Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ સરહદ વિવાદ ઉકેલવા સક્ષમઃ વ્લાદિમીરપુતીન

વર્ચ્યુઅલ ઈન્ટરવ્યુમાં પુતિનની સ્પષ્ટ વાત : ભારત-ચીન કોઈ સમાધાન ઉપર પહોંચવામાં સફળ રહેશે એવી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુટિનને આશા

નવી દિલ્હી, તા. ૫ : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચાઇનીઝ રાષ્ટ્રપતિ શી જિનપિંગ જવાબદાર નેતા છે અને બન્ને દેશો વચ્ચે સરહદ વિવાદને ઉકેલવામાં સક્ષમ છે. રશિયાના રાષ્ટ્રપતિએ કહ્યું કે બન્ને દેશો વચ્ચે કોઈ ત્રીજી શક્તિએ દખલ દેવી જોઈએ નહીં. તેમણે આશા વ્યક્ત કરી કે ભારત અને ચીન કોઈ સમાધાન પર પહોંચવામાં સફળ રહેશે.

એક ટ્રાન્સલેટર દ્વારા પીટીઆઈને વર્ચ્યુઅલ ઇન્ટરવ્યૂમાં પુતિને કહ્યુ- 'હા હું જાણુ છું કે ભારત અને ચીનના કેટલાક મુદ્દા છે, પાડોશી દેશો વચ્ચે આમ થાય છે, પરંતુ હું પ્રધાનમંત્રી મોદી અને ચીની રાષ્ટ્રપતિના વ્યવહાર વિશે જાણુ છું. તે ખુબ જવાબદાર નેતા છે અને ઈમાનદારીથી એક બીજાની સાથે અત્યંત સન્માનની સાથે રજૂ થાય છે. મને વિશ્વાસ છે કે તે કોઈ પણ મુદ્દા પર એક સમાધાન સુધી પહોંચી શકે છે.

ત્રીજા દેશની મધ્યસ્થતાની જરૂરીયાતને નકારતા તેમણે કહ્યું- તે મહત્વપૂર્ણ છે કે કોઈ ત્રીજી શક્તિ તેની વચ્ચે દખલ ન દે. રશિયાના રાષ્ટ્રપતિનું આ નિવેદન તેવા સમયે આવ્યું છે જ્યારે બન્ને દેશો વચ્ચે એક વર્ષ કરતા વધુ સમયથી ટકરાવ ચાલી રહ્યો છે. પાછલા વર્ષે બન્ને દેશોની સેના વચ્ચે ઘર્ષણ થઈ ચુક્યું છે અને ઘણા રાઉન્ડની વાતચીત બાદ પણ સંપૂર્ણ રીતે સૈનિક પાછળ હટ્યા નથી.

પુતિને ક્વાડની રચના પર કહ્યુ કે રશિયા કોઈપણ રાષ્ટ્રની કોઈ પહેલમાં સામેલ થવાનું મૂલ્યાંકન ન કરી શકે, પરંતુ કોઈ ભાગીદારીનું લક્ષ્ય કોઈ વિરૂદ્ધ ન હોવું જોઈએ. તેમણે કહ્યું કે, ભારતની સાથે રશિયાની ભાગીદારી અને મોસ્કો-બેઇજિંગના સંબંધો વચ્ચે કોઈ વિરોધાભાસ નથી, ભારત-રશિયાનો સંબંધ વિશ્વાસ પર આધારિત છે.

(9:41 pm IST)