Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

પાકિસ્તાનમાં કોરોના બેકાબૂ : ધાર્મિક સ્થળો બંધ કરાવાતા કટ્ટરવાદીઓની હિંસા : પોલીસના વાહનો સળગાવ્યા

ટોળાને વિખેરવા અને હિંસા પર કાબુ મેળવવામાં પોલીસને કલાકો લાગી હતી

કરાંચી તા. ૩ : ભારતની જેમ પાકિસ્તાનમાં પણ કોરોનાના કેસોમાં ફરી મોટા પાયે વધારો જોવા મળી રહ્યો છે. જેને પગલે પાક.ના સિંધ પ્રાંતમાં બધા જ ધાર્મિક સ્થળે સરકારે બંધ કરવાના આદેશ આપ્યા હતા, જેનાથી ભડકી ઉઠેલા ધાર્મિક કટ્ટરવાદીઓ હિંસા પર ઉતરી આવ્યા હતા અને પોલીસ પર પણ મોટા પાયે પથૃથરમારો કર્યો હતો. જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા.

કોરોનાના કેસો વધતા સિંધ સરકારે ધાર્મિક સ્થળો બંધ કરવાનો આદેશ જારી કરતા પોલીસ અહીંના સેહવન શરીફ વિસ્તારમાં આવેલી લાલ શહબાજ દરગાહને બંધ કરાવવા ગઇ હતી.

આ દરગાહ પર આશરે ૧૦ હજારથી પણ વધુ લોકો એકઠા થયા હતા. જેમને વિખેરવા માટે પોલીસે બળ પ્રયોગ પણ કર્યો હતો. જોકે બાદમાં ભડકી ઉઠેલા કટ્ટરવાદીઓએ પોલીસ પર પથ્થરમારો કરી દીધો હતો અને કોરોના મહામારીની ગાઇડલાઇનનો પણ ખુલ્લેઆમ ભંગ કર્યો હતો.

હિંસાખોરોએ સરકારી વાહનોને આગ લગાવી દીધી હતી. ટોળાને વિખેરવા અને હિંસા પર કાબુ મેળવવામાં પોલીસને કલાકો લાગી હતી. સ્થાનિક પાક. મીડિયાનો દાવો છે કે ધાર્મિક સ્થળોને બંધ કરવાનો આદેશ જારી થયો હોવા છતા આ દરગાહ પર હજારોની સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હતા.

જોકે તે સમયે ત્યાં પોલીસ હાજર નહોતી જેને પગલે લોકોને પણ એકઠા થવાની તક મળી ગઇ હતી. બાદમાં અચાનક પોલીસનો કાફલો ઉતર્યો અને લોકોને વિખેરવા લાગ્યો હતો. જેનાથી ભડકેલા લોકોએ બાદમાં પથ્થરમારો કર્યો અને પોલીસના વાહનોને પણ આગ લગાવી દીધી હતી. સામસામે થયેલા ઘર્ષણમાં અનેક લોકો ઘવાયા હતા. બીજી તરફ સિંધ સરકારે કોરોનાને અટકાવવા વધુ આકરા પ્રતિબંધો લાગુ કરવાની જાહેરાત કરી છે.

(10:15 am IST)