Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

ઓલિમ્પિક સમિતિના ૧૦૦૦૦ વોલિયન્ટર્સના રાજીનામા પડ્યા

ઓલિમ્પિકને લઈને જાપાનમાં સરકાર-લોકો વચ્ચે વિવાદ : જાપાનમાં આયોજન ઉપર અનિશ્ચિતતા, રાજીનામાની સ્પર્ધાના આયોજન અસર નહીં પડે એવો સમિતિનો દાવો

નવી દિલ્હી, તા. : જાપાનના ટોક્યોમાં યોજાનારી ઓલિમ્પિકને લઈને ત્યાંની સરકાર તેમજ લોકો વચ્ચે વિખવાદ વધી રહ્યો છે. જાપાનના મોટા ભાગના લોકો ઈચ્છતા નથી કે, કોરોના સંક્રમણ વચ્ચે ઓલિમ્પિકનુ આયોજન થાય.

એમ પણ જાપાનામાં કોરોનાના સંક્રમણના કેસ વધી ગયા બાદ હાલમાં ઈમરજન્સી લગાવવામાં આવી છે. ઈમરજન્સી ૨૩ જૂન સુધી રહેશે. દરમિયાન જાપાનની ઓલિમ્પિક કમિટીની મુશ્કેલીઓ વધી રહી છે. કારણકે રમત ગમતના આયોજનમાં મદદ કરવા માટે ૧૦૦૦૦ લોકોએ વોલિએન્ટર તરીકે પોતાના નામ પાછા લઈ લીધા છે. આમ તો ઓલિમ્પિક ગયા વર્ષે રમાવાની હતી પણ કોરોનાના કારણે તેને એક વર્ષ માટે પાછી ઠેલવામાં આવી હતી. ૨૩ જૂલાઈથી જાપાનમાં ઓલિમ્પિકનુ આયોજન થવાનુ છે. જોકે કોરોનાની બીજી લહેરે દુનિયામાં હાહાકાર મચાવ્યો છે ત્યારે ઓલિમ્પિક પર ફરી ખતરો મંડરાઈ રહ્યો છે. તો બીજી તરફ ઓસ્ટ્રેલિયાની સોફ્ટબોલ ટીમ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે જાપાન પહોંચી ચુકી છે.

ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે આયોજન પર અનિશ્ચિતતાઓ યથાવત છે. કુલ ૮૦૦૦૦ વોલિએન્ટર ઓલિમ્પિકમાં સેવા આપવાના હતા પણ પૈકીના ૧૦૦૦૦ લોકોએ પોતાના નામ પાછા ખેંચી લીધા છે. પૈકીના મોટાભાગનાનુ કહેવુ છે કે, અમે કોરોનાના સંક્રમણથી ચિંતિત છે અને કેટલાકનુ કહેવુ છે કે, અમે રમતના આયોજનના વિરોધમાં રાજીનામા આપ્યા છે.

જાપાનની ઓલિમ્પિક કમિટીનુ કહેવુ છે કે, તેનાથી રમતના આયોજન પર અસર નહીં પડે. કારણકે આયોજનનુ સ્તર પહેલા કરતા નાના પાયે હશે. અમે રમતોનુ દર્શકો વગર આયોજન કરવા માટે પણ તૈયારી બતાવી રહ્યા છે.

(7:44 pm IST)