Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

ડોકટરોએ સરકારને કરી અપીલઃ જલદી લગાવો લોકડાઉન

સુવિધાઓમાં મુશ્કેલીઓ પેદા થઈ છે અને તેને ઠીક કરવા માટે લોકડાઉન જ એકમાત્ર ઉપાય છે

નવી દિલ્હી, તા.૧૫: ભારતમાં કોરોનાની સ્થિતિ દિન પ્રતિદિન કથળી રહી છે. દૈનિક કેસમાં ચિંતાજનક સ્તરે વધારો જોવા મળી રહ્યો છે. આજે તો કોરોનાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા. દેશભરમાંથી છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨ લાખથી વધુ કેસ નોંધાયા છે. જયારે એક જ દિવસમાં ૧૦૩૮ લોકોના મોત નિપજયા છે. ભયાનક સ્થિતિના પગલે હવે દેશના પ્રમુખ ડોકટરે પણ સરકારને જલદી લોકડાઉન લગાવવાની અપીલ કરી છે. કોરોનાથી ઉપજેલા સ્વાસ્થ્ય સંકટને પહોંચી વળવા માટે અગ્રણી ડોકટરનું માનવું છે કે સમગ્ર દેશમાં લોકડાઉન લગાવવું જોઈએ. તેમણે કહ્યું કે અનેક રાજયોમાં સ્વાસ્થ્ય સંબંધિત સુવિધાઓમાં મુશ્કેલીઓ પેદા થઈ છે અને તેને ઠીક કરવા માટે લોકડાઉન જ એકમાત્ર ઉપાય છે.

ભારતમાં મેદાંતા હોસ્પિટલ ચેનના અધ્યક્ષ સહ કાર્ડિયોવાસ્કયુલર અને કાર્ડિયોથોરેસિક સર્જન નરેશ ત્રેહાને કહ્યું કે વાયરસના આ નવા સ્વરૂપથી બચવાનો એક માત્ર મજબૂત ઉપાય છે કે સમગ્ર દેશમાં જલદી લોકડાઉન લગાવવું જોઈએ. તેમણે કહ્યું કે જે પ્રકારે મહારાષ્ટ્રે કડકાઈ અંગે નિર્ણય લીધા છે, બીજા રાજયોએ પણ તે રીતે પગલાં લેવા જોઈએ. કારણ કે હવે સ્થિતિ ભયાનક બની રહી છે. રોજે રોજ બદથી બદતર થઈ રહી છે.

તેમણે કહ્યું કે વાયરસના વિભિન્ન નવા વેરિએન્ટ્સે બમણી ઝડપથી કોરોનાનો પ્રસાર કર્યો છે. ત્રેહને વધુમાં કહ્યું કે એટલે સુધી કે સ્પેનિશ ફ્લૂની બીજી લહેર ખુબ વિનાશકારી હતી અને એ જ રીતે કોવિડ-૧૯ના પણ આ બીજી લહેર ખતરનાક છે. અમે જોઈ રહ્યા છીએ કે દૈનિક કેસની સંખ્યામાં ખુબ ઝડપથી વધારો થઈ રહ્યો છે. પહેલી અને બીજી લહેરના આંકડામાં ખુબ મોટું અંતર છે તે લગભગ બમણું થઈ ગયું છે અને વધતું જ જાય છે.

ડોકટરે કહ્યું કે કોરોના વાયરસનું આ નવું સ્વરૂપ જે પહેલા કરતા વધુ ઝડપથી ફેલાઈ રહ્યું છે, હાલ તે યુવાઓ અને બાળકોને પણ સંક્રમિત કરી રહ્યું છે. આ બાજુ ભારતીય ચિકિત્સક અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશનન (IMA) ના પૂર્વ અધ્યક્ષ કે કે અગ્રવાલને જયારે પૂછવામાં આવ્યું કે કોરોનાનું નવું વેરિએન્ટ કેટલું ખતરનાક છે તો તેમણે સમાચાર એજન્સી આઈએએનએસને જણાવ્યું કે પંજાબમાં મોટા પાયે જોવા મળનારો બ્રિટનનો વેરિએન્ટ ૪૫ વર્ષથી ઓછી ઉંમરના લોકોને પ્રભાવિત કરી રહ્યો છે.

તેમણે કહ્યું કે ભારતીયોમાં વેરિએન્ટ થોડો વધુ જોખમી જોવા મળી રહ્યો છે. આથી  દેશમાં ક્ષેત્રવાર લોકડાઉન પ્રભાવી નીવડી શકે છે. લોકડાઉનની સાથે જ એ વાત ઉપર પણ ધ્યાન કેન્દ્રીત કરવાનું છે કે સ્વાસ્થ્ય સેવાઓને કેવી રીતે સારી સ્થિતિમાં પાછી લાવવાની છે અને દર્દીઓને સારવાર પ્રદાન કરવાની છે. કારણ કે હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. તેમણે કહ્યું કે હું સૂચન આપીશ કે લોકોને લક્ષણ દેખાવવા માંડે કે તરત સારવાર માટે જાય.

(3:52 pm IST)