Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

ગરિયાબંધ જીલ્લાના સુપેબેડા સહિત 9 ગામના લોકો દુષિત પાણીના કારણે કિડનીની બિમારીથી પીડિતઃ ગ્રામજનો દ્વારા ઇચ્‍છા મૃત્‍યુની માંગણી

ગરિયાબંદ: જિલ્લાના સુપેબેડા સહિત 9 ગામના લોકોએ સરકાર પાસે ઈચ્છા મૃત્યુની ગુહાર લગાવી છે. વાત જાણે એમ છે કે આ ગામડાઓમાં મોટા પાયે ગ્રામીણો કિડનીની સમસ્યાથી પરેશાન છે. જેનું કારણ છે દૂષિત પાણી. આ બાજુ પ્રશાસનની અવગણનાથી પરેશાન ગ્રામીણો હવે ઈચ્છા મૃત્યુની માગણી કરી રહ્યા છે.

શું છે બીમારીઓનું કારણ

સુપેબેડા સહિત 9 ગામોમાં પાણી એટલું બધુ દૂષિત થઈ ગયું છે કે તેનાથી બીમારીઓ ફેલાઈ રહી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગામડાઓમાં પાણીમાં હેવી મેટલ અને ફ્લોરાઈડની માત્રા નિર્ધારિત માપદંડોથી ખુબ વધારે છે. જેના કારણે આ પાણી પીવાથી લોકોની કિડની ખરાબ થઈ રહી છે. બીમારીઓના કારણે આ ગામોમાં અકાળ મૃત્યુ થઈ રહ્યા છે.

સુપેબેડામાં 76 લોકોના મોત

સુપેબેડા ગામમાં દૂષિત પાણીના કારણે થતી બીમારીઓથી અત્યાર સુધીમાં 76 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 200થી વધુ લોકો ગંભીર બીમારીથી પીડિત છે. આ ગામડાઓમાં મૃત્યુ અને  બીમાર લોકોના આંકડા સતત વધી રહ્યા છે. પ્રદેશ અને કેન્દ્ર સરકારની એજન્સીઓએ આ ગામડાઓમાં બીમારીનું મુખ્ય કારણ દૂષિત પાણી ગણાવ્યું છે.

ગ્રામીણો સરકાર પાસે પીવાના શુદ્ધ પાણીની વર્ષોથી માગણી કરી રહ્યા છે. પરંતુ હજુ સુધી આ માગણી પૂરી થઈ નથી. જેના કારણે ગ્રામીણોમાં નારાજગી છે. આ જ કારણ છે કે હવે ગ્રામીણો પ્રશાસન પાસે ઈચ્છા મૃત્યુની માગણી કરવા મજબૂર થઈ ગયા છે.

ગ્રામીણો ગુરુવારે પોતાની માગણી લઈને સીએમને મળવા પહોંચ્યા હતાં પરંતુ પોલીસે તેમને રસ્તામાં જ રોકી લીધા. ત્યારબાદ ગ્રામીણો જેમ જેમ કરીને ગૃહમંત્રી તામ્રધ્વજ સાહૂ પાસે પહોંચ્યા પરંતુ ગૃહમંત્રીની વાતોથી પણ તેમને સંતોષ થયો નહીં. હવે નારાજ ગ્રામીણોએ સરકાર પાસે એક અઠવાડિયાની અંદર પીવાના પાણીની સમસ્યા દૂર કરવાની માગણી કરી છે. નહીં તો ગ્રામીણોએ ઉગ્ર આંદોલનની પણ ચેતવણી આપી દીધી છે.

અત્રે જણાવવાનું કે સરકારે ગ્રામીણોને શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવવા માટે કરોડો રૂપિયાના ટ્રીટમેન્ટ પ્લાન્ટ લગાવ્યા છે. પરંતુ તેલનદીનું શુદ્ધ પાણી લાવવા માટે પાઈપ લાઈન બીછાવવાનું કામ હજુ પૂરું થયું નથી જેના કારણે ગ્રામીણોમાં સરકાર સામે ખુબ નારાજગી છે.

એક ગ્રામીણ ત્રિલોચન સોનવાણીએ જણાવ્યું કે પૂર્વ  કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અને વર્તમાન મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પણ ગામની મુલાકાત લીધી હતી. તે સમયે તેમણે સત્તામાં આવતા પીડિત પરિવારોને 5-5 લાખ રૂપિયાનું વળતર અને એક પરિજનને નોકરી આપવાની વાત કરી હતી. પરંતુ આટલો સમય વીતી ગયા છતાં તેમણે પોતાનું વચન પૂરું કર્યું નથી.

(4:36 pm IST)