Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

નવી મુંબઈ મ્યુનિ,અધિકારીઓ પર હુમલાના આરોપમાં બે દુકાનદારો નિર્દોષ જાહેર : કોર્ટે કહ્યું - કોઈ પુરાવા નથી

અધિકારીઓ ગેરકાયદે બાંધકામ તોડવા આવ્યા ત્યારે આરોપીઓએ તેમને કામ કરતા અટકાવ્યા અને હાથાપાઈ કરી હોવાનો આરોપ

મુંબઈ :મહારાષ્ટ્રની થાણે કોર્ટે નવી મુંબઈના બે દુકાનદારોને નિર્દોષ જાહેર કર્યા છે. આ દુકાનદારો પર આરોપ હતો કે વર્ષ 2016માં તેઓએ સ્થાનિક સંસ્થાના અધિકારીઓ પર હુમલો કર્યો હતો અને તેમને તેમની ફરજો નિભાવતા અટકાવ્યા હતા.

જીલ્લા ન્યાયાધીશ પીએમ ગુપ્તાએ આ મામલે આદેશ સંભળાવતા કહ્યું કે ફરિયાદ નોંધાવનારા પક્ષના લોકો આરોપી ભગવાન પાંડુરંગ ઢકને અને બાલચંદ્ર સોપાન નલવાડે સામે ગુનો સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા છે. આ બંનેની નેરુલના હવારે સેન્ચુરિયન મોલમાં દુકાનો છે. બંને સામે ભારતીય દંડ સંહિતાની કલમ 353 અને 34 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

સરકારી વકીલ એસ.એમ. દાંડેકરે કોર્ટને જણાવ્યું હતું કે આરોપી સહિત નેરુલના હાવરે સેન્ચ્યુરિયન મોલના કેટલાક દુકાનદારોએ તેમની દુકાનોમાં ગેરકાયદે બાંધકામ કર્યું હતું. નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (એનએમએમસી)એ નોટિસ પાઠવ્યા બાદ પણ તેને તોડી પાડવામાં આવ્યું ન હતું. 5 જુલાઈ, 2016ના રોજ જ્યારે નગરપાલિકાના અધિકારીઓ આ ગેરકાયદે બાંધકામ તોડવા આવ્યા ત્યારે આરોપીઓએ તેમને તેમનું કામ કરતા અટકાવ્યા અને તેમની સાથે હાથાપાઈ કરી.

એનએમએમસી (NMMC)ના બ્લોક ઓફિસર સુભાષ દાદુ અડાગલેએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે દુકાનદારોના અવરોધને કારણે અધિકારીઓ માટે ગેરકાયદે બાંધકામો સામે પગલાં લેવાનું શક્ય ન હતું. કોર્ટે કહ્યું કે ફરિયાદી સાક્ષીઓના જણાવ્યા મુજબ તે સ્પષ્ટ છે કે આરોપી વ્યક્તિઓ દ્વારા અધિકારીઓને ફરજ બજાવવાથી રોકવા માટે કોઈ ફોજદારી બળનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો.

બોમ્બે હાઈકોર્ટે ઘટનાના દિવસે એક આદેશ પસાર કર્યો હતો અને તમામ પક્ષોને મોલમાં બાંધકામના સંદર્ભમાં યથાવત સ્થિતિ જાળવવા નિર્દેશ આપ્યો હતો. તે સમયે દુકાનના માલિકોએ અધિકારીઓને કોર્ટના આદેશ વિશે જાણ કરી હતી અને તેમને કોઈ કાર્યવાહી ન કરવા વિનંતી કરી હતી. તેથી સત્તાવાળાઓએ કાર્યવાહી મુલતવી રાખવી જોઈએ, પરંતુ તેઓએ તેમની વિનંતી પર કોઈ ધ્યાન આપ્યું નહીં.

ન્યાયાધીશે કહ્યું, “હું એ નિષ્કર્ષ પર પહોંચ્યો છું કે ફરિયાદી પક્ષ એ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે કે આરોપીએ 5 જુલાઈ, 2016ના રોજ અધિકારી પર હુમલો કર્યો હતો અથવા તેની વિરુદ્ધ ફોજદારી બળનો ઉપયોગ કર્યો હતો, જ્યારે તે જાહેર સેવક તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા હતા.” આરોપીઓના ગુના સાબિત કરવા માટે કોઈ પુરાવા નથી.

(8:41 pm IST)