Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

કેસોમાં ઝડપી વધારો એ વાતનો સૂચક છે કે કેરળમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ

મહામારી નિષ્ણાંત ડો.રમણ કુટ્ટીનું મોટું નિવેદન

નવી દિલ્હી,તા.૪: મહામારી નિષ્ણાંત ડોકટર રમણ કુટ્ટીએ જણાવ્યુ કે કેસોમાં ઝડપી વધારો એ વાતનો સૂચક છે કે કેરળમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ છે

મહામારી નિષ્ણાંત ડોકટર રમણ કુટ્ટીએ જણાવ્યુ કે કેસોમાં ઝડપી વધારો એ વાતનો સૂચક છે કે કેરળમાં કોરોનાની ત્રીજી લહેરની શરુઆત થઈ છે અને આપણે તે અંગે સતર્ક રહેવું પડશે. આ સંક્રમિત થનાર લોકોની સંખ્યા ઘણી મોટી છે અને સરકારે કોરોનાની નવી લહેરોની સામે લડવા માટે કોઈ લાંબી રણનીતિ બનાવવી જોઈએ.

કેરળમાં ફરી એક વાર કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં રોજના આવી રહેલા કેસોમાંથી લગભગ ૫૦ ટકા કેસો કેરળમાં નોંધાઈ રહ્યાં છે. તેથી મહામારી વિશેષજ્ઞ અને જાણકારો માની રહ્યાં છે કે કેરળમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઈ હોવાની સંભાવના છે. જોકે સરકાર તરફથી કોઈ સત્ત્।ાવાર જાહેરાત કરવામાં આવી નથી. કેરળમાં બીજી લહેરમાં કેસો ઓછા થયા બાદ જુન-જુલાઈમાં દરરોજના ૧૨,૦૦૦-૧૪,૦૦૦ કેસો આવી રહ્યાં છે તો થોડા દિવસોમાં તેની સંખ્યા ૨૦,૦૦૦ થી વધીને ૨૨,૦૦૦ થઈ ગઈ છે. જયારે રાજયમાં પોઝિટિવિટી રેટ વધીને ૧૨ ટકા પહોંચી ગયો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે કેરળના ૧૦ સહિત ૧૮ જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત ઉછાળો આવી રહ્યો છે. ઉપરાંત ભારતના ટોચના માઈક્રો બાયોલોજિસ્ટ અને વાયરોલોજિસ્ટ ગગનદીપ કાંગ જણાવી ચુકયા છે કે જો કોરોના વાયરસ ફરી રૂપ બદલશે તો ત્રીજી લહેર ઘાતક બની શકે છે.વાયરોલોજિસ્ટ કાંગનું કહેવું છે કે કોરોનાની ત્રીજી લહેરની આગાહી કોઈ કરી શકતું નથી પણ જો વાયરસ આગળ જઈને મ્યૂટેટ થશે તો તે વધારે દ્યાતક બની શકે છે. હાલમાં કોરોનાને લઈને કેરળના મોડલની સોશ્યલ મીડિયામાં ટીકા થઈ રહી છે.

(3:15 pm IST)