Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

અરે વાહ...૫ દિ'માં પહેલીવાર ૨૪ કલાકમાં કોરોનાના કેસનો આંકડો ૪ લાખ અંદર નોંધાયો

૨૪ કલાકમાં ૩૬૬૧૬૧ નવા કેસઃ ૩૭૫૪ લોકોના મોત

નવી દિલ્હી, તા. ૧૦ :. દેશમાં કોરોનાની બીજી લહેરે કોહરામ મચાવ્યો છે. કોરોના વાયરસના વધતા ગ્રાફ વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી થોડી રાહત મળતી જોવા મળી છે. નવા દર્દીઓનો આંકડો પાંચ દિવસમાં પહેલીવાર ૪ લાખથી નીચે આવ્યો છે. છેલ્લા ૨૪ કલાકની વાત કરીએ તો દેશમાં કોરોનાના ૩ લાખ ૬૬ હજાર ૧૬૧ નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન ૩૭૫૪ લોકોએ જીવ ગુમાવવા પડયા છે.

અત્યાર સુધીમાં કુલ ૨૪૬૧૧૬ લોકોના કોરોનાથી મોત થયા છે. દેશના કુલ કેસ ૨૨૬૬૨૫૭૫ થયા છે. જ્યારે હાલ સારવાર લેતા દર્દીઓની સંખ્યા ૩૭૪૫૨૩૭ થઈ છે. જ્યારે ૧૮૬૭૧૨૨૨ લોકો સાજા પણ થયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ છે. રવિવારે ૪૮૪૦૧ નવા કેસ સામે આવ્યા હતા અને ૫૭૨ લોકોના મોત થયા હતા. રાજ્યમાં કુલ મોતનો આંકડો ૭૫૮૪૯નો થયો છે.

(11:06 am IST)