Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

પાકિસ્‍તાનમાં હવે રાતે ૮.૩૦ વાગે બધા બજારો બંધ થઇ જશે

વીજળીની બચત કરવા માટે

ઇસ્‍લામાબાદ તા. ૯ : ‘જાનમાં કોઈ જાણે નહીં અને હું વરની ફોઈ' આ રૂઢિપ્રયોગ આપણે વારંવાર ઉપયોગમાં લેતા હોઈએ છીએ પરંતુ પાકિસ્‍તાનને તો જાણે આ રીતે જ રહેવાની આદત પડી ગઈ હોય તેવું લાગે છે કારણ કે પોતાના ત્‍યાં સમસ્‍યાઓનો એટલો ખડકલો છે છતાં ભારતના આંતરિક મામલાઓમાં કૂદી પડવાની પાકિસ્‍તાનને આદત છે. આવું એટલા માટે કહેવું પડે છે કારણ કે હાલ પાકિસ્‍તાન જે આર્થિક બદહાલીમાંથી પસાર થઈ રહ્યું છે તે જોતા જો કોઈ મોટા પગલાં લેવામાં ન આવે તો મુસીબત આવી શકે છે. આર્થિક તંગીથી પરેશાન પાકિસ્‍તાન જો કે એક એવો નિર્ણય લેવો પડ્‍યો છે જેને કારણે ત્‍યાંની જનતાને તકલીફ પડી શકે છે.

પાકિસ્‍તાનની સરકારે હવે વીજળીની બચત કરવા માટે દેશભરમાં તમામ બજારોને રાતે ૮.૩૦ વાગે બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે. પીએમ શાહબાઝ શરીફની અધ્‍યક્ષતામાં થયેલી રાષ્ટ્રીય આર્થિક પરિષદની બેઠકમાં આ નિર્ણય લેવાયો. બુધવારે થયેલી આ બેઠકમાં પાકિસ્‍તાનના ચારેય પ્રાંતોના સીએમ પણ ભાગ લીધો. નિવેદન મુજબ ચારેય મુખ્‍યમંત્રીઓએ બજાર બંધ કરવાના સરકારના આ નિર્ણય પર સૈદ્ધાંતિક રીતે સહમતિ વ્‍યક્‍ત કરી. જો કે પંજાબ, સિંધ અને બલુચિસ્‍તાનના સીએમએ આ મુદ્દે પીએમ શરીફ પાસે ૨ દિવસનો સમય પણ માંગ્‍યો છે. તેમણે કહ્યું કે આ મુદ્દે તેઓ પોત પોતાના પ્રાંતના વેપારીઓ સાથે ચર્ચા કરીને તેમનો ભરોસો જીતવા માંગે છે.

બીજી બાજુ વીજળી મંત્રી ખુર્રમ દસ્‍તગીરે જણાવ્‍યું કે જલ્‍દી બજારો બંધ કરવા અને વર્ક ફ્રોમ હોમથી દેશમાં વીજળીની ખુબ બચત થશે. તેમણે કહ્યું કે પાકિસ્‍તાનમાં ૪ હજાર મેગાવોટ વીજળીની કમી છે. હાલ ૨૨ હજાર મેગાવોટ વીજળીનું ઉત્‍પાદન થાય છે. જયારે જરૂરિયાત ૨૬ હજાર મેગાવોટની છે. આવામાં વીજકાપ કરવા સિવાય બીજો કોઈ રસ્‍તો નથી. મંત્રીએ  કહ્યું કે વીજ કાપના આ આદેશમાં ઈન્‍ડસ્‍ટ્રિયલ એરિયા સામેલ નહીં રહે. તેમણે એમ પણ કહ્યું કે દેશમાં જલદી ૨-પરમાણુ વીજ ઘર શરૂ થવાના છે. તેના ચાલુ થતા જ દેશને ૧૧૦૦ મેગાવોટ વીજળી મળશે.

અત્રે જણાવવાનું કે પાકિસ્‍તાન ચીન, સાઉદી અરબ, યુએઈ અને વિશ્વ બેંકના ભારે ભરખમ કરજ હેઠળ દબાયેલું છે. પાડોશી દેશ ભારત સાથે દુશ્‍મની નોતરી ઉપરથી કોરોનાની મહામારીએ અર્થવ્‍યવસ્‍થાની ગાડી ખોરવી દીધી છે અને સ્‍થિતિ એવી બની ગઈ છે કે જૂના કરજના ખાલી વ્‍યાજ ચૂકવવા માટે પાકિસ્‍તાને નવા કરજ કરવા પડી રહ્યા છે. જેના કારણે અર્થવ્‍યવસ્‍થા સતત ભાંગી રહી છે.

(10:26 am IST)