Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

BKU-ક્રાંતિકારીએ લીધી PM મોદીનો રસ્તો રોકવાની જવાબદારીઃ ખેડૂતો નોહતા ઈચ્છતા કે વડાપ્રધાન પંજાબમાં રેલી કરે

વિરોધીઓ લીલા અને લાલ ઝંડા લઈને આવ્યા હતા, જે BKU ક્રાંતિકારીના ઝંડા છે

નવી દિલ્હી, તા.૬: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પંજાબની મુલાકાત દરમિયાન ખેડૂતોના વિરોધને કારણે સુરક્ષામાં જંગી ખામી સર્જાતા રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે. આ બધાની વચ્ચે ભારતીય કિસાન યુનિયન (ક્રાંતિકારીના સભ્યોએ ફિરોઝપુર જિલ્લાના પિયારિયાના ગામમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના કાફલાને રોકવાની જવાબદારી લીધી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પંજાબ મુલાકાતના વિરોધમાં ખેડૂતોના એક જૂથે પિયારેના ગામ પાસે ફ્લાયઓવરને બ્લોક કરી દીધો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિરોધીઓ લીલા અને લાલ ઝંડા લઈને આવ્યા હતા, જે ગ્ધ્શ્ ક્રાંતિકારીના ઝંડા છે. BKU (ક્રાંતિકારી)ના જનરલ સેક્રેટરી બલદેવ ઝીરાએ દાવો કર્યો છે કે ખેડૂતો ઈચ્છતા ન હતા કે વડાપ્રધાન પંજાબમાં રેલી કરે, તેથી કાફલાને અટકાવવામાં આવ્યો.

જણાવી દઈએ કે આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભટિંડા પહોંચ્યા, જયાંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા હુસૈનીવાલા સ્થિત રાષ્ટ્રીય શહીદ સ્મારક જવાના હતા. પરંતુ વરસાદ અને નબળી વિઝિબિલિટીના કારણે પીએમ હવામાન સાફ થવા માટે લગભગ ૨૦ મિનિટ રાહ જોતા હતા. જયારે હવામાનમાં સુધારો થયો ન હતો, ત્યારે તે નક્કી કરવામાં આવ્યું હતું કે તેઓ રોડ દ્વારા રાષ્ટ્રીય શહીદ સ્મારકની મુલાકાત લેશે, જેમાં ૨ કલાકથી વધુ સમય લાગવાનો હતો. ગૃહ મંત્રાલયે કહ્યું કે, ડીજીપી પંજાબ પોલીસ દ્વારા જરૂરી સુરક્ષા વ્યવસ્થાની જરૂરી પુષ્ટિ કરવામાં આવી હતી.

હુસૈનીવાલામાં રાષ્ટ્રીય શહીદ સ્મારકથી લગભગ ૩૦ કિમી દૂર, જયારે પીએમનો કાફલો ફ્લાયઓવર પર પહોંચ્યો ત્યારે કેટલાક વિરોધીઓ રસ્તો રોકતા જોવા મળ્યા. મંત્રાલયે કહ્યું કે વડાપ્રધાન મોદીને ૧૫-૨૦ મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાવું પડ્યું. વડાપ્રધાનની સુરક્ષામાં આ એક મોટી ખામી હતી.

મંત્રાલયે કહ્યું કે સુરક્ષામાં આ ખામી બાદ પીએમ મોદીના કાફલાને ભટિંડા એરપોર્ટ પર પરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સુરક્ષામાં આ ગંભીર ક્ષતિની નોંધ લેતા ગૃહ મંત્રાલયે રાજય સરકાર પાસેથી વિગતવાર અહેવાલ માંગ્યો છે. રાજય સરકારને પણ આ ક્ષતિની જવાબદારી નક્કી કરવા અને કડક પગલાં લેવા જણાવ્યું છે.

ગૃહ મંત્રાલયે કહ્યું કે વડાપ્રધાનના સમયપત્રક અને પ્રવાસની યોજના પંજાબ સરકારને પહેલાથી જ જણાવી દેવામાં આવી છે. પ્રક્રિયા મુજબ, તેઓએ લોજિસ્ટિકસ, સુરક્ષા તેમજ આકસ્મિક યોજના તૈયાર રાખવા માટે જરૂરી વ્યવસ્થા કરવાની હતી. તેણે એમ પણ કહ્યું કે આકસ્મિક યોજનાને ધ્યાનમાં રાખીને, પંજાબ સરકારે રસ્તા દ્વારા કોઈપણ હિલચાલને સુરક્ષિત કરવા અને અવરોધિત કરવા માટે વધારાની સુરક્ષા વ્યવસ્થા કરવી પડશે. પરંતુ આ બન્યું નહીં, કારણ કે કોઈ બંદોબસ્ત રાખવામાં આવ્યો નહોતો.

(10:06 am IST)