News of Wednesday, 14th April 2021
વોશીંગ્ટન, તા.૧૪: અમેરિકાના ગુપ્તચર અહેવાલમાં ભારતના પાડોશી દેશો ચીન અને પાકિસ્તાન સાથે ભારતના બદલાતા જતાં સંબંધોની આગાહી કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ઘ થવાનું નથી, પરંતુ બંને દેશો વચ્ચે ટકરાવ વધશે અને તણાવ ઊભોથઈ શકે છે. આ અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પીએમ મોદીના નેતૃત્વ હેઠળ ભારત પાકિસ્તાનની ઉશ્કેરણી સામે લશ્કરી કાર્યવાહી કરવા પહેલાથી વધુ તત્પર છે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે એલએસીમાંથી કેટલાક સૈનિકોની પાછી ખેંચી લેવા છતાં, ભારત અને ચીન વચ્ચે તણાવ હજુ પણ યથાવત્ છે.
ન્યૂઝ એજન્સી દ્વારા આ અહેવાલના અમુક અંશ બહાર પાડવામાં આવ્યા છે. તે જણાવે છે, 'બંને પરમાણુ શકિત પાડોશી દેશોમાં વધી રહેલા તણાવથી ટકરાવનું જોખમ વધી શકે છે.' કાશ્મીરમાં હિંસક અશાંતિ અને આતંકવાદી હુમલાને લીધે આવી અશાંતિ થઈ શકે છે. પાકિસ્તાન સાથેના સંબંધોના બગડવાની આગાહી એવા સમયે કરવામાં આવી છે જયારે બંને દેશો વચ્ચે સામાન્ય સંબંધોને પુનૅં સ્થાપિત કરવા માટે કેટલાક પ્રારંભિક પગલા લેવામાં આવ્યા છે.
ગુપ્તચર અહેવાલમાં ભારત અને ચીન વચ્ચે હિંસક સંદ્યર્ષનું અનુમાન પણ કરવામાં આવ્યું છે. તેમાં કહેવાયું છે કે, 'ભારત અને ચીન વચ્ચે સતત હિંસક ટકરાવની ઘટનાઓ શકય છે. બંને દેશોમાંએ સીમા પરથી કેટલાક સૈનિકોની પાછી ખેંચ્યા હોવા છતાં, સરહદ પર તણાવ વધુ છે. 'આ મુકાબલો માટે ચીનને દોષી ઠેરવતા કહેવાયું છે,' મે ૨૦૨૦ થી વિવાદિત સરહદ વિસ્તારોમાં ચીનની હાજરીને કારણે સૌથી ગંભીર મુકાબલો થયો છે અને આનાથી ૧૯૭૫ પછી પહેલી હિંસક અથડામણ થઈ છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફેબ્રુઆરીના મધ્ય પછી બંને દેશો વચ્ચે અનેક તબક્કાની વાટાદ્યાટો થઈ છે અને બંને પક્ષો વિવાદિત સરહદના કેટલાક વિસ્તારોમાંથી સૈન્ય, શસ્ત્રો અને સાધનો પાછા બોલાવી રહ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે ગત વર્ષથી એલએસીને લઈને ભારત અને ચીન વચ્ચે તણાવ છે અને ગયા વર્ષે જૂનમાં લદ્દાખની ગલવાન ખીણમાં હિંસક અથડામણ થઈ હતી જેના પછી આ વિવાદ વધુ વધ્યો હતો.