Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

દુલ્હો શરમમાં મૂકાતાં પોલીસ ફરીયાદ ન કરી શકયો

સુહાગરાતના સમયે દુલ્હન પેટમાં દુખાવાનું કહી રફુચક્કર

યુવકે તાજેતરમાં જ ઘરની અંદર પોતાના નજીકના સગા-વહાલાની વચ્ચે અગ્નિની સાક્ષી માનીને સાત ફેરા લીધા

મધ્યપ્રદેશ,તા.૮: મધ્ય પ્રદેશના ભિંડ પોલીસ સ્ટેશન વિસ્તારના બૈરાગ પુરામાં એક દુલ્હન સુહાગરાતના પહેલા જ ઘરેથી ફરાર થવાનો મામલો આવ્યો છે. મૂળે, મનોજ સોનીએ દલાલના માધ્યમથી ૩૫ હજાર રૂપિયા આપીને એક યુવતી સાથે લગ્ન નક્કી કર્યા હતા અને ઘરની અંદર સાત ફેરા લીધા. સુહાગરાતના સમયે દુલ્હન પેટના દુખાવાનું બહાનું કરીને રફુચક્કર થઈ ગઈ. બીજી તરફ, દુલ્હો હવે શરમમાં મૂકાઇને કોઈને કંઈ પણ કહી પણ નથી શકતો. પિતાના નિધન ઉપરાંત તમામ ભાઈ પોતાનો ઘરસંસાર વસાવીને અલગ-અલગ થઈ ગયા હતા. એવામાં મનોજ પણ પોતાનો ઘરસંસાર વસાવવા માંગતો હતો. તેથી તેણે પોતાના પરિચિતની મદદથી ૩૫ હજાર રૂપિયા આપીને એક યુવતી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. ૪ મે મંગળવારના રોજ ઘરમાં જ પોતાના નજીકના સગા-વહાલાની વચ્ચે અગ્નિની સાક્ષી માનીને સાત ફેરા લીધા. પંડિતની સમક્ષ જન્મોજન્મ સાથ નિભાવવાના વચન પણ આપ્યા.

દોસ્તોએ મનોજના સુહાગરાત માટે રૂમ પણ સજાવી દીધો હતો. પરંતુ સવારે અચાનક દુલ્હન ગાયબ થઈ ગયા બાદ દુલ્હા બાદ તેના દોસ્તો પણ ઉદાસ થઈ ગયા. મળતી માહિતી મુજબ, રાત્રે લગભગ ૧૧ વાગ્યે મનોજ પોતાના રૂમમાં પહોંચ્યો તો તેની નવી નવેલી પત્નીએ કહ્યું કે, તેને પેટમાં દુખાવો થઈ રહ્યો છે. મનોજે વિચાર્યું કે ગરમીના કારણે તેને પેટમાં દુખાવો થઈ રહ્યો હશે. તેથી મનોજે પત્નીને આંટા મારવા માટે કહ્યું. લગભગ એક કલાક બાદ પત્નીએ તેને કહ્યું કે તેને દુખાવામાં કોઈ ફેર નથી પડતો એટલે દવા લઈ આવો. ત્યારબાદ મનોજ તાત્કાલિક મોહલ્લાની બહાર આવેલા મેડિકલ સ્ટોર પર દવા લેવા પહોંચ્યો. જ્યારે મનોજ દવા લઈને ઘરે પહોંચ્યો તો તેની પત્ની ગાયબ હતી.

શરમના કારણે પીડિત દુલ્હો પોતાની સાથે ઠગાઈ થવાની ફરિયાદ પણ ન કરી શક્યો. જોકે દુલ્હા મનોજ સોની બધાને એવું આશ્વાસન આપી રહ્યો છે કે તેની પત્ની ક્યાંય નથી ગઈ અને તે પાછી આવશે.

(3:16 pm IST)