Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

શહેરમાં કોરોનાનું કાળચક્ર ફરી વળ્યુ : વધુ ૨૫ લોકોના મોત

શહેરમાં ૧૯, જીલ્લામાં ૨ તથા અન્ય જીલ્લામાં ૪ દર્દીઓનાં મોતઃ છેલ્લા ૬ દિવસમાં ૧૫૭ના મોત : સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી શહેરમાં ૧, જીલ્લામાં ૧ મૃત્યુની નોંધઃ આજ દિવસ સુધીમાં કુલ મૃત્યુ ૮૨ થયા

રાજકોટ, તા. ૧૨ :  વૈશ્વિક મહામારી કોરોનાએ રાજકોટમાં કાળો કેર વર્તાવ્યો છે. સતત થઇ રહેલા મૃત્યુ વચ્ચે આજે એક જ રાતમાં અધધધ ૨૫ દર્દીઓનો ભોગ લેવાઇ જતાં હાહાકાર મચી ગયો છે. તે સાથે છેલ્લા ૬  દિવસમાં મૃત્યુઆંક ૧૫૭ થઇ ગયો છે.

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી શહેરમાં ૧, જીલ્લામાં ૧ તથા અન્ય જીલ્લામાં એકપણ મૃત્યુની નોંધ થઇ નથી. આજ દિવસ સુધીમાં કુલ મૃત્યુ ૮૨ થયા છે.

આ અંગે સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ ગઇકાલ તા.૧૧નાં સવારે ૮ વાગ્યાથી આજ તા.૧૨ને સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લાના ૨૫ દર્દીઓનાં મૃત્યુ થયા છે. આ સાથે છેલ્લા ૬ જ દિવસમાં કોરોનાએ ૧૫૭ લોકોની જિંદગી છીનવી લીધી હતી. દરેક સરકારી તંત્રો કોરોનાને મ્હાત કરવામાં વામણા સાબિત થઇ રહ્યા છે અને બીજી તરફ લોકોના જીવ તાળવે ચોટી ગયા છે.

શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે. યુવાન અને આધેડ પણ કોરોનાને કારણે કાળનો કોળીયો બની રહ્યા છે. પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. લોકોએ જાતે જ સાવચેત રહેવું જરૂરી બન્યું છે.

 આમ છતાં રાજકોટ સિવિલમાં કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુનો આંક ઓછો થતો ન હોઇ લોકોમાં જબરો ફફડાટ વ્યાપી ગયો છે.

(2:55 pm IST)