Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

દિલ્‍હી બાદ પંજાબમાં સત્તામાં આવતા આમ આદમી પાર્ટીની ગુજરાતના મતદારોને રીઝવવા પ્રયાસઃ કોંગ્રેસને નુકશાન થઇ શકે

કેજરીવાલે ગુજરાતમાં ‘આપ'ના કાર્યકરોને દિલ્‍હી અને પંજાબ મોડેલ પર કામ કરવા સુચના આપી

નવી દિલ્‍હીઃ આપના રાષ્‍ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે અમદાવાદમાં કાર્યકર્તાઓને સંબોધ્‍યા હતા. તેમણે મહેનત અને ઇમાનદારીથી કામ કરવાની સલાહ આપી. ગુજરાતમાં આપનું સંગઠન મજબુત કરવાના પ્રયાસો થઇ રહ્યા છે. આપ કોંગ્રેસ પક્ષને નુકશાન કરી શકે. આમ આદમી પાર્ટી ગુજરાતની આગામી ચૂંટણીની તૈયારીમાં જોડાઇ ગયુ છે. તેમણે કાર્યકર્તાઓને દિલ્‍હી અને પંજાબના મોડેલ પર કામ કરવા અને મતદારોને રીઝવવા મહેનત અને ઇમાનદારીથી કામ કરવા સુચના આપી છે.

દિલ્હી બાદ પંજાબમાં સત્તા હાંસિલ કરનાર આમ આદમી પાર્ટીની નજર હવે ગુજરાત પર છે. દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીના સૌથી મોટા ગઢમાં કેજરીવાલ ઝાડું ફેરવવાના ફિરાકમાં છે. હાલ કેજરીવાલ ગુજરાતમાં આપનુ સંગઠન મજબૂત કરવામાં લાગી ગયા છે. તો બીજી તરફ, તેઓ ભાજપ વિરોધી વોટર્સને એકજૂટ કરીને પોતાની તરફ આકર્ષવાના પ્રયાસ કરી રહ્યાં છે.

આપણે વિપક્ષમાં નથી બેસવાનું

આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે રવિવારે અમદાવાદમાં પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધન કરતા કહ્યુ હતું કે, આપણે સત્તા હાંસિલ કરવા માટે કડક મહેનત કરવી પડશે. આપણે વિપક્ષમાં નથી બેસવાનું. દિલ્હીના મુખ્યમંત્રીએ રવિવારે 6988 પદાધિકારીઓને ઈનામદારીથી લોકોની સેવા કરવાના શપથ લેવડાવ્યા હતા.

ભાજપ વિરોધી વોટ ખેંચવાનો પ્રયાસ

બે દિવસીય ગુજરાત પ્રવાસ પર પહોંચેલા કેજરીવાલે લોકોને અપીલ કરી કે, તેઓ ગુજરાતમાં આગામી વિધાનસભામાં પોતાને વોટ આપે. કોંગ્રેસને મત આપીને તમારો વોટ બેકાર ન બનાવે. તેમણે કહ્યુ કે, જો ભાજપથી નારાજ એ લોકોના મત તેમને મળી જાય, જેઓ કોંગ્રેસને વોટ આપવા માંગતા નથી, તો ગુજરાતમાં આપની સરકાર બની શકે છે. આપ ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓમાં જોરશોરથી જોડાઈ ગયુ છે. 

કોંગ્રેસને નુકસાન કરવાનો કેજરીવાલનો પ્લાન

કેજરીવાલે કહ્યુ કે, આપ કાર્યકર્તાઓએ એ લોકોનુ સમર્થન પાર્ટીમાં હાંસિલ કરવુ જોઈએ, જેઓ ભાજપના શાસનથી નારાજ છે. પરંતુ કોંગ્રેસને મત ન આપવા જોઈએ. ગત વખતે લોકોએ ભારે આશા સાથે કોંગ્રેસને મત આપ્યા હતા, પરંતુ હવે ગુજરાતમાં અત્યાર સુધી 57 ધારાસભ્યો પાર્ટી છોડી ચૂક્યા છે.

કેજરીવાલના પ્લાન અને પ્રચારથી કોંગ્રેસને નુકસાન

રાજકીય જાણકારોના અનુસાર, ભાજપની વિરુદ્ધ એન્ટી ઈન્કમબન્સીની વાતો દરેક ચૂંટણીમાં થાય છે, પરંતુ ભગવા દળના મૂળ અહી બહુ જ ઊંડા છે. કેજરીવાલ ભાજપ વિરોધી વોટ પર ફોકસ કરી રહ્યું છે. જે લોકો ભાજપથી નારાજ છે, તેમના વોટ મળવાની કેજરીવાલને આશા છે. જે અત્યાર સુધી કોંગ્રેસને મળતા હતા. આવામાં કેજરીવાલનો આ પ્લાન અને પ્રચાર કોંગ્રેસને વધુ નુકસાન પહોંચાડી શકે છે. કોંગ્રેસ માટે હાલ વળતા પાણી ચાલી રહ્યાં છે. તેમાં પણ કેજરીવાલનો ગુજરાતમાં પ્રચાર તેના વોટબેંકને નુકસાની પહોંચાડી શકે છે.

દિલ્હી, પંજાબના કામોનું ગુજરાતમાં માર્કેટિંગ

કેજરીવાલ હાલ પોતાના પ્રચારમા દિલ્હી અને પંજાબની કામગીરીનુ માર્કેટિંગ કરી રહ્યાં છે. ગુજરાતથી દિલ્હી ગયેલુ ભાજપનું પ્રતિનિધિમંડળ ત્યાંની શાળાઓ અને હોસ્પિટલમાં એક પણ ખામી શોધવામાં અસફળ રહ્યુ છે. તેથી જ હવે કેજરીવાલે પોતાના કાર્યકર્તાઓને દિલ્હી અને પંજાબના મોડલ પર માર્કેટિંગ કરવાની સૂચના આપી છે.

(5:19 pm IST)