Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

કાનપુરમાં પતિ-પત્ની અને ૧૨ વર્ષના પુત્રની ક્રુર હત્યા

ઉત્તર પ્રદેશના કાનપુરની કાળજુ કંપાવનારી ઘટના : હત્યારાએ આ ઘટનાને પાર પાડ્યા પછી મૃતદેહોના માથા પોલિથીનથી બાંધ્યા અને કંબલથી ઢાંકીને ફરાર થઈ ગયા

કાનપુર, તા. : ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક કાળજુ કંપાવી નાખે તેવી ઘટના સામે આવી છે. શનિવારના રોજ પતિ-પત્ની અને તેમના ૧૨ વર્ષીય દીકરાની નિર્મમ હત્યા કરવામાં આવી છે. ત્રણ મૃતદેહો પરચૂરણની દુકાન પાસેના એક ઓરડામાંથી મળી આવ્યા હતા. હત્યારાએ ઘટનાને પાર પાડ્યા પછી મૃતદેહોના માથા પોલિથીનથી બાંધ્યા અને કંબલથી ઢાંકીને ફરાર થઈ ગયા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. સિવાય ફોરેન્સિક ટીમ, ડોગ સ્ક્વેટની ટીમ દ્વારા પણ નિરીક્ષણ કરવામાં આવ્યુ હતું. પ્રાપ્ત જાણકારી અનુસાર, કાનપુરના ફઝલગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા રાજકિશોર પરચૂરણની દુકાન ચલાવતા હતા અને પરિવારનું ગુજરાન દુકાનની આવકથી ચાલતુ હતું. પરિવારમાં પત્ની ગીતા અને ૧૨ વર્ષનો દીકરો નૈતિક હતા. રાજકિશોર પ્રેમ કિશોર જનરલ સ્ટોર નામથી દુકાન ચલાવતા હતા. ઉલ્લેખનીય છે કે મૃતક રાજકિશોરના પાડોશીએ શનિવારે સવારે જોયું કે એક વ્યક્તિ રાજકિશોરની બાઈક લઈને જઈ રહ્યો છે. તેમણે ઘરે જઈને જોયું તો બહારથી તાળુ હતું. પાડોશીઓએ વાતની ખબર મૃતકના ભાઈ પ્રેમ કિશોરને આપી.

પ્રેમ કિશોર ઘટના સ્થળ પર પહોંચ્યા તો રાજકિશોરના મોબાઈલ પર ફોન કર્યો પરંતુ કોઈએ ફોન ના ઉપાડ્યો. દરવાજો ખખડાવ્યા પછી પણ કોઈ જવાબ ના મળ્યો. પ્રેમ કિશોરને શંકા ગઈ તો તેમણે વાત પોલીસને જણાવી. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને તાળુ તોડ્યુ અને અંદરનું દ્રશ્ય જોઈને પોલીસના હોશ ઉડી ગયા. ત્રણ મૃતદેહ લોહીથી લથપથ પડ્યા હતા. ઘટનાની જાણકારી સમગ્ર વિસ્તારમાં આગની જેમ ફેલાઈ ગયા. મોટી સંખ્યામાં સ્થાનિકોની ભીડ ભેગી થઈ ગઈ.

ડીસીપી સંજીવ ત્યાગીના જણાવ્યા અનુસાર, પરિવાર પરચૂરણની દુકાન ચલાવતો હતો. સર્વેલન્સ, ફોરેન્સિકની ટીમ અને ડોગ સ્ક્વોડની ટીમ તપાસ કરી રહી છે. ટુંક સમયમાં ઘટનાનો ખુલાસો થઈ જશે. ત્રણ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.

(8:09 pm IST)