Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

ઓબીસી અનામત પર રાજયોને મળશે અધિકાર

સંસદના ચોમાસુ સત્રમાં વિધેયક લાવવાની તૈયારી

નવી દિલ્હી, તા.૧૫: અન્ય પછાત વર્ગ (ઓબીસી)ને અનામત પર રાજયોને મળેલા અધિકારોમાં હાલ કોઇ કાપ નહીં મુકાય. કેન્દ્રએ ઓબીસીની ઓળખ કરવા અને યાદી બનાવવાના રાજયોના પહેલાના અધિકારોને જાળવી રાખવા હવે સંસદનો માર્ગ પસંદ કર્યો છે, જેની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. સંસદના ચોમાસુ સત્રમાં આ અંગેનો ખરડો લાવવાની તૈયારી છે. આ પહેલા કેન્દ્રએ એસ સી એકટ બાબતે સુપ્રીમ કોર્ટના ચુકાદાને સંસદ દ્વારા ફેરવ્યો હતો, જેમાં જૂની વ્યવસ્થા ફરીથી ચાલુ રખાઇ હતી.

અનામત જેવા સંવેદનશીલ મામલામાં કેન્દ્ર સરકાર કોઇ પ્રકારનું જોખમ ઉઠાવવા નથી માંગતી. સુપ્રીમ કોર્ટે મરાઠા અનામત રદ કરવાની સાથે જ જેવું એમ કહયું કે ૧૦૨માં બંધારણ સુધારા પછી રાજયોને સામાજીક અને આર્થિક રીતે પછાતોની અલગથી કોઇ યાદી બનાવવાનો અધિકાર નથી એટલે પછી રાજયોમાં નવી બબાલ ઉભી થઇ ગઇ.

સુત્રોનું માનીએ તો સામાજીક ન્યાય મંત્રાલયની જવાબદારી સંભાળ્યા પછી નવા પ્રધાન વિરેન્દ્રકુમારે પણ અધિકારીઓ સાથે આ અંગે લાંબી મંત્રણા કરી છે અને અધિકારીઓને આમાં આગળ વધવાના આદેશ આપ્યા છે. તે પહેલા થાવરચંદ ગેહલોતે પણ રાજયોના અધિકારને જાળવવાની તરફેણ કરી હતી.

કેન્દ્ર આ બાબતે એટલા માટે પણ સતર્ક છે, કેમ કે મોટા ભાગના રાજયોએ રાજયની યાદીના આધારે પોતાને ત્યાં અલગ અલગ જાતિઓને પછાત વર્ગમાં રાખેલા છે. તેનો લાભ પણ તેઓ રાજયની સરકારી નોકરીઓ અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં એડમીશનમાં લઇ રહયા છે. અત્યાર સુધી ઓબીસી અનામત માટે કેન્દ્ર અને રાજયોની અલગ અલગ યાદી છે. ઓબીસીની કેન્દ્રિય યાદીમાં અત્યારે લગભગ ૨૬૦૦ જાતિઓ છે.

ખાસ વાત એ છે કે કેન્દ્ર સરકારે મરાઠા અનામતની સુનાવણી દરમ્યાન સુપ્રીમના ચુકાદા સામે પુનઃવિચારની અરજી પણ દાખલ કરી હતી. જેમાં રાજયોના ઓબીસીની ઓળખ કરીને તેની યાદી બનાવવાના અધિકારને જાળવી રાખવાની માંગણી કરાઇ હતી. સુપ્રીમ કોર્ટે તેને ફગાવી દીધી હતી.

(11:37 am IST)