Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

ઈન્ફ્રા-સામાજિક યોજનાઓ પાછળ ૯૧ લાખ કરોડનો ખર્ચ

નાણામંત્રીએ આરબીઆઈના રિપોર્ટને ટાંકીને ટ્વિટ કર્યું ઃ લોકોના જીવનધોરણ સુધારવા પર ઓછા ખર્ચ અંગેની ટિપ્પણીના જવાબમાં નાણામંત્રીએ આ વાત કરી

નવી દિલ્હી, તા.૧૧ ઃ ગુજરાત મોડલને આધારે સમગ્ર દેશને વિકાસના નવા પંથે ચઢાવવાના વચન અને સંકલ્પ સાથે સત્તારૃઢ થયેલ મોદી સરકારે છેલ્લા ૮ વર્ષમાં વિકાસના નામે ૯૧ લાખ કરોડ રૃપિયાનો ખર્ચ કર્યો છે.

૨૦૧૪માં સત્તા આવ્યા બાદ મોદી સરકારે છેલ્લા આઠ વર્ષમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને સામાજિક ક્ષેત્રના કાર્યક્રમો પાછળ આશરે રૃ. ૯૧ લાખ કરોડનો ખર્ચ કર્યો છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના અહેવાલ અનુસાર નાણાકીય વર્ષ ૨૦૧૪-૧૫થી નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન કેન્દ્ર સરકારે વિકાસ સંબંધિત કાર્યો માટે ૯૦,૮૯,૨૩૩ કરોડ રૃપિયા ખર્ચ્યા છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના રિપોર્ટને ટાંકીને ટ્વિટ કર્યું કે ૨૦૧૪-૧૫થી ૨૦૨૧-૨૨ દરમિયાન કેન્દ્ર દ્વારા હાથ ધરવામાં આવેલ એકંદર વિકાસલક્ષી ખર્ચ રૃ. ૯૦,૮૯,૨૩૩કરોડ હતો. નાણામંત્રીએ આ જવાબ યુપીએ શાસનના નાણામંત્રી પી ચિદમ્બરમને આપ્યો હતો. ચિદમ્બરમની ઈંધણ કરની ખૂબ ઊંચી વસૂલાત પરંતુ લોકોના જીવનધોરણ સુધારવા પર ઓછા ખર્ચ અંગેની ટિપ્પણીના જવાબમાં નાણામંત્રીએ આ વાત કરી હતી.

આ મહિનાની શરૃઆતમાં ચિદમ્બરમે સરકાર પર આક્ષેપ કરતા કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે ૨૦૧૪-૨૦૨૧ વચ્ચે ફ્યુઅલ ટેક્સ વસૂલાતમાંથી રૃ. ૨૬.૫ લાખ કરોડ એકત્ર કર્યા હતા પરંતુ મફત અનાજ, મહિલાઓને રોકડ ભથ્થાં, પીએમ-કિસાન અને અન્ય રોકડ ટ્રાન્સફર પરનો કુલ ખર્ચ કુલ ૨,૨૫,૦૦૦કરોડથી વધુ નથી.

ચિદમ્બરમે કહ્યું હતું કે ભારતમાં લગભગ ૨૬ કરોડ પરિવારો છે. એટલેકે કેન્દ્ર સરકારે દરેક પરિવાર પાસેથી સરેરાશ રૃ. ૧,૦૦,૦૦૦ફ્યુઅલ ટેક્સ વસૂલ્યો છે. દરેક ભારતીયે પોતાની જાતને પૂછવું જોઈએ કે ઇંધણ ટેક્સ પેટે જ માત્ર આટલી મોટી રકમ ચૂકવવાના બદલામાં પરિવારને શું મળ્યું ?

બીજેપીએ ભૂતપૂર્વ નાણા પ્રધાન દ્વારા રજૂ કરાયેલા આંકડા ઘણા ઓછા હોવાનો તર્ક આપતા કહ્યું કે વિકાસ કામો પરનો ખર્ચ લગભગ ચાર ગણો હતો. ખર્ચની વિગતો શેર કરતાં સીતારમણે કહ્યું કે ૨૬ લાખ કરોડથી વધુનો મૂડી ખર્ચ કરવામાં આવ્યો છે. ખાદ્ય, ખાતર અને ઇંધણ સબસિડી માટે રૃ. ૨૫ લાખ કરોડ અને આરોગ્ય, શિક્ષણ, અફોર્ડેબલ હાઉસ વગેરે જેવી સામાજિક સેવાઓ પર રૃ. ૧૦ લાખ કરોડનો ખર્ચ કર્યો છે. આમ સ્પષ્ટ છે કે પેટ્રોલ-ડીઝલ પર વસૂલેલ ટેક્સમાંથી એકત્ર કરાયેલા પૈસાનો વિકાસ માટે સારો ઉપયોગ કરવામાં આવ્યો છે.

 

(8:53 pm IST)