Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસે માંગ્યો કોરોના વેકસીનનો પૂરો હિસાબઃવેકિસનેશન પ્લાન જણાવવા પણ કહ્યું

અત્યાર સુધી કયારે-કયારે અને કેટલી વેકસીન ખરીદાઈ તેની સંપૂર્ણ વિગતો આપવા કહેવાયું: કોર્ટે કેટલી વસ્તીને વેકસીન અપાઈ અને બાકીનાને કયારે અપાશે તેની વિગતો આપવા પણ કહ્યું

નવી દિલ્હી, તા.૩: કોરોના વેકિસનેશનને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને વેકસીન ખરીદીની સમગ્ર વિગતો આપવા કહ્યું છે. કોર્ટે કેન્દ્રને આદેશ આપ્યો છે કે, અત્યાર સુધીમાં વેકસીનની જે ખરીદી થઈ છે, તેની સમગ્ર વિગતો રજૂ કરે. તે ઉપરાંત અત્યાર સુધી કેટલા લોકોને વેકિસનેટ કરાયા છે, તેનો પણ ડેટા રજૂ કરવા કહેવાયું છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને બે સપ્તાહની અંદર એફિડેવિટના રૂપમાં આ બધી વિગતો રજૂ કરવા કહ્યું છે.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું છે કે, તે જણાવે કે અત્યાર સુધી કોરોનાની કેટલી વેકસીન કયારે-કયારે ખરીદવામાં આવી છે. કેટલા લોકોને વેકસીન આપી ચૂકાઈ છે અને બાકી બચેલા લોકોને કયાં સુધીમાં વેકિસનેટ કરાશે. સુપ્રીમે સરકારને એ પણ પૂછ્યું છે કે, બ્લેક ફંગસની સારવાર માટે દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે શું પગલાં ઉઠાવ્યા છે, તેની પણ જાણકારી આપે.

જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ, જસ્ટિસ એલ એન રાવ અને જસ્ટિસ એસ રવીન્દ્ર ભટ્ટની સ્પેશ્યલ બેંચે પોતાના આદેશમાં કહ્યું કે, સરકાર એ ડેટા આપે જે સ્પષ્ટ જણાવતા હોય કે ત્રણે વેકસીનો (કોવિશીલ્ડ, કોવેકસીન, સ્પૂતનિક-વી)ની ખરીદી માટે કયારે-કયારે ઓર્ડર અપાયા. દરેક તારીખે વેકસીનોના કેટલા ડોઝનો ઓર્ડર અપાયો અને તેની સપ્લાયની અંદાજિત ડેટ કઈ છે.તે ઉપરાંત સુપ્રીમ કોર્ટે સરકારને એ પણ જણાવવા કહ્યું છે કે, અત્યાર સુધી કેટલા ટકા વસ્તીને એક કે બે ડોઝ આપી ચૂકાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં કેટલા ટકા લોકોને વેકસીન અપાઈ ચૂકી છે અને શહેરી ક્ષેત્રોમાં કેટલા ટકાને.સુપ્રીમ કોર્ટેની વેબસાઈટ પર મૂકાયેલા ૩૧મેના આદેશમાં બેંચે કહ્યું છે કે, 'અમે કેન્દ્ર સરકારને બે સપ્તાહમાં એફિડેવિટ કરવાનો નિર્દેશ આપીએ છીએ.' બેંચે કેન્દ્રને એ સુનિશ્ચિત કરવા કહ્યું છે કે, આદેશના પ્રત્યેક મુદ્દા પર અલગ-અલગ જવાબ આપવામાં આવે.

(11:44 am IST)