Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

' દાદા'ને ઘરે પહોંચ્યા મમતા દીદી:સૌરવ ગાંગુલીને જન્મદિવસની પાઠવી શુભેચ્છા : ફરી અટકળ શરૂ

મમતા બેનર્જી અને ગાંગુલી વચ્ચે આશરે એક કલાક સુધી મુલાકાત

કોલકતા : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને વર્તમાનમાં BCCI ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી આજે 49 વર્ષના થઈ ગયા છે.તેમના જન્મદિવસ પર અનેક લોકોએ શુભેચ્છા આપી છે. અનેક રાજકીય તથા અન્ય ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોએ દાદાને જન્મદિવસની શુભેચ્છાઓ આપી છે. આ વચ્ચે  પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સૌરવ ગાંગુલીને જન્મદિવસની શુભકામનાઓ આપવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા. જે તસવીર સામે આવી છે તેમાં મમતા બેનર્જી પૂર્વ કેપ્ટનને ફુલોનું બુકે આપી રહ્યાં છે. ગાંગુલી પણ મુખ્યમંત્રીનું અભિવાદન કરી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે મમતા બેનર્જી અને ગાંગુલી વચ્ચે આશરે એક કલાક સુધી મુલાકાત ચાલી. પરંતુ આ બેઠકમાં શું ચર્ચા થઈ તેની વિગત સામે આવી નથી. 

પરંતુ જે તસવીર સામે આવી તેને લઈને રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યાં છે. મહત્વનું છે કે હાલમાં બંગાળમાં સંપન્ન થયેલી વિધાનસભા ચૂંટણીમાં ટીએમસીએ જીત સાથે સત્તામાં વાપસી કરી છે. પરંતુ આ ચૂંટણી પહેલા ગાંગુલીના ભાજપમાં સામેલ થવાની અટકળો ચાલી રહી હતી. પરંતુ ગાંગુલીએ આ વાતનો ઇનકાર કરી દીધો હતો. ગાંગુલીએ કહ્યુ હતુ કે બધા બધી ભૂમિકા માટે હોતા નથી. 

આ પ્રથમવાર છે જ્યારે મમતા બેનર્જી ગાંગુલીના ઘરે ગયા છે. જાણવા મળી રહ્યું છે કે ગાંગુલીએ મમતાને એક સાડી ભેટમાં આપી છે. ગાંગુલી અને મમતા બેનર્જીની આ મુલાકાતને મહત્વપૂર્ણ ગણાવવામાં આવી રહી છે. 

  અત્રે ઉલ્લેખનીય છે કે મમતા બેનર્જી અને સૌરવ ગાંગુલી વચ્ચે સારા સંબંધ છે. આ વર્ષે જાન્યુઆરીમાં જ્યારે ગાંગુલીને હાર્ટ એટેક આવ્યો તો મમતા તેમના હાલચાલ જાણવા માટે હોસ્પિટલ પણ ગયા હતા. સૌરવ ગાંગુલીને બંગાળ ક્રિકેટ એસોસિએશના અધ્યક્ષ બનાવવામાં પણ મમતા દીદીની મહત્વની ભૂમિકા રહી હતી. બીસીસીઆઈ અધ્યક્ષ બન્યા બાદ ગાંગુલીએ આ પદ છોડી દીધુ હતું

(8:19 pm IST)