Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

કોરોનાના કેસ વધતાં મોટી સમસ્યા : લગ્નમાં કેટલાને બોલાવવા ? આયોજકો અને લોકો મુંઝવણમાં

કોરોનાના વધતા કેસ વચ્ચે લોકો ડેસ્ટિનેશન વેડિંગનો પ્લાન પણ પડતો મૂકી રહ્યા છે : માત્ર લગ્ન પ્રસંગો જ નહીં અન્ય ઇવેન્ટ અને એકિઝબિશનો પણ હાલ મુલતવી રખાયા છે : કોરોનાના વધતા કેસો વચ્ચે સામાજિક પ્રસંગોમાં કેટલા લોકોને આમંત્રિત કરવા તે અંગે સરકાર તરફથી કોઇ ગાઇડલાઇન હજી સુધી બહાર પાડવામાં આવી નથી

અમદાવાદ/વડોદરા/સુરત,તા.૬ : અમદાવાદના આર્કિટેકટ જય દેસાઈના ૨૪ જાન્યુઆરીએ લગ્ન છે. પરંતુ હાલ કોરોનાના કેસોમાં ફરી ઉછાળો આવી રહ્યો છે અને આગળ જતાં સ્થિતિ કેવી હશે તે અંગે અનિશ્યિતતા પ્રવર્તી રહી છે. એવામાં જય દેસાઈ મૂંઝવણમાં છે કે લગ્ન મોકૂફ કરવા કે નહીં? જો લગ્ન પ્રસંગ યોજે તો કેટલા મહેમાનોને આમંત્રિત કરવા.

જય દેસાઈએ કહ્યું, 'પ્રસંગોમાં કેટલાક લોકો એકત્રિત થઈ શકે તે અંગે હજી સુધી સરકારે કોઈ ગાઈડલાઈન બહાર પાડી નથી. પરંતુ કોરોનાના કેસ વધતાં કેટલા લોકોને બોલાવા તે સમજાતું નથી. અમે ૧૫ જાન્યુઆરી સુધી રાહ જોઈશું અને પછી આગળ નિર્ણય કરીશું.'

વડોદરાના નિલેશ પટેલની પણ કંઈક આવી જ ચિંતા છે. તેમની દીકરીના લગ્ન જાન્યુઆરી મહિનાના અંતે લેવાના છે. 'કેટલા મહેમાનોને આમંત્રણ આપવું તેના કરતાં પણ મોટી ચિંતા મને મારી દીકરીની છે. મારી દીકરી યુએસથી આવવાની છે એટલે તેને આઈસોલેટ થવું પડી શકે. ઉપરાંત અમને એવું પણ સાંભળવા મળ્યું છે કે, મુસાફરો ફ્લાઈટમાં બેસે તે પહેલાં કોરોના રિપોર્ટ નેગેટિવ હોય છે અને ભારતમાં ઉતરે ત્યારે પોઝિટિવ આવે છે. આ જ વાતની ચિંતા અમને સૌથી વધુ છે. સરકાર ગાઈડલાઈન બહાર પાડે પછી અમે આમંત્રિતોની યાદી તૈયાર કરીશું', તેમ નિલેશ પટેલે ઉમેર્યું.

આવો જ કિસ્સો ઈબ્રાહિમ શેખનો છે, જેમની દીકરીના નિકાહ આવતા સપ્તાહે છે. તેમણે કહ્યું, 'અમે રિસેપ્શનમાં વધુ લોકોને બોલાવાનું વિચારી રહ્યા હતા પરંતુ હવે લાગે છે કે સાદગીથી જ પૂરું કરવું પડશે. ઉપરાંત સરકાર ગાઈડલાઈન બહાર પાડે પછી અમે મહેમાનોની યાદીમાં વધ-ઘટ કરીશું.'

આખા ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે. જેના લીધે કેટલાય લગ્ન પ્રસંગો, કોર્પોરેટ ઈવેન્ટ, એકિઝબિશન અને સામાજિક મેળાવડા રદ્દ કે મુલતવી રાખવામાં આવે છે અથવા આમંત્રિતોની સંખ્યા ઘટાડી દેવાઈ છે.

ગુજરાતના હોટલ્સ એન્ડ રેસ્ટોરાં અસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ કહ્યું, ઙ્કલગ્ન અને અન્ય સામાજિક પ્રસંગોના ઓછામાં ઓછા ૧૦ બુકિંગ કેન્સલ કરવાના અમને ફોન આવ્યા છે. કોરોનાના કેસમાં વધારો થતાં લોકો ફેરવિચાર કરી રહ્યા છે. કેટલાક લોકોએ જરૂરી ના હોય તેવા પ્રસંગોને રદ્દ કરીને માત્ર ૫૦-૧૦૦ લોકોની હાજરીમાં લગ્ન પ્રસંગો પૂરો કરી લેવાનો નિર્ણય કર્યો છે. જેથી પરિવાર અને આમંત્રિતો સુરક્ષિત રહે.'

દરમિયાન ડેસ્ટિનેશન વેડિંગ કરવાનું વિચારી રહેલા લોકોએ પણ તેમનો પ્લાન હાલ પૂરતો સ્થગિત કરવો પડ્યો છે. સુરત સ્થિત સાઉથ ગુજરાત ઈવેન્ટ મેનેજમેન્ટ અસોસિએશનના પ્રમુખ નિરવ ચાવલાએ કહ્યું, '૧૪-૧૫ જાન્યુઆરીએ ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગ યોજાવાનું હતું પરંતુ કન્યાના માતાપિતા કોરોના સંક્રમિત રાખતાં કાર્યક્રમ કેન્સલ કર્યો છે. આ સિવાય પણ ડેસ્ટિનેશન વેડિંગ વિશે વિચારી રહેલા લોકોએ પણ કાર્યક્રમ મુલતવી રાખ્યો છે.'

'જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીમાં યોજાનારી ઓછામાં ઓછી ૩૦ ટકા ઈવેન્ટ્સ કોરોનાના કેસ વધતાં રદ્દ થઈ છે. કેટલાંકે કાર્યક્રમ સ્થગિત કરી દીધો છે તો કેટલાંક હજી પણ રાજય સરકારની ગાઈડલાઈન્સની રાહ જોઈને બેઠાં છે', તેમ શહેરની એક ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીના માલિક પિન્ટુ દાંડવાલાએ કહ્યું.

કોરોના વાયરસનું સંક્રમણ વધતાં કેટલાય એકિઝબિશન્સ અને કોર્પોરેટ ઈવેન્ટ્સ મુલતવી રખાઈ છે. શહેરના એક ફેશન અને લાઈફસ્ટાઈલ ઈ-કોમર્સ પોર્ટલના ફાઉન્ડર નેહા શેઠે આગામી અઠવાડિયે યોજાનારું એકિઝબિશન રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું, '૧૧ અને ૧૨ જાન્યુઆરીએ અમે ફેશન અને લાઈફસ્ટાઈલ સેગમેન્ટની પ્રોડકટ્સનું એકિઝબિશન યોજવાના હતા. જોકે, છેલ્લા અઠવાડિયામાં કોરોનાના કેસોમાં જે વધારો નોંધાયો છે તેને જોતાં ભીડ એકઠી નથી કરવી તેવું લાગે છે. તદુપરાંત અમે દેશભરમાંથી ડિઝાઈનરોને બોલાવ્યા છે અને જો લોકો એકિઝબિશનમાં આવે જ નહીં તો અમારો હેતુ સિદ્ઘ ના થાય. એટલે જ અમે ઈવેન્ટ કેન્સલ કરી છે.'

(10:08 am IST)