Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

પશ્ચિમ રેલવેએ પ્લેટફોર્મ ટિકિટનો દર રૂ. ૧૦ થી વધારીને રૂ. ૩૦ કર્યો

કોરોનાની ત્રીજી લહેરની શંકા વચ્ચે સ્ટેશન ઉપર ભીડ ના થાય તે કારણથી : ફેબ્રુઆરીથી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કરી દેવાયું હતું, નવો દર તા. ૨૨ ઓગસ્ટ સુધી અમલમાં રહેશે પછી સ્થિતી જોઇને ફેરફાર કરાશે

મુંબઇ,તા. ૮ : પશ્ચિમ રેલવેએ આજથી પ્લેટફોર્મ ટિકિટના દરમાં ૩૦૦ ટકાનો વધારો ઝીંકી દીધો છે.આજથી અમલમાં આવેલા દર મુજબ હવે પ્લેટફોર્મ ટિકિટના રૂ.૩૦ ચુકવવા પડશે જે અગાઉ રૂ.૧૦ હતા.

રેલવેએ આ વધારો કોરોનાનુ બહાનુ આગળ ધરીને કર્યો છે. રેલવે તંત્રનું કહેવુ છે કે કોરોનાની ત્રીજી લહેરની આશંકા છે એટલે રેલવે સ્ટેશનો ઉપર ભીડ એકઠી ના થાય તે માટે પ્લેટફોર્મ ટિકિટના દરમાં વધારો કરાયો છે. પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના વડોદરા, આણંદ, નડિયાદ, ભરૂચ અને અંકલેશ્વર સ્ટેશન ઉપર પ્લેટફોર્મ ટિકિટના દર રૂ.૩૦ રહેશે જયારે અન્ય સ્ટેશનો ઉપર રૂ.૨૦ રહેશે. પ્લેટફોર્મ ટિકિટના દરોમાં આ વધારો તા.૨૨ ઓગસ્ટ સુધી અમલમાં રહેશે.

ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેર ટોંચ ઉપર પહોંચી ત્યારે પશ્યિમ રેલવેએ ફેબુ્રઆરી ૨૦૨૧થી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ જ બંધ કરી દીધુ હતુ અને મુસાફર સિવાય અન્ય કોઇને સ્ટેશન ઉપર પ્રવેશવા ઉપર પ્રતિબંધ હતો. વડોદરા ડિવિઝનના પીઆરઓ ખેમરાજ મીણાનું કહેવુ છે કે પ્લેટફોર્મ ટિકિટ બંધ હોવાથી મુસાફરોને તકલીફ થતી હતી. મુસાફર સાથે તેમના કોઇ સાથીદાર હોય તો તે સામાન ચઢાવી ઉતારી શકે આથી પેસેન્જર્સ એસોસિએશનો દ્વારા આ અંગે રજૂઆત કરાતા પ્લેટફોર્મ ટિકિટ ફરી શરૂ કરાઇ છે.

ટિકિટના દર તો ફેબુ્રઆરીમાં જ નક્કી કરવામાં આવ્યા હતા. હવે જો તા.૨૨ ઓગસ્ટ સુધીમાં કોરોનાના કેસો વધશે તો ફરીથી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કરી દેવાશે અને જો કોરોનાની સ્થિતિ સામાન્ય બની જશે તો ટિકિટના દરમાં દ્યટાડાની પણ શકયતાઓ છે.

(10:26 am IST)