Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

KBC-અમિતાભ વિરૂધ્ધ FIR

વિવાદિત સવાલને લઇને હંગામો

નવી દિલ્હી,તા. ૩: ટેલીવિઝનનો પ્રખ્યાત શો 'કોન બનેગા કરોડપતિ' લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. આ શો દરમિયાન પૂછવામાં આવતા સવાલોને લઇને ઘણા લોકો વાંધા ઉઠાવી રહ્યાં છે. ફરી એકવાર આ શો વિવાદોમાં ઘેરાયો છે. તેનું કારણ છે શોના એક એપિસોડમાં પૂછવામાં આવેલો એક સવાલ. આ સવાલને લઇને કેબીસી અને શો કરતા અમિતાભ બચ્ચન વિરૂધ્ધ લખનૌમાં એફઆઇઆર થઇ છે.

શો દરમિયાન અમિતાભ બચ્ચનએ એક સવાલ પૂછ્યો હતો. તે સવાલને લઇને લોકો વાંધો ઉઠાવી રહ્યાં છે. સોશિયલ મીડિયાથી લઇને દરેક જગ્યા પર તેની ચર્ચા થઈ રહી છે. હાલમાં જ એક 'મનુ સ્મૃતિ'ને લઇને એક સવાલ પૂછવામાં આવ્યો હતો , જેને લઇને ફિલ્મ મેકર વિવેક અગ્નિહોત્રીએ તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, શો પર કમ્યુનિસ્ટોનો કબજો થઈ ગયો છે.

ફિલ્મ મેકર વિવેક અગ્નિહોત્રીએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં 'કેબીસી ૧૨'ના સવાલની કિલપ શેર કરી છે. તેમાં અમિતાભ બચ્ચન એક કંન્ટેસ્ટેન્ટને સવાલ પૂછતા જોવા મળી રહ્યાં છે.

સવાલઃ ૨૫ ડિસેમ્બર ૧૯૨૭ ના ડો. બી. આર. આંબેડકર અને તેમના અનુયાયિઓએ કયા ધર્મગ્રંથની નકલો સળગાવી હતી? તેના માટે ચાર વિકલ્પ આપવામાં આવ્યા.

A) વિષ્ણુ પુરાણ

B) ભાગવત ગીતા

C) ઋગ્વેદ

D) મનુ સ્મૃતિ

કન્ટેસ્ટેન્ટે મનુ સ્મૃતિનો વિકલ્પ પસંદ કર્યો, જે સાચો જવાબ છે. વિવેકે આ વીડિયોની સાથે તેની પ્રતિક્રિયા વ્યકત કરતા લખ્યું છે, કેબીસીને કોમ્યુનિસ્ટોએ હાઇજેક કરી લીધી છે. માસૂમ બાળકો શીખે કે કલ્ચરલ વોર કઈ રીતે જીતવી છે. આને કોડિંગ કહેવામાં આવે છે.

(9:48 am IST)