Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

યુપીએ વખતે ઈંધણના ભાવ વધારા મામલે ટવીટ કરનારી સે‌લિબ્રિટીઓ અત્યારે ચૂપ કેમ ?

મુંબઈ કૉન્ગ્રેસના અધ્યક્ષ ભાઈ જગતાપે બૉલીવુડના કલાકારો સામે નિશાન સાધ્યું

મુંબઈ : દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે વધારો થવાથી રાજકીય વાતાવરણ ગરમાયું છે. આ મુદ્દે મુંબઈ કૉન્ગ્રેસના અધ્યક્ષ ભાઈ જગતાપે બૉલીવુડના કલાકારો સામે નિશાન સાધ્યું છે. તેમણે ટ્વીટ કરીને સવાલ કર્યો છે કે ૨૦૧૨માં અમિતાભ બચ્ચન, અક્ષયકુમાર અને અનુપમ ખેરે પેટ્રોલના ભાવવધારા સામે ટ્વીટ કર્યાં હતાં, હવે તેઓ ક્યાં છે? આ દેશભક્તો હવે ઇલેક્ટ્રિક કાર ચલાવે છે?' સતત વધી રહેલા ઈંધણના ભાવથી વિરોધી પક્ષો દ્વારા સરકારની ટીકા કરાઈ રહી છે.

ભાઈ જગતાપે કૉન્ગ્રેસની આગેવાનીની યુપીએ સરકારના સમયગાળામાં પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારો થયો હતો ત્યારે બૉલીવુડની સેલિબ્રિટીએ ટ્વીટ કરીને સરકાર સામે સવાલ કર્યા હતા. ભાઈ જગતાપે આ અભિનેતાઓની ૨૦૧૨ની ટ્વીટ શૅર કરી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચન, અક્ષયકુમાર અને અનુપમ ખેરે ટ્વીટ કરી હતી. એ સમયે પેટ્રોલના ભાવ વધવાથી અક્ષયકુમારે હવે ફરી સાઇકલનો ઉપયોગ કરવો પડશે, એમ ટ્વીટમાં લખ્યું હતું. અમિતાભ બચ્ચને ગાડી ખરીદવા કૅશ તો પેટ્રોલ માટે લોન લેવાની જરૂર પડશે, એવી ટ્વીટ કરી હતી, જ્યારે અનુપમ ખેરે એક જૉક શૅર કરતી વખતે પેટ્રોલ-ડીઝલના ભાવવધારા પર સરકારની ટીકા કરતી ટ્વીટ કરી હતી.

મુંબઈમાં પેટ્રોલનો ભાવ ૯૩.૪૯ રૂપિયા લિટરે તો નાગપુરમાં ૮૪.૫૪ રૂપિયા, નાશિકમાં ૮૨.૦૪ રૂપિયા છે. સતત વધી રહેલા ઇંધણના ભાવથી વિરોધી પક્ષો દ્વારા સરકારની ટીકા કરાઈ રહી છે.

(10:35 am IST)