહેન્દ્રસિંહ રાયજાદાના સસરા પક્ષમાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેરાળી ગામે કોઈનું અવસાન થતા તેમના પરિવારજનો આઈ ટેન કાર લઈને ગોંડલથી સવારે નીકળ્યા હતા.

ત્યારે બીલીયાળા પાસે કપાસ ભરીને ટ્રક રોડ ઉપર આવી રહ્યો હતો ત્યારે કાર અને ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતના કારણે કપાસ ભરેલ ટ્રક અને કારમાં જોરદાર આગ ભભુકી ઉઠી હતી.

આગના કારણે કારમાં મુસાફરી કરી રહેલા રેખાબા ભીખુભા જાડેજા (ઉ.વ. ૬૪), રસીકબા કિશોરસિંહ રાયજાદા (ઉ.વ. ૭૮) અને મુકુંદબા મહેશસિંહ રાયજાદા (ઉ.વ. ૪૦)ના આગમાં ભડથુ થવાથી મોત થયુ હતું.

જ્યારે કાર ચાલક અને મૃતક મુકુંદબાના પતિ મહેશસિંહ રાયજાદા પણ આગમાં ગંભીર રીતે દાઝી જતા સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.

રાજકોટ-ગોંડલ હાઈ-વે ઉપર સવારે સર્જાયેલ અકસ્માતમાં આગ લાગતા ગોંડલ ફાયર બ્રિગેડની ટીમ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બન્ને વાહનોમાં લાગેલી આગ કાબુમાં લીધી હતી.

ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલ આ અકસ્માતની દુર્ઘટનામાં એક સાથે ૩ મહિલાઓના મોત થતા ગરાસીયા સમાજના આગેવાનો, કાર્યકરો હોસ્પીટલે દોડી ગયા હતા અને ઘેરો શોક છવાઈ ગયો છે.

આ બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

  • મૃતક રસીકબા રાયજાદાના પતિ કિશોરસિંહ નિવૃત મામલતદાર હતા

ગોંડલ, તા. ૨ :. ગોંડલના ગરાસીયા પરિવારના ૩ મહિલાના અકસ્માતમાં મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે.

મૃતક રસીકબા કિશોરસિંહ રાયજાદાના પતિ કિશોરસિંહ રાયજાદા નિવૃત મામલતદાર હતા અને તેમનુ પણ અવસાન થયેલ છે.

તેમને સંતાનમાં ૩ પુત્રો અને એક પુત્રી છે.

  • પત્નિ મુકુંદબા રાયજાદાનું મોતઃ પતિ મહેન્દ્રસિંહ સારવારમાં

ગોંડલ, તા. ૨ :. ગોંડલ પાસે સર્જાયેલ આ અકસ્માતમાં ૩ વ્યકિતના મોત થતા ગોંડલમાં ઘેરો શોક છવાઈ ગયો છે.

આ અકસ્માતમા કાર ચલાવી રહેલ મહેન્દ્રસિંહ રાયજાદા પણ ગંભીર રીતે દાઝી જતા તેમને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડેલ છે.

જ્યારે તેમના પત્નિ મુકુંદબાનુ મોત નિપજ્યુ હતું. મહેશસિંહ દેરાસરીમાં દૂધનું પાર્લર ચલાવે છે.

  • મૃતક રેખાબાના પતિ ભીખુભા ગોંડલ ક્ષત્રિય સમાજના પ્રમુખ

ગોંડલ, તા. ૨ :. ગોંડલના બિલીયાળા પાસે સર્જાયેલા અકસ્માતમાં મૃતક રેખાબા ભીખુભા જાડેજા (ઉ.વ. ૬૪)ના પતિ ભીખુભા જાડેજા ગોંડલ ક્ષત્રિય સમાજના પ્રમુખ છે.

ઉપરાંત ગોંડલ મહારાજા ભોજારાજસિંહ વિદ્યાર્થી ગૃહ ટ્રસ્ટના પ્રમુખપદે કાર્યરત છે.

તેમને સંતાનમાં એક પુત્ર છે અને ૪ પુત્રીઓ છે.

(11:02 am IST)