Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

મોદીના નામે કોઈ પણ જીતે, સંગઠન જરૂરી : અમિત શાહ

ભાજપની મંથન બેઠકમાં નડ્ડા-શાહનું આકરું વલણ : મંત્રીઓએ પોતાના સંસદીય ક્ષેત્રોની મુલાકાત લઈને ત્યાં શું સ્થિતિ છે તેનો તકાજો નથી મેળવ્યો તેમને ચેતવણી આપી

નવી દિલ્હી, તા.૮ : ભાજપની મંથન બેઠક દરમિયાન પાર્ટી પ્રમુખ જેપી નડ્ડા અને મુખ્ય રણનીતિકાર અમિત શાહે ખૂબ જ આકરૃં વલણ અપનાવ્યું હતું. જે પણ મંત્રીઓએ પોતાને ફાળવવામાં આવેલા સંસદીય ક્ષેત્રોની મુલાકાત લઈને ત્યાં શું સ્થિતિ છે તેનો તકાજો નથી મેળવ્યો તેમને અમિત શાહે ચેતવણી આપી દીધી હતી.  અમિત શાહે મંત્રીઓને કહ્યું હતું કે, 'આપણે અહીં સંગઠનના કારણે છીએ. સરકાર પણ સંગઠનના કારણે છે. સંગઠનને પ્રાથમિકતા આપવી જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી લોકપ્રિય છે. પીએમ મોદીના નામે કોઈ પણ જીતી શકે છે પરંતુ જો જમીની સ્તરે કોઈ સંગઠન નથી તો આપણે તેનો ફાયદો નહીં ઉઠાવી શકીએ.'  આગામી ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ૩૫૦ બેઠકો જીતવાનો લક્ષ્ય નિર્ધારિત કર્યો છે અને ચૂંટણીના ૨૦ મહિના પહેલાથી જ તેના માટે રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે. પાર્ટી ખાસ કરીને એવા ૧૪૪ ચૂંટણી ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે જ્યાં તે ૨૦૧૯ની ચૂંટણીમાં ખૂબ જ ઓછા અંતરથી હારી હતી. પાર્ટી તેવી ૧૪૪માંથી ઓછામાં ઓછી ૭૦થી વધુ બેઠકો જીતવા યોજના બનાવી રહી છે. ઉપરાંત જમીની સ્તરે કામગીરી પૂર્ણ કરવામાં અસફળ રહેનારા મંત્રીઓ માટે પણ ભાજપ આકરૃં વલણ અપનાવશે. અમિત શાહે કહ્યું હતું કે, 'આપણે ગત ૨૦૧૯ની સરખામણીએ વધારે બેઠકો જીતવાની છે... ,તે સમયે આપણે ૨૦૧૪માં હાર્યા હતા તે બેઠકોમાંથી ૩૦ ટકા બેઠકો જીત્યા હતા..., આપણે ૨૦૧૯માં જે બેઠકો પર હાર મળેલી તેમાંથી ૫૦ ટકા બેઠકો જીતવાની છે.' ઉલ્લેખનીય છે કે, ૨૦૧૯માં ભાજપે ૫૪૩ લોકસભા બેઠકોમાંથી ૩૦૩ પર વિજય મેળવ્યો હતો. અનેક દશકા બાદ પ્રથમ વખત કોઈ પાર્ટી પોતાના બળે આ પ્રકારે બહુમત મેળવી શકી હતી. તે સમયે વિપક્ષ સૌથી વધુ બેઠકો જીત્યું હતું જેમાં કોંગ્રેસને સૌથી વધારે ૫૩ બેઠકો મળી હતી.

જે ૧૪૪ મતવિસ્તારો મંત્રીઓ વચ્ચે વહેંચવામાં આવ્યા છે તેમાં નિયમિત મુલાકાત અને વિસ્તૃત જાણકારી એકઠી કરવા કહેવામાં આવ્યું છે. ઉપરાંત મંત્રીઓને કેન્દ્ર અને રાજ્ય દ્વારા લાગુ કરવામાં આવેલી અનેક કલ્યાણકારી યોજનાઓનો ફાયદો ઉઠાવનારા લોકોની સંખ્યા જાણવા માટે પણ કહેવામાં આવ્યું હતું. તે માહિતી 'સરલ' નામના વેબ પોર્ટલ પર અપલોડ કરવા કહેવામાં આવ્યું હતું. અમિત શાહે એમ પણ કહ્યું હતું કે, 'સંગઠનનો મજબૂત આધાર અને પીએમ મોદીનો કરિશ્મા ૨૦૨૪ માટે જીતની ફોર્મ્યુલા હશે.'

 

 

(7:32 pm IST)