Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

ટીવી સિરિયલ પંડ્યા સ્ટોરના ચાર કલાકારોને કોરોના થયો

દેશભરમાં રોકેટ ગતિએ વધી રહેલા કોરોનાના કેસ : અભિનેતા અક્ષય ખરોદિયા, મોહિત પરમાર, અભિનેત્રી એલિસ કૌશિક, સિમરન બુધરુપ કોરોના સંક્રમિત થયા

મુંબઈ, તા. : દેશભરમાં કોરોનાના કેસ રોકેટગતિએ વધી રહ્યા છે. સરકારો ફરી એકવાર કોરોનાના નિયમો પ્રત્યે કડક વલણ દર્શાવી રહી છે. અનેક રાજ્યોમાં રાત્રિ કર્ફ્યુ લાદવામા આવ્યો છે. રાજધાની દિલ્હીમાં તો વીકેન્ડ કર્ફ્યુનો પણ અમલ કરવામાં આવ્યો છે. મુંબઈમાં પણ કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીના અનેક કલાકારો કોરોના સંક્રમિત થયા છે. અત્યાર સુધી અનેક કલાકારોએ પોતે કોરોના સંક્રમિત હોવાની જાણકારી ફેન્સ સાથે શેર કરી છે. તાજેતરમાં પ્રાપ્ત જાણકારી અનુસાર, લોકપ્રિય ટીવી સીરિયલ પાંડ્યા સ્ટોરના ચાર અભિનેતાઓ એકસાથે કોરોના સંક્રમિત થયા છે.

સ્ટાર પ્લસની પોપ્યુલર ટીવી સીરિયલ પંડ્યા સ્ટોર પર કોરોનાનો કહેર તૂટી પડ્યો છે. સીરિયલમાં કામ કરતા અભિનેતા અક્ષય ખરોદિયા, મોહિત પરમાર, અભિનેત્રી એલિસ કૌશિક તથા સિમરન બુધરુપ કોરોના સંક્રમિત થયા હોવાની જાણકારી સામે આવી છે. મેકર્સે શુક્રવારના રોજ બાબતની જાણકારી આપી હતી. પંડ્યા સ્ટોરના મેકર્સ સુજોય વાધવા અને કોમલ સુજોય વાધવાએ એક સ્ટેટમેન્ટ જાહેર કર્યુ હતું અને જણાવ્યું કે તમામ કલાકારો પોતાના ઘરમાં ક્વોરન્ટાઈન થયા છે. અક્ષય ખરોદિયા, મોહિત પરમાર, એલિસ કૌશિક અને સિમરન બુધરુપનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી અફરા-તફરી મચી ગઈ હતી. તમામ લોકોને મેડિકલ સહાય આપવામાં આવી રહી છે અને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

શૉની ટીમના બાકી સભ્યોનો પણ કોરોના ટેસ્ટ કરાવવામાં આવી રહ્યો છે. બીએમસીને પણ બાબતે જાણકારી આપવામાં આવી છે. પ્રોટોકોલ અનુસાર સેટને ફ્યૂમિગેટ કરવામાં આવ્યો છે અને સેનેટાઈઝ પણ કરવામાં આવ્યો છે.પ્રાપ્ત જાણકારી અનુસાર, સદ્દનસીબે અન્ય કલાકારોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પરંતુ મેકર્સ માટે ચાર અભિનેતાઓનો રિપોર્ટ પોઝિટિવ આવવો તે પણ ચિંતાની બાબત છે કારણકે સીરિયલની સ્ટોરી તેમને લગતી છે અને વર્તમાન ટ્રેક માટે તેમની હાજરી ઘણી મહત્વની છે. હવે જ્યારે ચાર કલાકારો ક્વોરન્ટાઈન થયા છે ત્યારે મેકર્સ ટ્રેકમાં કેવી રીતે બદલાવ લાવશે તે જોવાની વાત છે. અત્યારે તો શૂટિંગ રોકવામાં આવ્યું છે. હવે મેકર્સ શૉને આગળ વધારવા માટે શું નિર્ણય લેશે તે સમયની સાથે જાણવા મળશે.

ઉલ્લેખનીય છે કે અત્યારે ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીના અનેક કલાકારો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. તેઓ સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સને સ્વાસ્થ્યની અપડેટ આપતા રહે છે અને સાથે માસ્ક પહેરવાની સલાહ પણ આપે છે.

ઉલ્લેખનીય છે કે સિંગર વિશાલ દદલાણી, અભિનેત્રી કુબ્રા સૈત, સ્વરા ભાસ્કર, અભિનેત્રી અને સાંસદ મિમિ ચક્રવર્તી, સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુ, એકતા કપૂર, દ્રષ્ટિ ધામી, શિલ્પા શિરોડકર, ડેનલાઝ ઈરાની, અર્જુન કપૂર, રિયા કપૂર સહિત અનેક સેલેબેસ્ કોરોના સંક્રમિત થયા હતા. તમામ સેલેબ્સ પોતાના ઘરમાં ક્વોરન્ટાઈન થયા છે.

(7:33 pm IST)