Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

પહેલા યુપીમાં માફિયાઓનું રાજ ચાલતું હતું: યોગી સરકારમાં બધા જેલમાં પહોંચ્યાઃ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી આજે અલીગઢ પહોંચ્યાઃ અહીં તેમણે રાજા મહેન્દ્ર પ્રતાપસિંહ યુનિવર્સિટી અને ડિફેન્સ કોરિડોરનો શિલાન્યાસ કર્યો

લખનૌ, તા.૧૪: આગામી વર્ષે ઉત્તર પ્રદેશમાં થનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે આજથી પશ્ચિમ યુપીમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી આજે અલીગઢ પહોંચ્યા. અહીં તેમણે રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ યુનિવર્સિટી અને ડિફેન્સ કોરિડોરનો શિલાન્યાસ કર્યો. આ દરમિયાન યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજયપાલ આનંદીબેન પટેલ પણ હાજર હતા. ત્યારબાદ તેમણે સંબોધન કર્યું. પીએમ મોદીનો આ પ્રવાસ આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીને લઈને ખુબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે.

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આજ અલીગઢ માટે, પશ્યિમી યુપી માટે ખુબ મોટો દિવસ છે. આજે રાધાષ્ટમી છે, જે આજના દિવસને વધુ પુનિત બનાવે છે. વ્રજ ભૂમિના કણ કણમાં રાધા જ રાધા છે. હું સમગ્ર દેશને રાધાષ્ટમીની હાર્દિક શુભેચ્છા પાઠવું છું. પૂર્વ સીએમ કલ્યાણ સિંહને યાદ કરતા તેમણે કહ્યું કે આજે કલ્યાણ સિંહ આપણી સાથે હોત તો રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ રાજય વિશ્વવિદ્યાલય અને ડિફેન્સ સેકટરમાં બની રહેલી અલીગઢની નવી ઓળખ જોઈને ખુબ ખુશ થાત.

તેમણે કહ્યું કે આજે જયારે દેશ પોાતની આઝાદીનો ૭૫મી પર્વ મનાવી રહ્યો છે, આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે આ કોશિશોને ગતિ આપવામાં આવી છે. ભારતની આઝાદીમાં રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહજીના યોગદાનને નમન કરવાનો આ પ્રયત્ન એવો જ એક પાવન અવસર છે. આજે દેશના દરેક એ યુવા જે મોટું સપનું જોઈ રહ્યા છે, જે મોટો લક્ષ્યાંક મેળવવા માંગે છે તેમણે રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહજી વિશે જરૂર જાણવું જોઈએ. જરૂર વાંચવું જોઈએ.

પીએમએ કહ્યું કે આપણા આઝાદીના આંદોલનમાં એવા અનેક મહાન વ્યકિતત્વોએ પોતાનું બધુ જ ખપાવી દીધું. પરંતુ આ દેશનું દુર્ભાગ્ય રહ્યું છે કે આઝાદી બાદ આવા રાષ્ટ્ર નાયક અને રાષ્ટ્ર નાયિકાઓની તપસ્યાથી દેશને આગામી પેઢીઓને પરિચિત કરાવવામાં આવ્યા નહીં. તેમની  ગાથાઓને જાણવામાં દેશની અનેક પેઢીઓ વંછિત રહી ગઈ. ૨૦મી સદીની એ ભૂલોને આજે ૨૧મી સદીનું ભારત સુધારી રહ્યું છે. આજે દેશના પ્રધાનમંત્રી હોવાના નાતે ફરીથી એકવાર મને એ સૌભાગ્ય મળ્યું છે કે રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ જેવા વિઝનરી અને મહાન સ્વતંત્રતા સેનાનીના નામે  બની રહેલી યુનિવર્સિટીનો શિલાન્યાસ કરી રહ્યો છું.  પ્રધાનમંત્રીએ કહ્યું કે રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહજી ફકત ભારતની આઝાદી માટે જ નહતા લડ્યા પરંતુ તેમણે ભારતના ભવિષ્યના નિર્માણના પાયામાં પણ સક્રિય યોગદાન આપ્યું હતું. તેમણે પોતાની દેશ વિદેશની યાત્રાઓમાં મળેલા અનુભવોનું ઉપયોગ ભારતની શિક્ષણ વ્યવસ્થાને આધુનિક બનાવવા માટે કર્યો હતો. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી માટે પણ રાજા  મહેન્દ્ર પ્રતાપ સિંહજીએ જમીન આપી હતી. વૃંદાવનમાં આધુનિક ટેકિનકલ કોલેજ, તેમણે પોતાના સંસાધનો, પૈતૃક સંપત્ત્િ। દાન કરીને બનાવડાવી હતી.

