Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

કોરોનાનો હવે પછીનો વેરિયન્ટ વધારે ઘાતક હશે : રવિન્દ્ર ગુપ્તા

કેમ્બ્રિજ યુનિવર્સિટીના એનઆરઆઈ વૈજ્ઞાનિકે ચેતવણી : રવિન્દ્ર ગુપ્તાએ અભ્યાસમાં દાવો કર્યો હતો કે સેલ્સના મોડિફાઈડ ફ્યુઝન મિકેનિઝમથી ઓમિક્રોન માણસની ઈમ્યુન સિસ્ટમને સરળતાથી ભેદી શકશે

લંડન, તા.૭ : શું ઓમિક્રોન કોરોનાવાયરસના અંતની શરુઆત છે? શું ૨૦૨૨માં ખરેખર કોરોનાનો અંત આવી જવાનો છે? ડેલ્ટા વેરિયંટ કરતા ઓમિક્રોન ભલે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો હોય, પરંતુ તેની ઘાતકતા ઓછી હોવાને કેટલાક જાણકારો સારી વાત ગણાવી રહ્યા છે. જોકે, આ માન્યતા સામે કેમ્બ્રિજ યુનિવર્સિટીના એનઆરઆઈ વૈજ્ઞાનિકે ચેતવણી ઉચ્ચારી છે. તેમનું કહેવું છે કે કોરોનાનો હવે પછીનો જે વેરિયંટ આવશે તે વધારે ઘાતક હોઈ શકે છે. કેમ્બ્રિજ ઈન્સ્ટિટ્યૂટ ફોર થેરાપ્યુટિક ઈમ્યુનોલોજી એન્ડ ઈન્ફિશિયસ ડિસિસીઝના પ્રોફેસર ઓફ ક્લિનિકલ માઈક્રોબાયોલોજી રવિન્દ્ર ગુપ્તાએ ઓમિક્રોન વેરિયંટ પર એક અભ્યાસ કર્યો છે. જેમાં તેમણે દાવો કર્યો હતો કે સેલ્સના મોડિફાઈડ ફ્યુઝન મિકેનિઝમથી ઓમિક્રોન માણસની ઈમ્યુન સિસ્ટમને સરળતાથી ભેદી શકશે. યુકે બાદ હાલ ભારતમાં પણ ઓમિક્રોન ખૂબ જ ઝડપથી વિસ્તરી રહ્યો છે, જોકે તે ફેફસાં પર ખાસ અસર નથી કરી રહ્યો. પરંતુ તેનો અર્થ એવો નથી કે તેનાથી કોરોનાવાયરસ માઈલ્ડ બની રહ્યો છે.

પ્રોફેસર ગુપ્તાના જણાવ્યા અનુસાર, એવી ધારણા બંધાઈ રહી છે કે સમયની સાથે વાયરસની ઘાતકતા ઘટી રહી છે. પરંતુ ખરેખર તેમ નથી થઈ રહ્યું. હાલ વાયરસની પેટર્નમાં જે પરિવર્તન દેખાઈ રહ્યું છે તે એક લાંબા ગાળાનો ટ્રેન્ડ છે. કોરોના ખૂબ જ ઝડપથી ફેલાતો અને પેટર્ન બદલતો વાયરસ છે, જેથી તે માઈલ્ડ થઈ જાય તેવું માનવાને કોઈ કારણ નથી. ઓમિક્રોન ડેલ્ટાથી ઓછો ઘાતક છે તે થોડા સમય માટે રાહતના સમાચાર હોઈ શકે છે. પરંતુ ઓમિક્રોન પછી પણ વધુ વેરિયંટ્સ આવશે. જરુરી નથી કે ભવિષ્યમાં આવનારા વેરિયંટ ઓમિક્રોન જેવા જ હળવા હોય. શક્ય છે કે આપણે પહેલા કોરોનાની જે ઘાતકતા જોઈ ચૂક્યા છે તે આવનારા સમયમાં ફરી જોવા મળે. કોરોનાવાયરસની ઘાતકતી ઓછી થવાની શક્યતા ખૂબ જ ઓછી છે ત્યારે ઓમિક્રોન જેવા માઈલ્ડ વેરિયંટને નેચરલ વેક્સિન માની લેવાને બદલે ઈન્ફેક્શન બ્લોક કરવું, તેને ફેલાતું રોકવું વધુ ઈચ્છનીય છે. કારણકે, આપણને હજુ ખબર નથી કરે અલગ-અલગ વેરિયંટની આપણા સ્વાસ્થ્ય પર કેવી અસર પડશે, અને તે કેટલી ઘાતક હશે. વેક્સિનેશન પર ખાસ ભાર આપતા પ્રોફેસર ગુપ્તાએ તેને કોરોના સામેના રક્ષણની ફર્સ્ટ લાઈન ઓફ ડિફેન્સ પણ ગણાવી હતી. તેમનું માનવું છે કે, ઓમિક્રોન પ્રમાણમાં માઈલ્ડ છે ત્યારે આ તકનો લાભ લઈ વેક્સિનેશન કવરેજને ઝડપથી વિસ્તારવું જોઈએ.

ભારતમાં ઓમિક્રોનની અસર કેવી રહેશે તે અંગે પોતાનો મત વ્યક્ત કરતાં પ્રો. ગુપ્તાએ કહ્યું હતું કે દેશમાં ડેલ્ટા ખૂબ જ વિશાળ પ્રમાણમાં લોકોને સંક્રમિત કરી ચૂક્યો હોવાથી લોકોમાં વાયરસ સામે લડવાની ઈમ્યુનિટી વિકસી છે. વળી, ભારતમાં વેક્સિનેશનની કામગીરી પણ ખૂબ જ સારી રીતે કરવામાં આવી છે. જોકે, ઓમિક્રોનથી બચવા માટે બુસ્ટર ડોઝ જરુરી છે. પરંતુ, ભારતમાં ઘણા કિસ્સામાં વેક્સિનના બંને ડોઝ લીધા બાદ પણ લોકોને કોરોના થયો છે, આવા લોકોને બુસ્ટર ડોઝની જરુર છે કે કેમ તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. જોકે, જે લોકોએ હજુ સુધી રસી નથી લીધી તેમને ચેપ લાગવાનો સૌથી વધુ ખતરો છે.

(7:36 pm IST)