Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

હવે રાજ્યના ૮ મહાનગરોમાં જ રાત્રિ કરફયુ : 10મીથી રાત્રે ૧૦ થી સવારે ૬ સુધી 10 દિવસ સુધી રાત્રિ કરફયુ અમલમાં : લગ્ન પ્રસંગ માટે ૧પ૦ વ્યક્તિઓ માટે મંજૂરી

શાળા-કોલેજો અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇનના પાલન સાથે – નિયત એસ.ઓ.પી. સાથે યોજી શકાશે:ધોરણ ૯ થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓ માટેના કોચિંગ-ટયૂશન કલાસીસ સ્થળની ક્ષમતાના પ૦ ટકા વિદ્યાર્થીઓ સાથે બેચ વાઇઝ અને કોરોના એસ.ઓ.પી.ના પાલન સાથે શરૂ કરી શકાશે : રેસ્ટોરેન્ટ્સ હોમ ડિલિવરીની સુવિધા રાત્રિના ૧૨:૦૦ કલાક સુધી ચાલુ રાખી શકશે. જીમ ૬૦% ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે : સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો મહત્તમ ૬૦% કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે.: જાહેર બાગ-બગીચાઓ રાત્રિના ૦૯:૦૦ કલાક સુધી જાહેર જનતા માટે ખુલા રાખી શકાશે : પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ ૭૫% પેસેન્‍જર કેપેસીટીમાં ચાલુ રહેશે :મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો

અમદાવાદ :મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દૈનિક કેસોમાં થઇ રહેલા સતત ઘટાડા અને પ્રવર્તમાન સ્થિતીની પૂન:સમીક્ષા કરીને કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.

 

મુખ્યમંત્રીની અધ્યક્ષતાની આ કોર કમિટીમાં લેવાયેલા નિર્ણયો મુજબ રાજ્યમાં હવે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર એ આઠ મહાનગરોમાં જ રાત્રિ કરફયુનો અમલ કરાશે.
અગાઉ આ આઠ મહાનગરો સહિત રાજ્યના ભૂજ, મોરબી, પાટણ, મહેસાણા, ભરૂચ, નવસારી, વલસાડ, અંકલેશ્વર અને વાપીમાં રાત્રી કરફયુ અમલમાં હતો તેમાંથી હવે આઠ મહાનગરો પૂરતો જ આ રાત્રિ કરફયુ અમલમાં રહેશે.
આ રાત્રિ કરફયુ તા.૧૦મી જુલાઇ-ર૦ર૧ના રાત્રે ૧૦ કલાકથી તા.ર૦ જુલાઇ-ર૦ર૧ના સવારે ૬ કલાક સુધીના સમય દરમિયાન દરરોજ રાત્રે ૧૦ થી સવારે ૬ સુધી આ આઠ મહાનગરોમાં રહેશે.
  વિજયભાઇ રૂપાણી અને કોર કમિટીએ એવો પણ નિર્ણય કર્યો છે કે રાત્રિ કરફયુ અમલમાં છે તે શહેરોમાં તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ, અઠવાડીક ગુજરી/બજાર/હાટ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ રાત્રિના ૦૯:૦૦  કલાક સુધી ખુલ્લા રાખી શકાશે.(તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા.૩૧.૦૭.૨૦૨૧ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા વાણિજ્યિક એકમો ચાલુ રાખી શકાશે નહી.)
રેસ્ટોરેન્ટ્સ રાત્રિના ૦૯:૦૦ કલાક સુધી બેસવાની ક્ષમતાના મહત્તમ ૬૦% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ચાલુ રાખી શકશે. તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા.૩૧.૦૭.૨૦૨૧ સુધીમાં  વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા  રેસ્ટોરેન્ટસ ચાલુ રાખી શકાશે નહી, તેમ પણ નિર્ણય કરવામાં આવ્યો છે.
રેસ્ટોરેન્ટ્સ હોમ ડિલિવરીની સુવિધા રાત્રિના ૧૨:૦૦ કલાક સુધી ચાલુ રાખી શકશે. જીમ ૬૦% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ચાલુ રાખી શકશે.( તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા.૩૧.૦૭.૨૦૨૧ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા જીમ ચાલુ રાખી શકાશે નહી.) જાહેર બાગ-બગીચાઓ રાત્રિના ૦૯:૦૦ કલાક સુધી જાહેર જનતા માટે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ખુલ્લા રાખી શકાશે.  આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૧૫૦ (એકસો પચાસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે.અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ ૪૦ (ચાળીસ) વ્યક્તિઓની મંજુરી રહેશે.
તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમોમાં તેમજ ધાર્મિક સ્થળોમાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન, ખુલ્લામાં મહત્તમ ૨૦૦ વ્યકિતઓ પરંતુ, બંધ સ્થળોએ, જગ્યાની ક્ષમતાના ૫૦% (મહત્તમ ૨૦૦ વ્યક્તિઓની મર્યાદામાં) વ્યકિતઓ એકત્રિત થઇ શકશે. ધો.૯ થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ  સુધીના કોચીંગ/ટ્યુશન કલાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના  કોચિંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહત્તમ ૫૦% વિદ્યાર્થીઓ સાથે બેચવાઇઝ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. સાથે ચાલુ રાખી શકાશે. શાળા, કોલેજ, અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. સાથે યોજી શકાશે.
વાંચનાલયો ૬૦% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ચાલુ રાખી શકાશે.( તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા.૩૧.૦૭.૨૦૨૧ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા વાંચનાલયો ચાલુ રાખી શકાશે નહી.) પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ ૭૫% પેસેન્‍જર કેપેસીટીમાં ચાલુ રહેશે. પબ્લિક બસ ટ્રાન્‍સપોર્ટને કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવે છે. (તમામ ડ્રાઇવર અને કંડક્ટર એ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધેલ હોય તે અનિવાર્ય રહેશે.)
 પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ/સ્પોર્ટ્સ  સ્ટેડીયમ/સંકુલમાં  રમતગમત  ચાલુ રાખી શકાશે.(રમતગમતમાં ભાગ લેનાર ખેલાડી, સપોર્ટ સ્ટાફ ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા વેકસીનનો પ્રથમ ડોઝ લીધેલ હોય તે અનિવાર્ય રહેશે.)
 સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો મહત્તમ ૬૦% કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે.( તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા.૩૧.૦૭.૨૦૨૧ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો ચાલુ રાખી શકાશે નહી.)
શૈક્ષણિક સંસ્થાઓ(ઓનલાઇન શિક્ષણ સિવાય), વોટર પાર્ક, સ્પા, સ્વિમીંગ પુલ બંધ રહેશે.
કોર કમિટીની આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ, ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અધિક સચિવ એમ. કે. દાસ, આરોગ્ય અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ અને વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા.

 

(8:53 pm IST)