Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

કોરોના હવે શરદી-ખાંસી જેવો : ચોથી લહેરની કોઇ જ શક્‍યતા દેખાતી નથી

આલ્‍ફા-બીટા-ડેલ્‍ટા જેવા વાઇરસ આવે તો ખતરાની નિશાની : બે ડોઝ પછી બૂસ્‍ટર ડોઝમાં અન્‍ય રસીનો ડોઝ લેવો હિતાવહ

નવી દિલ્‍હી તા. ૧૧ : ગુજરાતમાં કોરોનાના ઓમિક્રોન એક્‍સઈ વેરિએન્‍ટનો પહેલો કિસ્‍સો સામે આવ્‍યો છે, જોકે ઓમિક્રોન એક્‍સઈથી ચિંતા જેવું નથી, એ એટલા માટે કે આપણે ઓમિક્રોનનો ત્રીજી લહેરમાં સામનો કરી ચૂક્‍યા છે, માત્ર સાવચેતી જરૂરી છે, ગુજરાત સહિત દેશમાં કોરોના શરદી-ખાંસી જેવો થઈ ગયો છે, કોરોનો પેન્‍ડેમિકથી એન્‍ડેમિક તરફ છે, એટલું જ નહિ પરંતુ આગામી સમયમાં પણ કોરોનાની ચોથી લહેરની શક્‍યતા દેખાતી નથી, તેવો મત ઈન્‍ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત બ્રાંચના પૂર્વ પ્રમુખ ડો.ચંદ્રેશ જરદોશ અને અન્‍ય તબીબોએ વ્‍યક્‍ત કર્યો છે.
કોરોનાના ઓમિક્રોન એક્‍સઈ વેરિએન્‍ટથી ચિંતા કરવા જેવું નથી, આપણે ત્‍યાં મોટા ભાગના લોકોને કોરોના રસીનો બીજો ડોઝ અપાઈ ચૂક્‍યો છે, રસીના કારણે ઈમ્‍યુનિટી આવી ગઈ છે, કોરોનાની ત્રીજી લહેર પણ માઈલ્‍ડ રહી છે, ગંભીર પ્રમાણના કેસો ખૂબ ઓછા રહ્યા છે, દર્દીઓ ઘરે જ સાજા થયા હોય તેનું પ્રમાણ ઊંચું રહ્યું છે, મૃત્‍યુઆંક પણ નીચે રહ્યો છે, આમ ઓમિક્રોનનો સામનો ત્રીજી લહેરમાં કરી ચૂક્‍યા છીએ, નવો એક્‍સઈ વેરિએન્‍ટ ઓમિક્રોનનો જ હિસ્‍સો છે, આલ્‍ફા, બીટા, ડેલ્‍ટા માફક જો કોઈ નવો વાયરસ આવે તો જ આપણા માટે ખતરાની નિશાની છે, ચાઈનામાં ઓમિક્રોન પહેલી વાર આવ્‍યો છે એટલે ત્‍યાં ચિંતાનું વાતાવરણ છે, ભારત માટે ઓમિક્રોન નવું નથી.
ઈન્‍ડિયન મેડિકલ એસોસિયેશન સાથે સંકળાયેલા તબીબોનું માનવું છે કે, બુસ્‍ટર ડોઝની શરૂઆત થઈ છે, આ સ્‍થિતિમાં લોકોએ માની લો કે જેમણે રસીના બે ડોઝ કોવિશીલ્‍ડના લીધા હોય તો તેમણે ત્રીજો ડોઝ કો-વેક્‍સિનનો લેવો હિતાવહ છે. જેમ કોરોનાના કેસ વધે તેમ વાયરસના સ્‍વરૂપ બદલાવાની શક્‍યતા વધી જાય છે, અલબત્ત, અત્‍યારે એવા કોઈ ચિહનો દેખાતાં નથી, આમ લોકોએ ગભરાવાને બદલે માત્ર સાચવેતી રાખવાની જરૂર છે. ઓમિક્રોનનો એક્‍સઈ વેરિએન્‍ટ ઝડપથી ફેલાય છે પણ માઈલ્‍ડ પ્રકારનો હોવાથી ચિંતા જેવું લાગતું નથી, તેમાં કોઈ દર્દીને ન્‍યુમોનિયા થાય, કે દર્દી મોત સુધી પહોંચે તેવું થતું નથી, એકંદરે આગામી સમયમાં ચોથી લહેરની શક્‍યતા દેખાતી નથી

 

(10:33 am IST)