Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

૧૨માંની પરીક્ષામાં ગુજરાતના રમખાણો અંગે પૂછાયો 'અનુચિત' સવાલ : ધડાધડ પગલાના આદેશો

કયા પક્ષના કાર્યકાળમાં હિંસા થઇ'તી ? CBSEની પરીક્ષાના સમાજશાસ્ત્રના પેપરમાં સવાલ પૂછાયો : બોર્ડે ત્રુટી સ્વીકારી : જવાબદારો વિરૂધ્ધ કડક પગલા લેશે

નવી દિલ્હી તા. ૨ : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશન (CBSE)ની ધોરણ ૧૨ની ટર્મ-૧ની પરીક્ષાના પ્રથમ દિવસે જ સોશિયોલોજીના પેપરમાં ગુજરાતના ૨૦૦૨ના તોફાનોને લઈને વિવાદ સર્જાયો હતો. ગુજરાતમાં ૨૦૦૨ના મુસ્લિમ વિરોધી તોફાન કઈ સરકાર વખતે થયા હતા તેવો પ્રશ્ન પેપરમાં પૂછવામાં આવ્યો હતો. આ પ્રશ્નને લઈને ભારે વિવાદ થયા બાદ બોર્ડે પોતાની ભૂલ સ્વીકારી હતી અને જબાદાર લોકો સામે કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી હતી. વિવાદ ઊભો થતાં બોર્ડે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને પોતાની ભૂલ કબૂલી હતી.

CBSE બોર્ડ દ્વારા આ વખતે ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા બે ટર્મમાં લેવાનો નિર્ણય લીધો છે. જેના અનુસંધાને પ્રથમ ટર્મની ધોરણ ૧૦ની પરીક્ષા ૩૦ નવેમ્બરથી શરૂ થઈ હતી. જયારે ધોરણ ૧૨ની પ્રથમ ટર્મની પરીક્ષા ૧ ડિસેમ્બરથી શરૂ થઈ હતી. ધોરણ ૧૨માં પ્રથમ દિવસે સોશિયોલોજી વિષયની પરીક્ષા લેવાઈ હતી. જોકે, આ પેપરમાં એક પ્રશ્નને લઈને દેશમાં ભારે વિવાદ સર્જાયો હતો.

સીબીએસઈ બોર્ડ દ્વારા ધોરણ ૧૨માં સોશિયોલોજીના પેપરમાં એક મલ્ટી ચોઈસ કવેશ્ચન પૂછવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતના ૨૦૦૨ના મુસ્લિમ વિરોધી તોફાનો કઈ સરકાર વખતે થયા હતા તેવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. બીજેપી, કોંગ્રેસ, ડેમોક્રેટિક અને રિપબ્લિકન એમ ચાર વિકલ્પો આપવામાં આવ્યા હતા. આ પ્રશ્નપત્ર પરીક્ષા પૂર્ણ થયા બાદ બહાર આવ્યું હતું અને તેનો વિરોધ શરૂ થયો હતો. પ્રશ્નપત્રમાં તોફાનો વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હોવાનું ધ્યાને આવતાં તેમણે તાત્કાલિક એક ટ્વિટ કરીને પોતાની ભૂલ સ્વીકારી હતી.

ટ્વિટ કરતાં બોર્ડે જણાવ્યું હતું કે, ધોરણ ૧૨માં બુધવારે સોશિયોલોજીની ટર્મ-૧ની પરીક્ષામાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જે અયોગ્ય અને સીબીએસઈ બોર્ડની ગાઈડલાઈનની વિરૂદ્ઘ હતો. સીબીએસઈ પોતાની ભૂલ સ્વીકારે છે અને જવાબદારો સામે કડક પગલાં લેશે. સીબીએસઈની ગાઈડલાઈનમાં સ્પષ્ટપણે સૂચના છે કે, પ્રશ્નો અભ્યાસક્રમને લગતાં જ હોય તેનું પેપર સેટરે ધ્યાન રાખવાનું હોય છે. ઉપરાંત સમાજના વર્ગો અને ધર્મો અંગે ન્યૂટ્રલ રહેવાનો તેમજ લોકોની સામાજિક અને રાજકીય પસંદગીઓના એવા પાસાને ના સ્પર્શવા જેનાથી તેમની લાગણીઓ દુભાય તેવો ઉલ્લેખ ગાઈડલાઈનમાં છે.

(10:22 am IST)