તેમણે કહ્યું કે આજે જે યુનિવર્સિટીનો શિલાન્યાસ થયો છે તે આધુનિક શિક્ષણનું એક મોટું કેન્દ્ર બનશે અને સાથે સાથે દેશમાં રક્ષા સંબંધિત અભ્યાસ, રક્ષા ઉત્પાદન સંબંધિત ટેકનોલોજી અને મેનપાવર બનાવનારું સેન્ટર પણ બનશે. આજે દેશ જ નહીં દુનિયા પણ જોઈ રહી છે કે આધુનિક ગ્રેનેડ અને રાઈફલથી લઈને ફાઈટર વિમાનો, ડ્રોન, જહાજો વગેરે ભારતમાં જ બનાવવામાં આવી રહ્યા છે. ભારત દુનિયાના એક મોટા ડિફેન્સ ઈમ્પોર્ટરની છબીથી બહાર નીકળીને દુનિયાના એક મહત્વના ડિફેન્સ એકસપોર્ટરની નવી ઓળખ બનાવવા તરફ આગળ વધી રહ્યું છે.

પીએમએ કહ્યું કે જે અલીગઢ ગઈ કાલ સુધી તાળા દ્વારા દ્યર, દુકાનોની રક્ષા કરતું હતું તે ૨૧મી સદીમાં હિન્દુસ્તાનની સરહદોની રક્ષા કરવાનું કામ કરશે. વન ડિસ્ટ્રિક, વન પ્રોડકટના માધ્યમથી યુપી સરકારે અલીગઢના તાળા અને હાર્ડવેરને એક નવી ઓળખ અપાવવાનું કામ કર્યું છે. અલીગઢમાં જ રક્ષા ઉત્પાદન સંબંધિત દોઢ ડઝન કંપનીઓ સેંકડો કરોડના રોકાણથી હજારો નવા રોજગાર બનાવશે. અલીગઢ નોડમાં નાના  હથિયાર, આયુધ, ડ્રોન, એરોસ્પેસ, મેટર કંપોનન્ટ્સ, એન્ટી ડ્રોન સિસ્ટમ જેવા ઉત્પાદનો બની શકે તે માટે નવા ઉદ્યોગ લગાવવામાં આવી રહ્યા છે.

પીએમ મોદીએ એમ પણ કહ્યું કે આજે ઉત્ત્।ર પ્રદેશ દેશ અને દુનિયાના દરેક નાના મોટા રોકાણકાર માટે ખુબ આકર્ષક સ્થાન બની રહ્યું છે. આવું ત્યારે બને છે જયારે રોકાણ માટે જરૂરી માહોલ બને છે, જરૂરી સુવિધાઓ મળે છે. આજે યુપી 'ડબલ એન્જિન સરકારનો ડબલ લાભ'નું એક મોટું ઉદાહરણ બની રહ્યું રહ્યું છે. સમાજમાં વિકાસની તકોથી જેને દૂર રાખવામાં આવ્યા, તેવા દરેક સમાજને શિક્ષણ અને સરકારી નોકરીઓમાં તક મળી રહી છે. આજે યુપીની ચર્ચા મોટા ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ અને મોટા નિર્ણયો માટે થાય છે.

જૂની સરકારનો યાદ કરીને પીએમએ કહ્યું કે એક સમય હતો કે જયારે અહીં શાસન-પ્રશાસન, ગુંડા અને માફિયાઓની મનમાનીથી ચાલતા હતા. પરંતુ હવે વસૂલી કરનારા, માફિયારાજ ચલાવનારા જેલના સળિયા પાછળ છે. યુપીના લોકો એ નહીં ભૂલી શકે કે પહેલા કેવા કૌભાંડો થતા હતા, કેવી રીતે રાજ-કાજને ભ્રષ્ટાચારીઓના હવાલે કરી દેવાયું હતું. આજે યોગીજીની સરકાર પૂરી ઈમાનદારીથી યુપીના વિકાસમાં લાગી છે.પીએમ મોદીએ આ સમયે ખેડૂતો વિશે વાત કરતા કહ્યું કે દેશના જે નાના ખેડૂતોની ચિંતા ચૌધરી ચરણ સિંહજીને હતી, તેમની સાથે સરકાર એક સાથીની જેમ ઊભી રહે તે ખુબ જરૂરી છે. આથી કેન્દ્ર સરકારનો સતત પ્રયાસ છે કે નાના ખેડૂતોને તાકાત આપવામાં આવે. MSP દોઢ ગણું હોય, કિસાન ક્રેડિટકાર્ડનો વિસ્તાર થાય, વીમા યોજનામાં સુધાર થાય, ૩ હજાર રૂપિયાના પેન્શનની વ્યવસ્થા હોય, આવા અનેક નિર્ણયો નાના ખેડૂતોને સશકત કરી રહ્યા છે.

(4:16 pm IST)