Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

બાળકોમાં કોરોના થવાની શકયતા ખૂબ જ ઓછી

શાળાઓ શરૂ કરવા માટે વેકિસનેશન પૂર્ણ થવાની રાહ જોવાની જરૂર નથી : વર્લ્ડ બેંક

શાળાઓ બંધ રાખવાથી બાળકોની શીખવાની પ્રક્રિયા, માનસિક આરોગ્ય અને સમગ્રલક્ષી વિકાસ પર ગંભીર અસરો જોવા મળી રહી છે

નવી દિલ્હી, તા.૪:  પુરાવાઓ સંકેત આપી રહ્યાં છે કે નાના બાળકોને કોરોના થવાની શકયતા ઓછી હોવાથી  શાળાઓ શરૂ કરતા પહેલા દેશોએ સર્વવ્યાપી કોવિડ-૧૯ વેકસીનેશનની રાહ જોવાની જરૂર નથી તેમ વર્લ્ડ બેંકે એક નિવેદનમાં જણાવ્યું છે.

વર્લ્ડ બેંકની એજયુકેશન ટીમે જણાવ્યું છે કે જે દેશોમાં શાળાઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યાં નાના બાળકોને થયો હોવાના ખૂબ જ ઓછા કેસ જોવા મળ્યા છે. વર્લ્ડ બેંકની એજયુકેશન ટીમે વધુમાં જણાવ્યું છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ ભલામણ કરી છે કે કોરોનાની સ્થિતિ ખૂબ જ વકરી જાય તો જ શાળાઓ બંધ રાખવી જોઇએ.

વર્લ્ડ બેંકે જણાવ્યું છે કે અત્યાર સુધીના પુરાવા દર્શાવે છે કે નાના બાળકો કોરોના થવાની શકયતા ઓછી છે, કોરોનાને કારણે તેઓ ગંભીર રીતે બિમાર પડે તેનીશકયતા પણ ખૂબ જ ઓછી છે, કોરોનાને કારણે બાળકનું મોત થાય તેની શકયતા પણ ખૂબ જ ઓછી છે. પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક શાળાઓેમાં કોરોના ટ્રાન્સમિશનનું પ્રમાણ ખૂબ ઓછું છે. બાળકોને કોરોના થયું હોય તો તેના કારણે શિક્ષકો અને સ્ટાફને કોરોના થવાની શકયતા ખૂબ જ ઓછી છે.

વર્લ્ડ બેંકે વધુમાં જણાવ્યું છે કે કોરોના થવાના ખતરાને કારણે શાળાઓ બંધ રાખવામાં આવે છે પણ શાળાઓ બંધ રાખવાથી બાળકોને મોટા પ્રમાણમાં નુકસાન થઇ રહ્યું છે. શાળાઓ બંધ રાખવાથી બાળકોની શીખવાની વૃત્તિ, માનસિક આરોગ્ય અને સમગ્ર વિકાસ પર ગંભીર અસરો પડી રહી છે.

શાળાઓ શરૂ કરતા પહેલા શાળાઓ બંધ રાખવાથી શું નુકસાન થઇ રહ્યું છે અને શાળાઓ ચાલુ રાખવાથી શું નુકસાન થઇ રહ્યું છે તે બંનેની સમીક્ષા થવી જોઇએ. વર્લ્ડ બેંકના આંકડા મુજબ  વિશ્વની ૮૦ ટકા શાળાઓ નિયમિત રીતે શરૂ થઇ ગઇ છે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે કોરોના મહામારી શરૂ થઇ તેના કારણે ૧૮૮ દેશોમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી.જેના કારણે ૧.૬ અબજ બાળકોનું શાળાએ જવાનું બંધ થઇ ગયું હતું.

(10:08 am IST)