Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

વધુ એક બેદરકારી? ૧૮ કલાકે પંજાબ પોલીસે FIR નોંધી અને તેમાં પણ PM અંગે કોઈ ઉલ્લેખ નહીં

દેશના પીએમ બપોરે ૧.૦૫ વાગ્‍યે જામમાં ફસાઈ જાય છે અને ફિરોઝપુર પોલીસને ૨.૩૦ વાગ્‍યે નાકાબંધી વિશે જાણ થઈ

ચંડીગઢ, તા.૮: પીએમ મોદીનો કાફલો બુધવારે પંજાબના મોગા-ફિરોઝપુર હાઈવે પર ફ્‌લાયઓવરમાં ફસાઈ ગયો હતો. પ્રદર્શનકારીઓના ટોળાએ PMના કાફલાને રોક્‍યો હતો, PM મોદીના કાફલાને ૨૦ મિનિટ સુધી ફ્‌લાયઓવર પર અટવાવું પડ્‍યું. તેવામાં પીએમ જેવા મહત્‍વના વ્‍યક્‍તિની સુરક્ષામાં ખામી હોવાના મામલામાં આખરે ૧૮ કલાક બાદ FIR નોંધવામાં આવી છે. આ FIR ૬ જાન્‍યુઆરીએ સવારે ૭.૪૦ વાગ્‍યે અજાણ્‍યા લોકો સામે નોંધવામાં આવી હતી.
દેખાવકારોના એક જૂથે ૫ જાન્‍યુઆરીએ બપોરે ૧.૦૫ વાગ્‍યે રસ્‍તો બ્‍લોક કરી દીધો હતો. પીએમ ભારત-પાકિસ્‍તાન બોર્ડર પર આવેલા હુસૈનીવાલા ગામ જઈ રહ્યા હતા. આ રોડ જામ કેસમાં કાયદાની સાવ ચીલાચાલુ કલમો લગાવવામાં આવી છે. જેમાં આઈપીસીની કલમ ૨૮૩ (જાહેર માર્ગમાં ખતરો અથવા અવરોધ) હેઠળ કેસ નોંધવામાં આવ્‍યો છે. આ કિસ્‍સામાં દોષિતોને સજા તરીકે ૨૦૦ રૂપિયાનો દંડ કરવામાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે આ એફઆઈઆરમાં પીએમ મોદી ફસાયા હોવાનો કોઈ ઉલ્લેખ નથી.
પોલીસ અધિકારી બિરબલ સિંહની ફરિયાદ પર FIR નોંધવામાં આવી છે. જેમાં તેમણે કહ્યું કે ૫ જાન્‍યુઆરીએ બપોરે ૨.૩૦ કલાકે તેઓ ફ્‌લાયઓવર પર પહોંચ્‍યા હતા. જયારે તેઓ ત્‍યાં પહોંચ્‍યા ત્‍યારે તેના દોઢ કલાક પહેલા જ પીએમ આ ફ્‌લાયઓવર પર ફસાયા બાદ ભટિંડા એરપોર્ટ પર પરત ફર્યા હતા. અને તેમણે પોતાના કોઈપણ રાજકીય કાર્યક્રમમાં ભાગ લીધો ન હતો.

 

(4:07 pm IST)