Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

ગ્રીન એનર્જી કોરિડોરના બીજા તબક્કાને મળી મંજૂરી

૧૨ હજાર કરોડનો ખર્ચ કરવામાં આવશે : બીજા તબક્કામાં સાત રાજ્યમાં ૧૦૭૫૦ સર્કિટ કિલોમીટર ટ્રાન્સમિશન લાઇનનું નિર્માણ કરાશે

નવી દિલ્હી, તા.૬ : આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં ઇન્ટ્રા સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ ગ્રીન એનર્જી કોરિડોરના બીજા તબક્કાને મંજૂરી આપવામાં આવી છે. આ પરિયોજના પર લગભગ ૧૨,૦૦૦ કરોડનો ખર્ચ થશે. તેનાથી ૧૦૭૫૦ સર્કિટ કિલોમીટર ટ્રાન્સમિશન લાઇનનું નિર્માણ થશે. બીજા તબક્કામાં સાત રાજ્ય ગુજરાત, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરલ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને રાજસ્થાનમાં ૧૦૭૫૦ સર્કિટ કિલોમીટર ટ્રાન્સમિશન લાઇનનું નિર્માણ થશે. પ્રથમ તબક્કાનું લગભગ ૮૦ ટકા કામ પૂરુ થઈ ચુક્યું છે. આ જાણકારી કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આપી છે.

આ સાથે તેમણે કહ્યું કે ભારત-નેપાળ વચ્ચે મહાકાલી નદી પર ધારચુલામાં એક પુલ બનાવવાનો નિર્ણય પણ કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો છે. આ સંબંધિત એમઓયૂ જલદી સાઇન કરવામાં આવશે. તેનાથી ઉત્તરાખંડમાં રહેતા લોકોને લાભ થશે અને નેપાળ તરફ રહેતા લોકોને પણ ફાયદો થશે.

હાલમાં ગ્લાસગોમાં COP26 જળયવાયુ સંમેલનમાં કરવામાં આવેલી ભારતની મહત્વકાંક્ષી ઉત્સર્જન નિયંત્રણ પ્રતિબદ્ધતાઓ, ક્ષેત્રોમાં રોકાણ માટે મોટા અવસર ખુલ્યા છે અને સરકાર દ્વારા સમય પર હસ્તક્ષેપની જરૂર છે અને વીજળી, ઉદ્યોગ અને પરિવહન જેવા ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જક ક્ષેત્રોમાં મોટા પાયે કેપેક્સની જરૂરીયાત છે. રેટિંગ એજન્સી આઈસીઆરએના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રોડમેપથી ન માત્ર કાર્બનમાં કમી, પરંતુ ઉર્જા ક્ષમતા અને ગ્રીન ઈંધણમાં નવી ટેક્નોલોજીના નિર્માણમાં ભારતને લાભ થવાની આશા છે. આઈસીઆરએએ કહ્યું કે, નવીન ઉર્જા, કાર્બન કેપ્ચર ટેક્નિક, ઈવી ટેક્નોલોજી તંત્ર, ઉર્જા ક્ષમતામાં સુધાર અને ઇથેનોલ સંમિશ્રણ જેવા ક્ષેત્રોમાં રોકાણના અવસર ઉભા થશે.

નવી અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગ્રીન એનર્જી પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય પરંપરાગત પાવર સ્ટેશનોની મદદથી ગ્રીડ દ્વારા ગ્રાહકોને સૌર અને પવન ઊર્જા જેવા પર્યાવરણને અનુકૂળ સ્ત્રોતોમાંથી વીજળી ટ્રાન્સફર કરવાનો છે.

(12:00 am IST)